પરિશ્રમ થકી સફળતા
પરિશ્રમ થકી સફળતા
ઘણા સમય પહેલાની આ વાત છે. તે સમયે દેશી રજવાડાઓનું રાજ ચાલતું. તે સમયે આપણો દેશ મુખ્યત્વે ખેતી પ્રધાન હતો અને પશુપાલનના વ્યવસાય થકી લોકો પોતાનું ગુજરાન ચલાવતા. તે સમયે આપણો દેશ પૈસે ટકે સુખી ન હતો, પણ સૌ હળી મળીને સુખ દુઃખમાં એક બીજાને મદદ કરતા ને સાથ સહકારથી જીવતા. તે સમયે શિક્ષણ નું કંઈ ખાસ મહત્વ ન ગણાતું.
તેવા સમયની આ વાત છે. ફલુ નામે એક સરસ મજાનું ગામ. ગામમાં સૌ હળી મળીને સુખ શાંતિથી રહેતા. આ ગામમાં એક ધાર્મિક પરિવાર રહે. જે પરિવાર માં ધૂળાભાઈ નામે એક ભગત રહેતા. દરેકની સાથે પ્રેમભાવથી રહેવું અને કોઈ વ્યક્તિ દુઃખી જણાય તો પોતાના હકનું પણ તેને આપી દેવું એ તેમનો ગુણ. તેમના જીવનસંગિની બાળકોને નાની ઉંમર માં જ એકલાં અટુલા મૂકીને સ્વર્ગે સિધાવ્યા. જેને કારણે બાળકોના ઉછેર ને સઘળી જવાબદારી તેમના શિરે આવેલી.જેને કારણે તેમણે તેમની તમામ જમીન એક ધનિકને ગીરવે મૂકી.અને આમ થોડાક વર્ષો પસાર થયા. ત્યારે તેમના બંને દીકરા રઘુ અને વિઠ્ઠલ ને ખબર પડી. તો તે બંને દીકરા ઓએ ખેતીમાં મદદરૂપ થવાનું શરુ કર્યું. પરંતુ બીજાના ખેતર વાવીને માત્ર ખાવા પૂરતું મળી રહેતું. ત્યારે નાના દીકરા રઘુ એ નક્કી કર્યું કે તે ક્યાંક બહારગામ જઈને તનતોડ મહેનત કરશે. અને ગીરવે મૂકેલ જમીન પાછી મેળવશે અને પોતાના પરિવારને ફરી એકવાર સુખી થતો જોશે. આમ તે આઝાદી કાળના સમયમાં તે રઘાએ અમદાવાદમાં કરિયાણાની દુકાનમાં નોકરી મેળવી. અને તનતોડ મહેનત કરવાની શરૂઆત કરી. પણ મહિને 6 રૂપિયા પગાર મળવા લાગ્યો. તે સમયે 6 રૂપિયા એટલે ઘણી મોટી રકમ ગણાતી,પણ પોતાની જમીન છોડાવવા માટે તે પગાર પૂરતો ન હતો.
આથી રઘુ ઘરે આવ્યો અને પિતાજીએ તેને ફરી ખેતી કામમાં જોતરાઈ જવા કહ્યું. ત્યારે રઘુએ મનોમન વિચાર કર્યો,"માત્ર ખેતી કામથી તો ઘરના ખર્ચા પણ પૂરા નથી થતા તો મારે ખેતર છોડાવવા હજુ વધુ પરિશ્રમ કરવો અનિવાર્ય છે તો મારે કંઈક ખાસ કરવું જ પડશે."આમ રઘુએ ઘરે આવીને ગામમાં જ એક ચાની દુકાનની શરૂઆત કરી પણ શરૂઆતમાં ખૂબજ સંઘર્ષ કરવો પડ્યો. છતાં હિંમત હાર્યા વિના પરિશ્રમ કરવાનો ચાલુ જ રાખ્યો. રઘુ ના અવિરત પ્રયાસોથી સારું એવું પરિણામ દેખાયું અને જાણે કે રઘુની ચા વખણાવા લાગી. સૌ કોઈ રઘુની ચા પીવા આવવા લાગ્યા. કેટલાક ધનિક વ્યક્તિ પણ ચા પીવા આવતા અને તેમનું નામું પણ ચાલતું, એટલે કે બાકી પૈસામાં ચા પીતા અને એક ધનિક જાગીરદાર કે જેની આ જમીન હતી તેનું લેણું બાકી હતું. તે ચા ના લેણાંના બદલામાં તેને આ જમીન ભેટ આપી. અને સાથે એક શિક્ષક કે જેઓ અહી ચા પીવા આવતા તેમને રઘુનો પરિશ્રમ, ખંત અને હોશિયારી જોઈ ને એક માર્ગ બતાવતા જણાવ્યું,"રઘા તું ફાઈનલની પરીક્ષા પાસ કરીશ તો શિક્ષક બનીશ !" ત્યારે રઘુ એક તરફ ઘરની જવાબદારી ઓથી ઘેરાયેલો હતો તો બીજી તરફ ગીરવી મૂકેલ જમીન પણ સ્વતંત્ર કરવી ખૂબજ જરૂરી હતું. ત્યારે આ શિક્ષકની નોકરી કોઈપણ સંજોગે મેળવવી જ એવું લક્ષ નિર્ધાર કર્યો અને પિતાજી ને વાત કરી.અને ચાની દુકાન પર ત્રણ દિવસ પિતાજીને બેસવા જેમ તેમ કરીને મનાવ્યા. બાકીનાના ત્રણ દિવસ રઘુ પોતે ચાની દુકાન પર બેસતો. જે ત્રણ દિવસ રઘુ અભ્યાસ માટે જતો અને બગડેલ ત્રણ દિવસનું પણ રાત્રિ રોકાણ કરીને અન્ય વિદ્યાર્થી ઓને ગુરુજીએ લખાયેલ લેસન કે મહત્વની વિગત લખી લેતો. અને તેનો ઘરે દિલથી અભ્યાસ કરતો. આમ અનેક સંઘર્ષમય પરિશ્રમને અંતે રઘુએ ફાઈનલની પરીક્ષા પાસ કરી, અને ત્યારબાદ જરૂરી પરીક્ષા પાસ કરીને 70 રૂપિયા પગારથી શિક્ષકની નોકરી મેળવી. આમ, ધીરજથી સંઘર્ષમય પરિશ્રમ કરીને પોતાની ગીરવે મૂકેલ જમીન પાછી મેળવી અને જાણે કે અનહદ આનંદ મેળવ્યાનો આનંદ થયો. વધુ ગર્વ તો ત્યારે થયો કે પિતાજીને સૌથી વધુ ગર્વ તેના પર થયો.