ઘરભંગ
ઘરભંગ


એ જ બાગ,એ જ લીલીછમ પથરાયેલી જાજમ, એ જ બાંકડો હવે નથી ગમતો.યશવંતને અત્યાર સુધી બહુ ગમતી રોજની બેઠકમાં હવે આવવાનું મન નથી થતું.
“અરે રાજ્જા ! કેમ ઉદાસ છે ? તબિયતમાં તિરાડ છે ? રિપોર્ટમાં ગડબડ આવી છે ?”
રમણિક અઠવાડિયા પછી બગીચામાં આવેલા યશવંતને હળવો ધબ્બો મારીને પૂછી રહ્યો હતો. છેલ્લા કેટલાંક વર્ષોથી બાગમાં નિવૃત્ત અથવા સાઇઠ વર્ષ પસાર કરી ગયેલા મિત્રોની સાંજે પાંચથી સાત વાગ્યા સુધી બેઠક જામતી. જાતજાતના વિષય પર ગામગપાટા અને ચર્ચાઓ ચાલતી. કોઈ વાર કોઇને જિંદગીમાં ઉભા થયેલા પ્રશ્નોના ઉકેલ પણ ભેગા થઇને કાઢવામાં મદદ થતી.
દસ મિત્રોમાં ત્રણ વન વટાવી ગયેલી મહિલામિત્રો પણ હતી. આમ તો દસે દસ મિત્રોને પોતાના પરિવાર હતા. પાંચેક મિત્રોના જીવનસાથી વિદાય પામ્યા હતા. એમાં યશવંત અને વાસંતી પણ ખરાં.
સાથે બેસતા મિત્રોમાં યશવંતને ક્યારે વાસંતી પ્રત્યે સહેજ કોમળતા કેળવાઈ એ ખબર ન રહી. જતી જિંદગીએ એ લાગણી ન હોવી જોઇએ એવી સભાનતા છતાં કંઇક તો ગમવા લાગ્યું હતું. અરસપરસ કોઈ સીધી વાતચીત નહોતી છતાં અંતાક્ષરીમાં ગવાતાં ગીતો પોતાને માટેજ હોય એવું મહેસુસ થતું.
બગીચાની બેઠક ઔપચારિક ન રહેતાં મીઠી લાગતી. પણ માંડ છ મહિના આ ક્રમ રહ્યો ત્યાં વાસંતીના દિકરાની બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ જતાં એણે બગીચામંડળમાં જાહેરાત કરી અને વિદાય લીધી.
બસ, યશવંતને બીજી વાર ઘર તૂટ્યાની સહજ લાગણી થઈ આવી.
રમણિકના સવાલનો જવાબ આપતાં યશવંતે કહ્યું, “આમ તો બધું સારું જ છે દોસ્ત પણ મનનો બાંકડો ખાલી થઈ ગયો.”
બગીચામંડળ થોડું સમજ્યું ને બાકીનું સમજવા છતાં ન સમજ્યું. હા, દરેકના મનમાં ક્યારેક પોતાના મનના આંગણે પણ સૂના થયેલા બાંકડાની સ્મૃતિ સળવળી રહી હતી.