Prashant Subhashchandra Salunke

Drama Tragedy Inspirational

4.7  

Prashant Subhashchandra Salunke

Drama Tragedy Inspirational

જંજીર

જંજીર

5 mins
239


“એ... એ... દાદા આવ્યા... ગોટાળો લાવ્યા... દાદા પાગલ... દાદા પાગલ...” 

કડલા ગામની પાદરે બસમાંથી ઉતરેલા કરસનભાઈને ગામના બાળકો ઘેરીને ચિઢાવી રહ્યા. કોઈક તેમની ધોતી ખેંચી રહ્યું હતું. તો કોઈક તેમનો ઝભ્ભો. ગામના લોકો માટે આ કોઈ નવાઈની વાત નહોતી. આ તો તેમનો રોજનો ક્રમ હતો. કરસનભાઈએ છડી ઉગામી “ખસો અહીંથી” કહેતાની સાથે બાળકો ત્યાંથી ભાગ્યા.

ગામના ચોકમાં બેઠેલા એક યુવાને ટકોર કરી, “આ કરસનભાઈનું ગાંડપણ ગામને લઈ ડૂબશે. આખો દિવસ કોઈકને કોઈક જોડે મગજમારી. આખો દિવસ ગામ આખામાં પંચાત કરતો ફર્યા કરે છે. તેનામાં કાંઈ અક્કલ જેવું છે નહીં અને બસ સવાર પડતાની સાથે હાલી નીકળે છે.”

કરસનભાઈએ કપાળ પર બાઝેલી પ્રસ્વેદની બુંદોને લૂછવાના બહાને યુવાનો તરફ તીરછી નજર કરી. કરસનભાઈ જોઈ રહ્યા છે એ ખ્યાલ આવતા યુવાનો ખડખડાટ હસવા લાગ્યા. ક્રોધથી કરસનભાઈ ત્યાંથી નીકળી ગયા પરંતુ યુવાનોની ખીલખીલાટે ખાસ્સા અંતર સુધી પીછો છોડ્યો નહીં. 

આખરે કરસનભાઈ ઘરે પહોંચ્યા. ઘરમાં પગ મુકતાની સાથે તેમની પત્ની સુશીલાબેને ક્રોધથી તમતમતા કહ્યું, “તમે આ શું માંડ્યું છે ? આજે પાછા જમીનદારના માણસો ઘરે આવ્યા હતા.”

“શું કહેતા હતા ?”

“તમને ગામ આખાની પંચાત છોડી ઘરમાં ચૂપચાપ પડી રહેવાનું કહેતા હતા. તેઓએ તાકીદ પણ આપી છે કે જો તમે તમારું વર્તન નહીં સુધારો તો આપણા પરિવારને ગામ બહાર કરશે. તમે આજે પાછુ શું લફરું કર્યું ?”

 “મેં પોલીસકેસ કર્યો છે.”

 “કોના પર ?”

 “જમીનદાર પર.”

 “હે ભગવાન ! તમારું મગજ તો ઠેકાણે છે ? અરે ! જે જમીનદારને આખુંય ગામ ભગવાન માને છે તમે તેની પર જ પોલીસ કેસ કર્યો !”

 “હા”

 “પણ કેમ ?”

 “હું આપણા ગામને જમીનદારની ગુલામીમાંથી આઝાદી અપાવવા માંગું છું.”

 “અરે ઓ, સ્વતંત્ર સેનાની. આપણો દેશ વર્ષો પહેલા આઝાદ થઈ ગયો છે. તેની સાથે આપણું આ ગામ પણ હવે આઝાદ છે. હવે આ આઝાદીનું ભૂત મગજમાંથી કાઢો અને ઘરે બેસી પ્રભુભજન કરો. ૮૫ વર્ષની ઉમરમાં પણ જપ નથી આ માણસને. ગામ આખામાં ત્રાસદી ફેલાવી દીધી છે. આઝાદી, આઝાદી, મુઈ એ આઝાદી.” 

 કરસનભાઈએ કહ્યું, “તને આ વાતમાં ખબર નહીં પડે.”

 સુશીલાબેન તાડૂક્યા, “અને તમને પડે !”

 તેઓની આ તકરાર ચાલુ જ હતી ત્યાં કરસનભાઈનો દીકરો મનસુખ નોકરીએથી પાછો આવ્યો. રોજની જેમ તેને માતાપિતા તકરાર કરતા જોવા મળ્યા. મનસુખે ટિફિન એકતરફ મૂકતા કહ્યું, “શું થયું મા ? શું કામ ગુસ્સો કરે છે. પિતાજીનો સ્વભાવ જ એવો છે તેમાં તું ક્યાં પોતાનો જીવ બાળે છે.”

“બેટા, હું તો આ માણસથી ત્રાસી ગઈ છું. સ્કુલ સામે આમરણ અપવાસની ધતિંગ માંડ પૂરી થઈ હતી કે તારા પિતાએ નવું તુત ઊભું કર્યું. જાણે છે તેમણે જમીનદાર પર પોલીસ કેસ કર્યો છે. જમીનદાર આ વાતથી ખૂબ રોષે ભરાયેલો છે. તેણે આપણને ધમકાવવા પોતાના માણસો પણ મોકલ્યા હતા.”

મનસુખે કહ્યું, “પિતાજી, આ શું કર્યું ? જમીનદાર પર પોલીસ કેસ! તેની પહોંચ ક્યાં સુધી છે એ તમે જાણો છો છતાંયે હાથે કરી કેમ ઉપાધી વહોરી લીધી ?”

 કરસનભાઈએ કહ્યું, “બેટા મનસુખ, તારી મા કચકચ કરે છે કારણ તે અજાણ છે. પરંતુ તું ? તું તો એ જમીનદારના સઘળા ખેલ જાણે છે ને ?”

 મનસુખે શાંતિથી કહ્યું, “સારી પેઠે જાણું છું પિતાજી, જમીનદારે ગામના યુવાધનને દારૂના રવાડે ચઢાવ્યા છે. તેઓને નશાની લત લગાવી તેઓની જમીન સસ્તા ભાવે ખરીદી લીધી છે. દારૂના નશામાં ખેડૂતોને યાદ જ નથી કે તેમણે ક્યાં અને કેટલા કાગળિયાં પર અંગુઠા માર્યા છે તે. કાલના જમીનના માલિક એવા ખેડૂતો આજે પોતની જ જમીન પર ગણોતિયા છે. હું સઘળું જાણું છું, પણ ગામલોકો બધા ખુશ છે. કારણ સાંજે દારૂની મિજબાની ગોઠવી જમીનદાર તેમને ખુશ રાખે છે. દારૂ તેઓના લોહીમાં એટલા હદે ભળી ગઈ છે કે તેઓને સારાનરસાનું કશું ભાન જ રહ્યું નથી. દારૂએ તેમનું સ્વાભિમાન અને પુરુષાતન બંને હણી લીધું છે. એવા નમાલા લોકો એ જમીનદાર સામું હરફ પણ ઉચ્ચારવાની હિંમત નહીં કરે. હું શાંત છું કારણ હું વાસ્તવિકતા જીવવાનું પસંદ કરું છું.”

“બેટા, પણ હું એવી રીતે જીવી શકતો નથી. હું મારા ગામને જમીનદારની ચુંગલમાંથી આઝાદ કરવા માંગું છું. મારું ગામ પહેલા જેવું આબાદ અને ખુશહાલ જોવા માંગું છું.”

“પિતાજી, શું તમે જાણો છો કે, આખું ગામ હવે તમને પાગલ કહી રહ્યું છે ?

“જાણું છું ? અને એ પણ જાણું છું કે આની પાછળ જમીનદારનો જ હાથ છે. તેના જ ફોસલાવાથી તેના ચમચાઓએ હું પાગલ છું એવી વાત વહેતી કરી છે. પણ મને એનાથી કશો ફરક પડતો નથી. હું તેની સામેની લડાઈ ચાલુ જ રાખીશ. મારા શરીરમાં છેલ્લો શ્વાસ છે ત્યાં લગી હું હિંમત નહીં હારું.”

“પિતાજી, તમારી ભાવના ઉમદા છે. પરંતુ તમને કોઈ સાથ આપે નહીં. આપણને ગામમાંથી બહાર કાઢી મૂકશે તો પણ કોઈને કશો ફરક પડે નહીં. જમીનદારની બીકથી આપણી મદદ કરવાનું તો છોડો, પરંતુ આપણને સાંત્વનાના બે શબ્દો પણ કહેવા કોઈ નહીં આવે. પિતાજી, વાસ્તવિકતાને સમજો અને બંધ કરો તમારી આ ચળવળો અને આમરણ ઉપવાસો. દેશ આઝાદ થઈ ગયો છે. કોઈને હવે ક્રાંતિની જરૂર નથી.”

“ના બેટા, ના. દેશ આઝાદ થઈ ગયો છે પરંતુ આપણે દેશવાસી નહીં. આપણે હજી પણ ગુલામ છીએ. આપણે ગુલામ છીએ એ માનસિકતાના કે બધું બરાબર ચાલી રહ્યું છે. આપણે ગુલામ છીએ એ વિચારના કે આપણને શો ફરક પડવાનો છે ? આપણે ગુલામ છીએ એ ડરના કે, કોણ જીવનો જોખમ લે ? આપણે ગુલામ છીએ જમીનદાર જેવા ભ્રષ્ટ લોકોના. બેટા એક વાત કહું ? આઝાદીની જો ખરેખર જરૂર હોય તો એ આજના સમયમાં છે. આજે દેશને આઝાદ કરવો છે. આ વિચારોથી, ડરથી, અને બેટા આઝાદી સહજતાથી મળતી નથી. લડીને જીતવી પડે છે.”

 તેઓ વાતો કરી જ રહ્યા હતા ત્યાં એક મોબાઈલ-વેન આવીને તેમના ઘર પાસે રોકાઈ. તેમાંથી સફેદ ગણવેશધારી ચાર ઈસમો નીચે ઉતરતા બોલ્યા, “પેલો રહ્યો એ પાગલ. પકડી લો તેને.”

 તેઓ કરસનભાઈ પાસે આવીને બોલ્યા, “ચાલ, અમારી સાથે.”

 કરસનભાઈએ કહ્યું, “હું મારા ચંપલ પહેરી લઉં.”

 “અરે ! પગમાં ચંપલ હોય કે ન હોય તેનો પાગલને શો ફરક પડે ?” ચાલ અમારી સાથે” આમ કહીં તેઓ કરસનભાઈને વેન તરફ ખેંચીને લઈ જવા લાગ્યા.

 મનસુખે ચકિત થઈને પૂછ્યું, “મારા પિતાજીને ક્યાં લઈ જાઓ છો ?”

 ત્યાંજ એક કાર આવીને રોકાઈ. તેમાંથી જમીનદાર નીચે ઉતરતા બોલ્યો, “જે કામ તમે નહીં કર્યું એ આ લોકો કરી રહ્યા છે. આ પાગલ ગામ આખા માટે ઉપાધિ બની બેઠો છે. લઈ ચાલો રે. આ પાગલને પાગલખાનામાં”

 જમીનદારની હાજરીથી એ ચારેયમાં જોમ આવ્યું. તેઓએ જોરથી ધક્કો મારી કરસનભાઈને વેનમાં ધકેલ્યો. પીડાથી કણસતા કરસનભાઈ વેનની અંદર જઈને પડ્યા. બીજી જ મિનિટે ડ્રાઈવરે વેન શરૂ કરી. વેનની બારીમાંથી મનસુખને જોઈને કરસનભાઈ મદદની બુમ પાડવા લાગ્યા. મનસુખ લાચાર અવસ્થાએ ત્યાંજ ઊભો રહ્યો. તેની અંતરાત્મા ચીખી ચીખીને કહી રહી હતી કે “મારા પિતાજી પાગલ નથી. પાગલ નથી.” પણ મોઢા સુધી આવેલા એ શબ્દો હોઠમાંથી બહાર નીકળવાની હિંમત કરતા નહોતા. કારણ સામે જ જમ જેવો જમીનદાર ઊભો હતો. આજે પહેલીવાર મનસુખને પિતાજીની વાત સાચી લાગી કે, “દેશ આઝાદ થયો છે પરંતુ હજુ આપણે માનસિક રીતે ગુલામ જ છીએ. ખબર નહીં ક્યારે દૂર થશે આ ગુલામીની જંજીર.”


Rate this content
Log in

Similar gujarati story from Drama