આવી દિવાળી
આવી દિવાળી
"મમ્મી ! ઓ મમ્મી તું કહે તો ખરી. આજ બધા આમ તૈયાર થઈને ક્યાં જઈએ છીએ ?" ઋત્વા બોલી.
"અરે બેટા આજના દિનનું મહત્વ ખૂબ વિશેષ છે. આજે તો દિવાળીનો તહેવાર છે. દિવાળી એટલે એક દિવસનો તહેવાર નહીં. પણ એકસાથે પાંચ દિવસ ખુશીની લહેર."
ઋત્વા કહે,"અરે વાહ ! આતો ખુબ સરસ વાત છે. તું મને પણ કહે ને આ તહેવાર શા માટે ઉજવીએ છીએ ? ક્યારે આવે છે આ તહેવાર ?"
મમ્મી બોલી,"આ તહેવાર આસો વદ અમાસના દિવસે આવે છે. આમ તો આ પાંચ દિવસનો તહેવાર છે. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી અને નૂતનવર્ષ. ધનતેરશના દિવસે ધનની એટલે કે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કાળીચૌદશ ને નરકચતુર્થી પણ કહે છે. આ દિવસે હનુમાનજીના વડા અને લોટ થાય છે.
અમાસનો દિવસ એટલે દિવાળીનો દિવસ. આ દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પછી રાવણનો સંહાર કરી, અસત્ય પર સત્યનો વિજય કરી અયોધ્યા પરત ફરેલા. આ ખુશીમાં સમગ્ર અયોધ્યાવાસીઓ ઘેર ઘેર દિપ પ્રગટાવીને અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવેલ. આ દિવસનો મહિમા ખૂબ જ છે. આ તહેવારની તૈયારી લોકો મહિના દિવસ અગાઉ જ ચાલું કરી દે છે. ઘરની સાફસફાઈ કરી રંગરોગાન કરે છે. પાંચ દિવસ સુધી ઘરને શણગારે છે. આંગણે રંગોળી પૂરે છે. દિવડાઓ પ્રગટાવી રોશની ફેલાવે છે. ફટાકડા ફોડી બાળકો ખુશીઓ મનાવે છે.
દિવાળી પછી બીજા દિવસે નૂતનવર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો વહેલી સવારે સ્નાન કરી નવાં નવાં કપડાં પહેરીને એકબીજાને ઘેર ઘેર મળવા જાય છે. મનમાં રહેલ કલેશ ભૂલી પ્રેમની ભાવના વહેતી કરે છે. વડિલોને પગે પડી તેમના આશીર્વાદ લે છે."
"અરે,વાહ મમ્મી ! આ તો ખૂબ સુંદર તહેવાર છે. બધા પરિવારના સભ્યો સાથે મળીને ઉજવે છે. મને તો આ તહેવાર ખૂબ ગમ્યો."ઋત્વા બોલી
"દિવાળીના તહેવાર આવ્યા દિવા પ્રગટાવો
રંગોળી મજાની દોરી મન દુઃખ દૂર કરો."