માનવધર્મનો પ્રગટ્યો દીવો
માનવધર્મનો પ્રગટ્યો દીવો
તે સમી સાંજે ભયાનક વાતાવરણ હતું. મારો, કાપોનાં અવાજો કરતાં બંને કોમના લોકો સામસામે એસિડ બૉમ્બ, કાતરો, ધોકા, પથ્થરો છૂટાં મારી રહ્યાં હતાં. માત્ર ક્ટ્ટરતા અને નફરત તે સમયે જોવા મળી રહી હતી.
પણ કહેવાય છે ને, કે ઘોર અંધારામાં પણ ક્યાંક તો રોશની હોય જ છે. તેમ આવા ભયાનક હુલ્લડો વચ્ચે જ એક નાના ખંડેર બની ગયેલ ઘરમાં એક માણસ એ કોમી તોફાનોથી ગભરાઈને છૂપાયો હતો. તે પથ્થર વાગતાં ઘાયલ પણ થયેલો હતો કોમી તોફાન બંધ થાય તેવી ભગવાનને અરજ કરતો હતો. તેના ભીતરમાં માનવધર્મનો દીવો જલતો હતો.
ત્યાં જ અચાનક મોટું ટોળું રસ્તામાં હથિયારો સાથે બૂમો પડતું નીકળ્યું, ને અચાનક એક બીજો વ્યક્તિ ઘાયલ થયેલ જીવ બચવા ભાગતો હતો. પેલા છૂપાયેલા વ્યક્તિએ તેનો હાથ પકડીને અંદર ખંડેરમાં ખેંચી લીધો.
અંધારું થવા આવ્યું હોવાથી બંને એકબીજાની નજદીક બેસી ગયેલાં હતાં.
એકબીજાની સામે નજર પડતાં જ એકબીજાથી ડરવા લાગ્યાં કે, કદાચ કોઈ હુમલો પણ કરે.
પણ ધીરે ધીરે બંનેનો ડર ઓછો થયો. પેલા વ્યક્તિએ પૂછ્યું, "તુમ હિન્દુ હો ? મુજે મારના મત.. "
પેલો કહે, "હા હિન્દુ જ છું પણ હું આ કટ્ટરવાદથી દૂર રહેનાર સનાતની છું. હું ક્યારનો પ્રાર્થના કરું છું, કે આ હુલ્લડો શાંત થાય ક્ટ્ટરતા જલ્દી મટે ને માનવધર્મ પ્રગટ થાય."
આ સાંભળી પેલો વ્યક્તિ બોલ્યો,..
"ભાઈજાન હું પણ સાચો મુસલમાન છું. પ્રેમ જ અમારાં ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. લીલો રંગ અમારાં પ્રેમનાં પ્રતીકરૂપે અમે પસંદ કરેલ પણ આજ કોણ જાણે કેમ પ્રેમનાં રંગ પર આ કટ્ટરતાનો રંગ છવાઈ ગયો તે સમજાતું નથી. જો તમારાં જેવાં સનાતની હિન્દુ અને મારાં જેવાં પ્રેમને ધર્મનું હાર્દ માનનારા મુસ્લિમો બને તો આ હુલ્લડો કદાપી આપણાં ભારતમાં ન બને.
ત્યાં જ બહાર ફરી લોહી નીતરતી તલવારો સાથે ટોળું નીકળ્યું, અને તેમની અડફેટે એક નાની પાંચ વરસની બાળકી પડી ગઈ. તેનાં પગે છોલાતાં લોહી નીકળી રહ્યું હતું. તેની ચીસો સાંભળનાર કોઈ ન હતું. પેલા ખંડેરમાંથી એક યુવાન તે જોઈ બોલ્યો,
"યા અલ્લાહ રહેમ કર.. બચ્ચી કો મદદ કર.. !"
તો બીજો પણ પ્રાર્થના કરતાં બોલ્યો,.
"હે ભગવાન આ ફૂલ જેવી બાળકીની રક્ષા કરો."
નવાઈની વાત એ હતી કે બાળકી ક્યા ધર્મની હતી તે કોઈને ખબર ન હતી પણ તેને બચાવવાં માટે જે પ્રાર્થના, દુવા થતી હતી તે માનવધર્મ હતો.
હવે પેલા એક ઘાયલ વ્યક્તિએ નકકી કર્યું કે બાળકીને બચાવવી જ છે તે મોતનો ડર છોડી માનવધર્મ બજાવવા બહાર આવ્યો. પણ જેવો તે રોડ પર જઈ બાળકીને તેડીને પાછો છૂપાવા જતો હતો ત્યાં જ
" યે કાફીર કો કાટ ડાલો ઉન્હોને હમારે બહુત ભાઈઓ કો મારા હે.." આમ હાથમાં હથિયાર લઈ ચીસો પડતાં લોકો પેલાની ચારેકોર ફરી વળ્યા. અને જેવા છૂરો મારવા જાય કે પેલો ખંડેરમાં છૂપાયેલ વ્યક્તિ દોડતો આવી તેની વચ્ચે આવી કહે,..
"નહિ નહિ ભાઈજાન.. ! આ ભાઈ તો અલ્લાહનો નેક બંદો છે. આપણા અલ્લાહે શીખવેલ પ્રેમરૂપી ધર્મનું પાલન તે કરી રહ્યો છે આપ સહુ તેને જૂવો..
આ બોલનાર વ્યક્તિ એક મૌલવી હતો. તેને જોઈ સહુનાં હાથ રોકાયાં !
એક હથિયારધારી ગુસ્સામાં બોલ્યો,
"મૌલવી સાહબ અત્યારે પ્રેમ રખાય તેવો છે જ નહિ એમની જાતિના લોકો આપણાં લોકોને મારી રહ્યાં છે. "
ટોળું ફરી ઉશ્કેરાયું ને મારો મારો કરવા લાગ્યું પણ પેલો હાથ જોડી સહુને શાંત પાડી કહે, " તમારે મારવો જ હોય તો જરૂર મારજો પણ પહેલાં મારી વાત સાંભળો પછી જ મારો."
એમ કહી તે બોલ્યો, "હું પણ ડરથી આ ખંડેરમાં છૂપાયેલો હતો આ ભાઈ સાથે તેણે મને બચાવ્યો. અને આ ટોળાને હડફેટે આવેલ બાળકીને બચાવવાં તે દયાભાવનાથી પોતાની જાન જોખમમાં મૂકી બહાર આવ્યો તે હજીય જાણતો નથી કે આ બાળકી તેનાં ધર્મની કે આપણા ધર્મની છે છતાંય જો એ માનો કે આપણી બાળકીને બચાવવાં પોતાનો જીવ જોખમમાં મૂકતો હોય તો આનાથી મોટો માનવધર્મ અને આનાથી મોટો વ્યક્તિ કોણ હોઈ શકે ?"
ઠંડા પડેલાં લોકોને ઉદ્દેશીને પેલો કહે,.
"અલ્લાહને કભી કહીં નહિ કહા કી નેક લોગો કો મારો.. ઉનકી રક્ષા કરને કો કહા હે."
મૌલવીએ તે લોકોના હૃદય પીગળાવી નાખ્યાં અને કહે,
"હજીય તમારે આ સાચા માનવધર્મને માનનારા નેક માનવીને મારવો હોય ને તમારી ક્ટ્ટરતા જ સાચવી રાખવી હોય તો હવે તમને છૂટ છે."
આમ કહી મૌલવી બંદગી કરવા બેસી ગયાં કે "યા અલ્લાહ માનવધર્મ પ્રગટ કરો."
આ તરફ વારાફરતી હથિયારો મ્યાનમાં મુકાયા. અને પેલો વ્યક્તિ મૌલવીને જઈ ભેટી પડ્યો ને હરખતાં તે બોલ્યો,..
"ભાઈઓ આજ ક્ટ્ટરતાની હાર ને માનવધર્મની જીત થઈ છે. હવે હું આ સાચા અલ્લાહના બંદા મૌલવીને પણ હું સાથે લઈ જઈને મારી વાત મારી કોમના લોકોને કહી તેમને પણ સાચો માનવધર્મ સમજાવીશ, અને આ ક્ટ્ટરતા મીટાવી પ્રેમધર્મ ને માનવધર્મની જ્યોત પ્રગટાવી દરેકનાં હૈયે એકબીજાને જોઈ આનંદ છલકાય તેવો મધૂર ભાવ પેદા કરીશું."
આમ કહી પેલા ભાઈ સાથે મૌલવી ગયાં ને પોલીસ સાથે રાખી સમાધાન બેઠક કરી હુલ્લડનો અંત લાવ્યાં. કોમી તોફાનો બંધ થતાં બંને પક્ષનાં લોકોને રાહત થઈ. ફરી ધંધા રોજગાર શરૂ થયાં. ક્ટ્ટરતારૂપી અંધકાર દૂર થયોને સાચો માનવધર્મરૂપી દીવડો પ્રગટ્યો. પછી તો બધા ધર્મોમાં સર્વોપરી એવો માનવધર્મ બજાવતાં સહુ ખુશીથી ભેગા રહેવા લાગ્યાં.