કર્મોનો હિસાબ
કર્મોનો હિસાબ
"બસ, આખો જન્મારો બહુ રડી લીધું. હવે, હું ક્યારેય નહીં રડું." ખબર નહીં મારાં મનને આવા ખોટા વચનો હું કેટલા વર્ષોથી આપું છું ? અરે ! આજે તો મારે વૃદ્ધાશ્રમમાં નવા આવેલા સભ્યને સાંત્વના આપવા જવાનું છે પણ સાચું કહું, હું પણ ક્યાં હજી અહીં ખુશ છું ! મને તો મારો ભૂતકાળ વર્તમાનમાં પણ રડાવે છે.
આ ઉંમરે બાળપણનું તો હવે ઝાઝું યાદ નથી પણ હા... એક સમયે સુખી સંસાર મારો પણ હતો. સાસુ થોડાં ખારીલાં હતાં એટલે જ માવડિયણ રવિને થોડા ફોસલાવીને મેં અલગ રહેવા મનાવી લીધેલા. દીકરા રાજવીરના જન્મ પછી તો મારી ખુશી બેવડાઈ હતી પરંતુ જ્યારે મારાં સાસુ, સસરા રાજવીરને રમાડવાને બહાને ધામો નાંખતા ત્યારે મારી ખુશી અડધી થઈ જતી. છેવટે, આ ડોશી ડોશાથી છૂટકારો મેળવવાનો મેં કાયમી રસ્તો જ શોધી કાઢેલો પરંતુ ઈશ્વરે જાણે કર્મોનો હિસાબ કર્યો હોય એમ એક અકસ્માતમાં રવિનું અવસાન થયું. મેં દિવસ-રાત એક કરીને રાજવીરને ભણાવ્યો, પરણાવ્યો અને વિદેશ પણ મોકલ્યો, પરંતુ મારો એ લાડકવાયો વહુઘેલો થઈ ઉપકારો ભૂલ્યો અને મને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો ! કોણ જાણે ભાગ્યમાં શું જોવાનું બાકી હશે ? તે મને મોત પણ નથી આવતું !
અચાનક વૃદ્ધાશ્રમનાં સહાયક બેન જ નવા સભ્યનો પરિચય કરાવવા અમારા ઓરડામાં આવી પહોંચ્યાં. એ બદનસીબને જોવા મેં આંખો તથા ચશ્માં લૂંછ્યાં અને એક પરિચિત ચહેરો ખૂબ જ લાચાર અવસ્થામાં દેખાતાં હું ચોંકી ગઈ ! મારું હૃદય ધબકાર ચૂકી ગયું અને મન બોલી ઊઠ્યું,
"વાહ રે પ્રભુ ! કર્મોના હિસાબની તારી ગણતરી એકદમ પાકી છે."