સ્પર્શ વ્હાલતણો
સ્પર્શ વ્હાલતણો
આ જિંદગી થઈ મને અતિશય કપરી
દુઃખ કેરા આવ્યા દહાડા હજાર રે.
આ જિંદગી થઈ મને અતિશય કપરી.
હિનાની જિંદગી સાવ દુઃખી થઈ ગઈ હતી. રોજ રોજ રડી રડીને દિવસો કાઢે. પોતાના આ દુઃખની વાત કહી શકાય તેવું પણ કોઈ હતું નહીં. માતા-પિતા ખૂબ જ ગરીબ. તેઓ પોતાનું ઘર માંડ ચલાવે ત્યાં તેમને કઈ રીતે કંઈ કહેવું. એક તો આ ગરીબી અને ઉપરથી બે દીકરા અને પતિનું ભરણપોષણ કરવું. એમાં અધૂરું હોય તે રોજ પતિના વ્યસન માટે રૂપિયા તૈયાર રાખવા અને જો ન રાખે તો માર ખાવા તૈયાર રહેવું. રોજની આ પરિસ્થિતિ કાઢવી કેમ ? કોની મદદ માંગવી. ક્યાં જવું ? કંઈ જ સમજાય નહીં.
એવામાં એક દિવસ પોતે જ્યાં કામ કરવા જતી તેમના ઘરે આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. માલિક વનિતાબેન તેમના આંસુ જોઈ ગયા. પૂછ્યા વિના રહી ન શક્યા. પહેલા તો હિનાએ કંઈ વાત ન કરી, પરંતુ વનિતાબેનના પ્રેમભર્યા સ્પર્શથી પોતાની જાતને રોકી ન શકી. ચોધાર આંસુએ રડતાં રડતાં પોતાની આપવીતી કહી સંભળાવી. "હું ફક્ત મારા બાળકો માટે જીવું છું. આ બધું સહન કરું છું. એક તો વ્યસની પતિ, એમાં પણ ન કંઈ કામધંધો અને ઉપરથી માર પડે એ અલગ."
" પોતાના પતિના દુઃખની વાત કોને કહેવા જવી. કદાચ કોઈને કહીએ તો પણ શું ફેર પડે ? આ દુનિયામાં સ્વાર્થ સિવાય કશું જ નથી. પોતાના ઘર સિવાય બીજા વિશે વિચારે જ છે કોણ ? જેમતેમ કરી ઘર ચલાવું છું. મારા બાળકોને બસ શિક્ષણ આપવા માગું છું." હિના રડતાં રડતાં એટલું જ બોલી શકી.
વનિતાબેને ખૂબ વ્હાલપૂર્વક તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, "તું આજથી મારી બેન છે. તારા બાળકોને ભણાવવાની જવાબદારી મારી, પરંતુ તારા પતિ સામે તો તારે જ લડવું પડશે. તું શા માટે માર સહન કરે છે. તેનો હિંમતપૂર્વક સામનો કરતા શીખ. તું ખુદ કમાઈને એને ખવડાવે છે પછી બીક શેની. તારો પતિ છે એ વાત સાચી પણ માર સહન કરવો એ અન્યાય છે. "
હિનામાં આ વાત સાંભળીને ગજબનું પરિવર્તન આવ્યું. "મનુષ્ય પોતે પોતાનો ભાગ્યવિધાતા છે." તેણે નક્કી કર્યું આજ પછી હું કોઈનો અન્યાય સહન કરીશ નહીં. આમ પણ તેને વનિતાબેનનો વ્હાલભર્યો સ્પર્શ મળી ચૂક્યો હતો. તેણે ઘેર જઈ ખૂબ હિંમતથી પતિનો સામનો કર્યો અને બાળકોમાં પણ સાહસના ગુણ ઉમેર્યા.
"મળે જો એક સાથ વ્હલતણો,
બદલે જિંદગીનો સ્નેહ અનોખો."