મનનો અજંપો
મનનો અજંપો
એક મોટું શહેર હતું. શહેરમાં અનીતાબેન અને તેનો પરિવાર રહે. પરિવારમાં તેના બે પુત્રો રહે. સમગ્ર પરિવાર સંગાથે રહે. બંને પુત્રોના લગ્ન થયા.
અનીતાબેન નાનપણથી ગામડામાં રહેલ. શહેરી વાતાવરણ બહું ગમે નહિ. આ બાબતે તેઓ વારેઘડીએ વહુને પણ સલાહ આપ્યા કરે. ફરજિયાત સાડી પહેરવાની. બહાર નીકળવું નહિ. સાંજે પાંચ વાગ્યા પછી ઘરની વહું બહાર ફરે એ સારું ન લાગે.
આમ રોજને રોજ કંઈક ને કંઈક માથાકૂટ. વહુઓને આ ગમે નહિ. છતાં ઈચ્છા ન હોવા છતાં સાંભળ્યા કરે. આમને આમ કેટલા દિવસ ચાલે. એકદિવસ બંને વહુઓ કંટાળી અનીતાબેનથી દૂર રહેવા ચાલી ગઈ.
અનીતાબેનને એકલવાયું જીવન ગમ્યું નહિ. થોડા દિવસ તો જેમતેમ કરી કાઢી નાખ્યાં. પણ પછી ઉંમર થતાં કંઈ કામ થાય નહિ. શું કરવું સમજાય નહિ. અનીતાબેનને મનમાં અજંપો રહી ગયો. આ મેં ખોટું કર્યું. જમાના પ્રમાણે સમય અનુસાર ચાલવું જોઈએ.
મનમાં સતત અજંપો રહે. મારી વહુઓ સાથે મેં ખોટું કર્યું. એક દિવસ તેનો દીકરો અને દીકરાની વહુ તેમના ઘરે આવ્યા. અનીતાબેને દિલ ખોલીને વાત કરી. કહ્યું," મેં તમારી સ્વતંત્રતા છીનવવા કોશિશ કરી. તમારી ભાવના લાગણીને ઠેસ પહોંચાડી. હવે અહીં જ રહો અને તમારી મરજી મુજબ જીવન જીવો.
તેમના દીકરા અને વહુ ફરી ઘેર આવી ગયા. સૌ શાંતિથી એક સાથે રહેવા લાગ્યા. અનીતાબેનનો અજંપો હંમેશા માટે દૂર થઈ ગયો.
"પરિવાર સાથે તો ખુશીઓ હજાર
એકલવાયા જીવનથી ન મળે આનંદ."