ખમીરવંતો સરદારનો પરિવાર 17
ખમીરવંતો સરદારનો પરિવાર 17
'શું બને ?'
'લોકો તમારી પાસે આવે ને તમારા હાથમાં આનો-બે આના મૂકે. એમ સમજીને કે ગામમાં થઈને આ કોઈ ભિખારણ જઈ રહી છે !'
'ભલેને સમજે.'
ત્યાગીજી રમૂજ ખાતર બોલી રહ્યા હતા. વલ્લભભાઈ પલંગ પર પડયા પડયા સંવાદ સાંભળી રહ્યા હતા. ત્યાગીજીના શબ્દો અને દીકરીનું થીંગડું જોઈને એય હસતા હતા. એટલે ત્યાગીજી બોલ્યા,
'તમે હસો છો સાહેબ ?'
'હસવા જેવું છે એટલે તો હસું છું.'
'હસવા જેવું શું છે ?'
'મણિનું થીંગડું અને તમારા દેહરા ગામની વાત ! મણિના હાથમાં ભિખારણ સમજીને ગામના લોકો આનો-બે આના મૂકી દે એ તો બહુ સરસ વાત કહેવાય !'
'કેમ ?'
'જુઓ, બજારમાં કેટલાય લોકો ફરતા હશે અને આ રીતે મણિની સાડીનું થીંગડું જોઈને આનો-બે આના મૂકતા જાય તો ઘણા બધા રૂપિયા એકઠા થઈ શકે ! ત્યાગીજી, તમે તો મને નવો ઉપાય આપ્યો !'
ત્યાગી ચૂપ થઈ ગયા. વલ્લભભાઈનાં કપડાં ફાટી જાય ત્યારે મણિબહેન એમાંથી પોતાનાં કપડાં બનાવી લે છે. એમનાં ફાટેલા ધોતિયામાંથી એમની સાડી બની જાય ને ફાટેલા ઝભ્ભામાંથી એમનું બ્લાઉઝ બની જાય !
ત્યાગીજી તો જોઈ જ રહ્યા મણિબહેન સામે ! મણિબહેનની સાદગી જોઈને એમની પાસે કશું પણ કહેવા માટે શબ્દો જ બચ્યા નહોતા !
હવે વલ્લભભાઈ કહે છે, 'ત્યાગીજી ! સાંભળો મારી વાત. મણિ ગરીબ દેશના ગરીબમાં ગરીબ માણસની દીકરી છે. કયાંથી સારાં કપડાં લાવે ? એનો બાપ કયાં કશું કમાય છે ?' આટલું કહીને વલ્લભભાઈ પટેલે એમનાં ચશ્માનું ખોખું ત્યાગીજીને બતાવ્યું, જે વીસ વર્ષ જૂનું હતું ! ત્રીસ વર્ષ જૂની એક ઘડિયાળ બતાવી ! એક દાંડીવાળાં ચશ્મા બતાવ્યા, જેની બીજી બાજુએ દોરી બાંધેલી હતી. આ બતાવીને ફરી બોલ્યા, 'છું ને સાવ ગરીબ ?'
આ મણિબહેન જીવ્યાં ત્યાં સુધી સાદગીથી રહ્યાં અને કયારેય કોઈને કોઈ તકલીફ પહોંચાડી નહોતી. ઈ.સ. ૧૯૯૦માં તેમનું મૃત્યુ થયું.
(ક્રમશ:)