પરગ્રહવાસી
પરગ્રહવાસી
અષાઢની એક મેઘલી રાત. રાતના ગાઢ અંધકારને ચીરીને, ધરતી ફાડીને જાણે પેટાળમાં ઉતરી જવા આતુર એવી વીજળીના ચમકારા, શું બનવાકાળ છે કંઈ સમજાતું નહોતું, અચાનક કાળા ડિબાંગ વાદળોની વચમાંથી એક પ્રકાશપુંજ ધરતી તરફ વેગથી ઉતર્યો,થોડીવારે એમાં બે આકૃતિઓ સ્પષ્ટ થતી જણાય, એ માત્ર આકૃતિઓ જ હતી. તેમના કોઈ મોં-માથા કે હાથ-પગ નહોતા, છતાં એક આકૃતિ સુંદર લાગતી હતી જ્યારે બીજી આકૃતિ થોડી બેડોળ લાગતી હતી. બંને એકબીજાને કશું કહી રહ્યા હતા. ભાષા તો કંઈ સમજાય એવી નહોતી. પછી બંનેએ એકબીજાના હાથ પકડી એકસાથે ઉપર જોયું, ને પેલો પ્રકાશપુંજ ફરી આકાશમાં સમાઈ ગયો. હવે એ બંને આગળ વધીને એક ઘર તરફ ગયા. ઘરની ફરતે બંનેએ હાથ પકડી રાખી પાંચ ચક્કર લગાવ્યા અને પછી ફરી વાતો કરવા લાગ્યા,પણ હવે તેઓ આપણી ભાષામાં વાતો કરતા હતા. પછી બંને છુટા પડી પોતપોતાની રીતે આજુબાજુમાં જ હોય એવા ઘરોમાં અંદર ચાલ્યા ગયા. બંનેએ પરિવારમાં અદ્રશ્ય રીતે રહેવાનું નક્કી કર્યું.
શિવરામના પરિવારમાં પાંચ જણ, પતિ-પત્ની, પુત્ર-પુત્રવધુ અને પિતાજી. આમ તો આ પરિવારમાં બધા રોજિંદુ જીવન જીવતા હતા. પેલી અદ્રશ્ય વ્યક્તિ કે ચીજ જે કહો તે, તેના આવવાથી ઘરના વાતાવરણમાં થોડો ફેરફાર જણાવા લાગ્યો. ઘરમાં સૌ પહેલા કરતા વધુ હળીમળીને રહેવા લાગ્યા. ઘરનું વાતાવરણ વધુ પ્રફુલ્લિત રહેવા લાગ્યું.
બીજી તરફ જીવરામના ઘરમાં વ્યક્તિ માત્ર ચાર જ હતી. પતિ-પત્ની, પુત્ર અને માતાજી, બધા પોતપોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા. પેલી અદ્રશ્ય આકૃતિના ગૃહપ્રવેશ પછી થોડા જ સમયમાં ચારેય એકબીજા સાથે ઝઘડવા લાગ્યા, એકબીજા પર શંકા- કુશંકા કરવા લાગ્યા. એકબીજા પ્રત્યે તેઓને ભરોસો નહોતો રહ્યો. અંદરોઅંદર ઝગડા વધવા લાગ્યા હતા. બધા એકબીજાથી વાતો છુપાવવા લાગ્યા હતા,લગભગ જુઠ્ઠું બોલવા લાગ્યાં, આખરે બધા લડી-ઝગડીને એકપછી એક ઘરમાંથી નીકળી ગયા. હવે પેલી સુંદર આકૃતિ પાસે આ ઘરમાં રહેવાનું કોઈ કારણ ન રહ્યું, તે પણ ત્યાંથી બીજા ઘરની શોધમાં ચાલવા લાગી, રસ્તામાં તેને પેલી બેડોળ આકૃતિ મળી, બંને મળ્યા ને એકબીજાને પોતપોતાને ત્યાંની વાતો કરવા લાગ્યા. બેડોળ આકૃતિએ સુંદર આકૃતિને સમજાવ્યું કે જ્યાં સુધી હું આ ઘરમાં છું, કોઈ બેઘર નહીં થાય. ન એ લોકો, ન હું,આખરે બેડોળ આકૃતિએ પેલી સુંદર આકૃતિને આશ્વાસન આપ્યું ને બંને છુટા પડ્યા. પેલી સુંદર આકૃતિ નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગી, કદાચ બીજા ઘરની શોધમાં.
તો, દોસ્તો મારી આ વાર્તાના બે પાત્રો એ બીજા કોઈ નહી, પરંતુ બેડોળ આકૃતિ એટલે વિશ્વાસ અને સુંદર આકૃતિ એટલે દગો છે. આ બે ભાઈ કોઈ બીજા ગ્રહ પરથી આપણી પૃથ્વી પર આવી ગયા છે. હવે તેમને લેવા તેમનું કોઈ યાન આવતું નથી,એટલે તેઓ કાયમ માટે અહીં જ વસી ગયા છે, આ બે એલિયન પાછા તો જવાના નથી,બસ, આપણે એમાના એકથી બચવાનું છે,નહીં તો જીવરામના ઘર જેવી હાલત થશે. સમજ્યા,'ધોખા હંમેશા ખુબસુરત હી હોતા હૈ',તો બચ કે રહેના.
