ગંગાબા
ગંગાબા
આજે માનસિંહ હોસ્પિટલનાં ખાટલે સૂતેલા, બીમારીથી ઘેરાયેલ ગંગાબાને સજળ નજરે નીરખી રહ્યો.
ગંગાબા ઉપકારી, શાંત, સંતુષ્ટ, નમ્ર અને મધુરા. ગંગાબાનું વ્યક્તિત્વ તેના તેજસ્વી ચેહરા, સ્નેહ નીતરતી આંખો, વાત્સલ્યસભર બોલ અને માળા કે ભગવાનનાં પુસ્તકોસભર હાથથી ખૂબ જ દીપાયમાન થતું.
માનસિંહ નાસિક નજીકનાં ગામથી ૧૦ વર્ષ પહેલા ધંધા માટે સુરત આવ્યો હતો. ગંગાબાને ત્યાં ભાડે દુકાન શરૂ કરી. વતનથી દૂર અજાણ્યા શહેરમાં એકલા પડેલા માનસિંહને ગંગાબાની હૂંફ સાચવતી.
બા દરેક સંબંધીને કહેતા," આ મારો પાંચમો દીકરો." ઘરનાં દરેક પ્રસંગે તેને આગળ રાખતા, પોતાના હાથની બનાવેલી દરેક નવી વાનગી પ્રેમથી જમાડતા, સાંજે તેની ઓસરી બહાર બેસી સત્સંગ સંભળાવતા, માંદા પડેલ માનસિંહ માટે દોરા કે સમાધિ મંદિરનું પાણી પણ મંગાવી પીવડાવતા તો કયારેક સંબંધોથી અકળાયેલ તેને કર્મનાં લેખાજોખા સમજાવી સાંત્વના આપતા હતા.
માનસિંહ પણ સંયુકત કુટુંબ ચલાવવામાં આર્થિક સંકડામણ અનુભવતા બા ને જ્યારે જરૂર હોય ત્યારે ચૂપચાપ મદદ કરતો પણ બા સમય પ્રમાણે પૈસા ચૂકવી દેતા.
મા બની સાચવી લેનાર ગંગાબાનાં ઉપકારો એને આજે લાગણીસભર બનાવી રહ્યાં છે.
સફેદ સાડલો, માથે ચંદનનું તિલક, ગળે ગુરુની કંઠી અને આંખો બંધ...જાણે કે ભગવાનને લેવા બોલાવી રહ્યાં હોય, ખાટલે સૂતેલાં
બાને મળવા આવેલ માનસિંહ બોલ્યો," બા, સારૂ છે ને."
બા બોલ્યાં, " આવ દીકરા, તારી જ રાહ જોઈ રહી છું. હવે જવું પડશે પણ જ્યાં સુધી આ ઘરમાં તું રહે દીકરા, ત્યાં સુધી આ પરિવારને તું અને મહેશ (બા નો છેલ્લો દીકરો) સાચવી લે જો."
માનસિંહે બાનો હાથ પોતાનાં હાથમાં લઈ લીધો જાણે મૂક સંમ્મતિ આપી...પણ મનોમન ભગવાનને કહેતો હોય," સાચવી લે ને મારી દેવતુલ્ય બા ને..ઉપકાર માનીશ તારો પ્રભુ."