માતૃત્વની પરીક્ષા
માતૃત્વની પરીક્ષા
" એ... બા ! હું મુંબઈથી થેલીમાં પેક કરી લાવી હતી એ મારા ભગવાન ક્યાં છે..? અરે.. ! મને મળી ગયાં તમે એને સંતાડી રાખ્યાં હતાંને ? એ ગોખલામાં સામે પડ્યાં એ મારા જ ભગવાન છે ને ? બા તું સાવ ગાંડી છે. ભગવાનને આમ થેલીમાં થોડાં રખાય ?
પછી જો હું તને કહીશ તો તું કહેવાની સુધલી તું ગાંડી મરી છો. બા તું ચાલને મારી સાથે મારે નદીએ ન્હાવા જવું છે.
સાથે મારે મારા ભગવાનને પણ નવડાવા છે.. હે..બા તું મારી સાથે નદીએ આવીશને..?"
"ડોકટર સાહેબ આ મારી મોટી દીકરી સુધા મુંબઈથી આવી એને એક મહિનો થયો છે, સત્તર વર્ષનો યુવાન દીકરા સૂરજને ટીબીની બીમારી ખાઈ ગઈ. ને, ત્યારથી મારી દીકરી મગજનું સંતુલન ગુમાવી બેઠી. મુંબઈ રહેતા મારા જમાઈ ને સુરજથી નાનો દીકરો રવિ. એ તો આને સાચવી ન શકે ઉપરથી શહેરનું પાદર એટલે અમે અહીં ગામડે લઈ આવ્યાં. આંખો દિવસ બોલે તો બોલ્યાં જ કરે, અને મૌન રહે તો એ દિવસો સુધી બોલતી નથી. આ અંધારી રૂમમાં પોતાની જાતને કેદ કરી મહિનાથી આ સ્થિતિમાં આ રૂમમાં પડી રહે એક લવારો કરે એ આખો દિવસ એ વાતને ભૂલતી નથી.
એના મનનું ધાર્યું કરવા આપો તો શાંત થઈ જાય. પોતાનું બધું કામ જાતે કરી લે એની પણ કોઈ ચિંતા નથી પણ એ આવી ત્યારથી આ રૂમ છોડવાનું નામ નથી લેતી. જો એ બહાર નીકળે લોકોને મળે તો દુઃખ કંઈ હળવું થાય હવે મારે શું કરવું રડતાં સ્વરે સુધાની મમ્મીએ ડોક્ટરને કહ્યું."
"બહેન તમે ચિંતા ન કરો અને આવી હાલતમાં મગજની દવા કરવાનું બંધ કરી દો , સુધા જે કરે છે એને કરવા દો એનાં મનનું ધાર્યું ભલે કરતી સમય સાથે હૃદયમાં પડેલો ધાવ રૂઝાઈ જશે અને સુધા પહેલાની માફક સ્વસ્થ થઈ જશે એને આજે નદીએ જવું છે હું કહું છું તમે નદી લઈ જાવ."
"ભલે સાહેબ હું એને નદીએ લઈ જાઉં છું. આટલું કહી સુધાને કહ્યું ચાલ આપણે નદીએ જઈએ.
સુધાએ પેલી થેલીમાં રહેલા ભગવાનને સાથે લઈ નદીએ ગઈ. નદીએ પહોંચી સુધા પાણીમાં ઉતરી થેલીમાં રહેલા ભગવાનને પાણીમાં વહેતાં મૂકી બોલી તમે મારા દીકરાને સાજો ન કર્યો તો તમારું મારા ઘરમાં શું કામ. તમે તમારા ઘરે જાવ. આ બધું જોઈ સુધાની મમ્મી ચોધાર આંસુએ રડવા લાગ્યાં.
ઘરે આવી ફરી એ એનાં રૂમમાં પુરાઈ ગઈ ત્યારથી એ નાસ્તિક થઈ ગઈ. રૂમમાં મૌન થઈ પડી રહેતી આમ બે વર્ષ વીતી ગયા. આમ જ બે વર્ષ મૌન જ રહી. જમવાનું આપે તો જમતી સતત બે વર્ષ ઊંઘવા સિવાય કોઈ કામ ન કર્યું.
એટલે હવે સુધાની મમ્મીને બહુ ચિંતા રહેતી. દિવાળી નજીક આવી રહી હતી એટલે મકાનનું રીપેરીંગ કરવા અને મકાનને કલર કરવા માટે વિચાર્યું.
સુધા જે રૂમમાં સૂતી હતી ત્યાં નીચે ફળિયામાં કારીગરોએ રાખેલી રેતી અને સિમેન્ટમાંથી સુધાએ એક વાસણમાં રેતી સિમેન્ટ મેળવી અને તુલસીકયારામાંથી થોડી માટી ભેળવી એનાં રૂમમાં લઈ ગઈ અને બે દિવસમાં એમાંથી શ્રીનાથજીની એક નાનકડી મૂર્તિ બનાવી બે દિવસ તાપમાં સુકવી ફરી રૂમમાં લઈ ગઈ.
મમ્મી પાસે સોઈ દોરો મંગાવી એક કપડામાંથી ભગવાનનાં વસ્ત્રો તૈયાર કરી શ્રીનાથજીને ભોગ ધરાવવા બધી સામગ્રી મમ્મી પાસે મંગાવી બીજે દિવસે સવારે
શ્રીનાથજીની મૂર્તિને સ્નાન કરાવી વસ્ત્ર પહેરવાની ભગવાન પાસે દીપ પ્રગટાવી બે વર્ષે મુખેથી મૌન તોડી એને ગીત ગાયું...
"વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરુપ
શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના ભૂપ..
પાઘ બાંધે વાલો જરકશી ને સુંદર વાઘા સાર
પટકા છે તે પંચરંગના સજીયા તે સોળે શૃંગાર"
"આ સાંભળી સુધાની મમ્મી તો શ્રીનાથજીનો પાડ માનતા બોલ્યા હે શ્રીજી બાવા તારી લીલા અપરંપાર છે મારી દીકરીએ તમને નદીમાં વહેતા મુક્યા હતા ફરી એ હાથે તમારી મૂર્તિનું સર્જન કરી અને તમારી સેવા પૂજા કરવા લાગી ધન્ય છે પ્રભુ તમારી લીલા હવે મારી દીકરીને જલ્દી સ્વસ્થ કરી દો ભગવાન"
સુધા આંખો દિવસ પોતે બનાવેલી મૂર્તિ પાસે બેસી રહેતી અને એની કાળજી નાના બાળકની માફક કરવા લાગી ફરી મનમાં ભક્તિનો રંગ સુધાને લાગી ગયો..
આમ સમય પણ ધીમેધીમે વીતવા લાગ્યો જોતજોતામાં ફરી ત્રણ વર્ષ વીતી ગયા.સુધાનો નાનો દીકરો રવિ પણ સત્તર વર્ષની ઉંમરનો થઈ ગયો. બારમાની પરીક્ષા આપી વેકેશન હોવાથી આજે એ નાની ઘરે ગામડે આવ્યો.
નાનીને મળ્યો નાની પણ રવિને એક નજર જોતાં જ રહી ગયા અને બોલ્યાં તું તો એકદમ સૂરજની કાર્બન કોપી લાગે છે દીકરા આવડો મોટો થઈ ગયો તું ? તને જોઈ તારી મમ્મી શું કહે એ મારે જોવું છે."
"સારું નાની ચાલો મારે પણ મારી મમ્મીને મળવું છે"
રવિએ કહ્યું.
' એ રવીને લઈ સુધા જ્યાં હતી એ રૂમના દરવાજે લઈ ગયાં અને રવિને કહ્યું તારી મમ્મી દરવાજો ખોલે એટલે તારે કશું જ નહીં બોલવાનું એ બોલે એ સાંભળજે એ તને ઓળખે છે કે નહીં એ મારે જોવું છે.'
"સારું નાની હું કંઈ નહીં બોલું"રવીએ કહી દરવાજે આંગળથી ટપોરો માર્યો અને અંદરથી સુધાએ દરવાજો ખોલ્યો..
સુધા એક નજર રવીને નિહાળતી રહી કશું બોલી નહીં. પણ રવિ જેવો અંદર આવ્યો કે તેની નજર રવી એ ડાબા કાનમાં પહેરેલી કડી પર ગઈ."અને બોલી મારા સૂરજ તું દવાખાનેથી આવી ગયો દીકરા તારી તબિયત કેમ છે..?
રવીને પૂછી રવીને ગળે વળગાડી લીધો. રવીના ગાલે પપ્પી કરી ફરી બોલી જોયું મા મારો દીકરો સ્વસ્થ થઈ દવાખાનેથી આવી ગયો આજે હું બહુ ખુશ છું. મારા શ્રીનાથજીએ મારા દીકરાને સાજો કરી દીધો. ભગવાને મારી અને મારા માતૃત્વની ઘણી પરીક્ષા લીધી અને હું પાસ પણ થઈ ગઈ.
અને બા હવે મારા મુંબઈ મારા ઘરે પાછું જવું છે હો તારા ઘરે રોકાણી હવે ચાલ સૂરજ તું મારી બેગ પેક કરવામાં મદદ કર.."અને સુધા પાંચ દિવસ પછી ફરી મુંબઈ જવા દીકરા સાથે નીકળી ગઈ.
આજે પણ સુધા મુંબઈમાં એના દીકરા રવીને સૂરજ માની એની સાથે સુખી જિંદગી જીવી રહી છે.