માયાની આત્મનિર્ભરતા
માયાની આત્મનિર્ભરતા
માયા:" લતા ! આજે કેમ ના આવી ?"
લતા: " મેડમ ! આજે મને જોવા માટે છોકરાવાળા આવ્યા હતા, એટલે ન આવી, કદાચ જો છોકરો હા પાડે તો, એમને આવું નાચવાનું શીખવું ગમતું નથી. કદાચ હું હવે ના આવી શકું".
માયા: લતા ! તું શીખી લે બેટા ! ક્યારેક આ વસ્તુ જિંદગીમાં કામ લાગતી હોય છે. શીખેલું ક્યાં જતું રહેવાનું છે ?"
લતા:" જોવ છું મેડમ ! ત્યાંથી જવાબ આવે પછી, મારા મમ્મી-પપ્પા શું કહે છે, પછી તમને મળીશ".
માયા : "સારું બેટા !".
માયાએ લતા સાથે વાત કરીને પોતે વિચારમાં પડી ગઈ. એના જીવનમાં પણ આવું જ કંઈક બન્યું હતું, માયાને બધું ફિલ્મની જેમ સામે દેખાવા લાગ્યું.
સુરેશ :"જો માયા ! આ તારું નાચવાનું મને ગમતું નથી. તું એ બંધ કરી દે. સીધી રીતે ઘરમાં રહે."
સુરેશ કાયમ ગુસ્સે થતોને ગુસ્સામાં માયાને મારતો પણ ખરો. માયા તેના માતા-પિતાની એકની એક સંતાન હતી, તેમને ખૂબ જ લાડકોડમાં માયાને મોટી કરી હતી, અને તેની બધી ઇચ્છા પૂરી કરી હતી. માયાએ કયારેય તેના માતા-પિતાને સુરેશના સ્વભાવ અને મારવાની વાત કરી ન હતી.
એક દિવસ અચાનક માતા-પિતા ઘરે આવ્યાંને તેમણે બધું જોઈ લીધું, છાનામાના ત્યાંથી જતા રહ્યાં, ઘરે જઈને પપ્પાને છાતીમાં દુઃખાવો ઉપડયોને ભારે હૃદયરોગનો હુમલો આવ્યો.
આ બાજુ સુરેશે માયાને ખૂબ મારીને ઘરમાંથી કાઢી મૂકી, માયા રડતી પીયરનાં ઘરે આવી, ત્યાં પિતાનું મરણ થયું, સમાચાર સાંભળ્યાં.
માતાએ કહ્યું : દીકરી દુઃખમાં છે, એ જાણી પપ્પાને આવું થયું છે".
જેમતેમ કરી બધી વિધી પતાવી, માયાને તેની માતા એકલાં રહેવાં લાગ્યાં. માતાએ માયાને સુરેશ પાસે જવા ન દીધી. હવે આજીવિકા ચલાવવા માયાએ પોતાના નૃત્યનો સહારો લીધો. માયાએ નૃત્ય ક્લાસ શરૂ કર્યાને આત્મનિર્ભર બની સ્વમાનભેર જીવવા લાગ્યાં.
ઘરમાં નાની બાળાઓને તેમની પસંદનાં નૃત્ય શીખવ્યાં, માયાનો શોખ જળવાઈ રહ્યોને તે આત્મનિર્ભર બની, તેની માતા સાથે શાંતિથી જીવન જીવવા લાગી. માનવીને કોઈ શોખ જીવનમાં જરૂર પાળવો જોઇએ, જે ખરાબ સમયે આત્મનિર્ભર બનાવી શકે.