ઈશ્વરનો સંકેત
ઈશ્વરનો સંકેત
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
મિત્રો આપણાં જીવનમાં પણ અમુક એવાં પડાવ આવતાં હોય છે કે એ સમયે આપણે ફરજિયાત કોઈને કોઈ વિકલ્પની પસંદગી કરીને નિર્ણય લેવાનો થતો હોય છે, જેમાંથી આપણાં અમુક નિર્ણય સારા સાબિત થાય છે, તો અમુક નિર્ણયો એટલાં બધાં ખરાબ સાબિત થતાં હોય છે કે જે આપણી લાઈફને પણ તબાહ કરી શકે એવી પણ નોબત આવતી હોય છે, આવી જ એક ઘટના મારી સાથે બનેલ હતી, અને મેં પણ તે સમય એક વિકલ્પની પસંદગી કરેલ હતી.....જે આખી ઘટનાં નીચે મુજબ છે.
"હેલ્લો ! રાહુલ મકવાણા ! આવતાં શુક્રવારે તમારો ભાવનગરમાં એક સેમિનાર છે, તો તમારે એ સેમિનારમાં સંબોધન કરવાં માટે આવવું પડશે..પ્લીઝ...!" - સામેની તરફથી મને વિનંતિ કરવામાં આવી.
"ઓકે ! સ્યોર ! હું આવતાં અઠવાડિયે શુક્રવારે સમયસર ભાવનગર પહોંચી જઈશ...!" - મેં પ્રત્યુત્તર આપતાં કહ્યું.
"જી ! સાહેબ ! તમારો ખુબ ખુબ આભાર....!" - આટલું બોલી સામેની તરફથી કોલ ડિસ્કનેક કર્યો.
ત્યારબાદ મેં મનોમન ભાવનગર જવાં માટેનો પ્લાન બનાવી લીધો, અને અંતે એ ગુરુવાર પણ આવી ગયો, આથી મેં ગુરુવારનાં રોજ રાજકોટથી ભાવનગર જવાં માટે એક ટ્રાવેલ્સમાં રાતે આઠ વાગ્યાંની ટીકીટ બુક કરી....
આથી ગુરુવારે મેં અને મારા પત્નીએ વહેલું જમી લીધું અને હું મારું બેગ લઈને ઘરની બહાર નીકળ્યો, બરાબર આ જ સમયે એકાએક મારા પત્નીનાં પેટમાં અતિશય દુખાવો થવા લાગ્યો, આથી મેં બેગ નીચે મૂકી, અને મારા પત્નીને તાત્કાલિક નજીકમાં આવેલ સિવિલ હોસ્પિટલે લઈ ગયો, ત્યાં ડોક્ટરે તેની તપાસ કરીને એક પેઈન કિલર ઇન્જેક્શન આપ્યું, થોડીવારમાં તેની તબિયત સારી થઈ ગઈ....પરંતુ આ બધી દોડાદોડીમાં મારી બસનો સમય નીકળી ગયો, અને હું બસ ચુકી ગયો.....આથી મેં શુક્રવારે સવારે 6 વાગ્યાની ટીકીટ બુક કરાવી..... મારી સાથે જે ઘટનાં બની એ ઘટના આમ તો એક સામાન્ય ઘટનાજ હતી...પરંતુ એમાં પણ કુદરતનો જ કંઈક ઈશારો કે સંકેત હશે એ મને એ સમય સમજાયું નહીં.
શુક્રવારે સવારે....
આથી શુક્રવારે સવારે હું વહેલો 4: 30 વાગ્યાની આસપાસ જાગી ગયો, અને ફ્રેશ થવાં માટે ગયો, અને થોડીવારમાં ફ્રેશ થઈને, બહાર આવ્યો, જેવો હું બાથરૂમની બહાર ફ્રેશ થઈને આવ્યો, એવામાં મારી પત્ની ગભરાયેલ હાલતમાં ચિંતા સાથે, હાથમાં મોબાઈલ લઈને આવી....અને મને મોબાઈલ આપતાં કહ્યું.
"રાહુલ..! આ જુઓ તો..આજનાં ન્યુઝ ! શું આ ખરેખર સાચા ન્યુઝ છે...?" - ધ્રુજતાં - ધ્રુજતાં અવાજે મારી પત્ની બોલી.
મેં મોબાઈલમાં જોયું તો તેમાં ઓનલાઈન ન્યૂઝની એક સાઇટ ખૂલેલ હતી, જેમાં બ્રેકીંગ ન્યૂઝમાં લખેલ હતું, કે રાજકોટથી ભાવનગર જતી પ્રાઇવેટ લકઝરી બસનું આટકોટ આગળ ભયાનક અકસ્માત થયો, જેમાં હાજર રહેલાં તમામ મુસાફરો, અને ડ્રાઈવરનું ઘટનાં સ્થળે જ મોત નીપજ્યું...!
આ સમાચાર વાંચીને મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું....હૃદય જાણે થોડાક ધબકારા ચુકી ગયું હોય તેવું લાગી ગયું, મારા હાથ પણ કંપવા લાગ્યાં હતાં, કારણ કે જે બસનો અકસ્માત થયો એ બીજી કોઈ નહીં પરંતુ એ જ હતી કે જેમાં મેં મારી ટીકીટ બુક કરાવેલ હતી....! મનમાં એક પ્રકારનું વિચારોનું વાવાઝોડું શરૂ થયું અને મનોમન ભગવાનનો ખુબ - ખુબ આભાર માન્યો.
મનમાં એક વિચાર આવ્યો કે ભગવાન કે ઈશ્વર આપણી સાથે જે કંઈ ઘટનાં બનવાની હોય પછી તે ભલે સારી કે ખરાબ હોય પરંતુ તેનો આગોતરો સંકેત કે ઈશારો તો આપતાં જ હોય છે...મારા કિસ્સામાં મારા પત્નીને એકાએક પેટમાં અસહ્ય દુખાવો થવો એ પણ એક આગોતરો સંકેત જ હતો....ત્યારે મને સમજાયું કે મેં જે નિર્ણય કે વિકલ્પની પસંદગી કરી એ કદાચ મારા દ્વારા લેવાયેલા તમામ નિર્ણયો કે વિકલ્પોમાંથી શ્રેષ્ઠ પસંદગી હશે.
ત્યારબાદ એ જ દિવસે સવારે ચા - નાસ્તો કરીને હું ઘરેથી ટ્રાવેલ્સ ઓફીસ જવાં માટે રવાનાં થયો, અને ટ્રાવેલ્સમાં બેસી ગયો, અને 10 કલાકની આસપાસ ભાવનગર પહોંચી ગયો, અને એ દિવસે મેં મને જે સેમિનાર માટે આમંત્રણ આપવામાં આવેલ હતું, તે સેમિનાર એટેન્ટ કર્યો, અને એ જ દિવસે રાતે ફરી પાછો રાજકોટ આવી ગયો.