કટોકટીને સમજવાથી સફળતા મળે
કટોકટીને સમજવાથી સફળતા મળે
દેશ આઝાદ થયો તે સમયની આ વાત છે. ત્યારે નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, માહિતી અને પ્રસારણ-પ્રધાન, દેશી રાજ્યોના ખાતાનો હવાલો જેવા વિભાગો પણ તેમની પાસે હતા. ત્યારે કટોકટીનો સમય હતો. ભારતસંઘને એક કરવાનો હતો. તેમાં મુશ્કેલીઓ ઘણી હતી. આ બધી મુશ્કેલીઓ બળથી દૂર કરી શકાય તેમ નહોતી. ભલભલા બહાદુર શાસક પણ અહીં કાચા પડે.
પણ આપણા ગૃહપ્રધાને પોતાની ફરજ બરાબર નિભાવી અને તે પણ ત્રણ વર્ષ જેવા ટૂંકા ગાળામાં. ત્યારે પોતાની સંવેદનશીલતાને દિલમાં સંઘરી દીધી. ન તેઓ વ્યાકુળ થયા કે ન તેઓ વ્યગ્ર થયા. તેઓ શું કરવું, શું ન કરવુંના 'કિંકર્તવ્યમૂઢ' પણ ન થયા. તેઓ માનતા કે પહેલા કટોકટીને સમજવી જોઈએ, એની પૂરેપૂરી વિગતો મેળવવી જોઈએ, એનો ઉકેલ શોધવો જોઈએ, ઉકેલ માટે સલાહ-મસલતો કરવી જોઈએ અને પછી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. આ બધી બાબતો લાંબો સમય લેવાથી શકય ન બને, એ માટે તો જેટની ઝડપે નિર્ણયો લેવા જોઈએ.
ત્યારે દેશ ઉપર આપત્તિઓનો પહાડ તૂટી પડયો હતો, મુશ્કેલીઓનું પૂર આવી ગયું હતું, કટોકટીનું વાવાઝોડું ફૂંકાતું હતું. આ ઝંઝાવાતોમાંથી દેશને કઈ રીતે બચાવવો એ કોઈને સમજાતું નહોતું. ત્યારે આપણા ગૃહપ્રધાને પોતાની કુનેહ બરાબર વાપરી. વિલક્ષણ વ્યક્તિત્વના માલિક ગૃહપ્રધાનશ્રી પોતાના રસ્તે આગળ વધતા જતા હતા. એક પછી એક કાયોઁ પાર પાડતા જતા હતા. ગંજાવર જવાબદારી બરાબર સંભાળતા હતા. આટલી મોટી જવાબદારીને વિચલિત થયા વિના પાર પાડયે જતા હતા. તેમનું સ્વપ્ન હતું દેશને યોગ્ય રસ્તે લાવવાનું અને તે સ્વપ્નને સાચું કરવા આગળ વધતા જતા હતા. તેમની સાથે દૃઢ સંકલ્પ હતો અને મક્કમ મન હતું. તેમના શરીરમાં બીમારી ઘર કરી ગઈ હતી. છતાં બધાં કાયોઁ પાર પાડયાં. પછી જ તેઓએ અંતિમ વાટ પકડી. આટલી બીમારી છતાં આટલું સચોટ કઈ રીતે વિચારી શકયા એ તો ડોકટરો પણ નક્કી ન કરી શકયા, કે ન મનોચિકિત્સો તેમના મગજનો તાગ મેળવી શકયા.
આવા કટોકટીને સમજીને વશ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આજે જ્યારે નાની જવાબદારી પણ આવી પડે ત્યારે આપણે નાસીપાસ થઈ જતાં હોઈએ છીએ. પણ હસતા મુખે એ જવાબદારીને સ્વીકારી લેવાથી તેને ઉપાડવાનો કદી' થાક લાગતો જ નથી.