બચાવો ~ 4
બચાવો ~ 4
લગભગ બપોરના બે વાગે, પોસ્ટ મોર્ટમ પતતા, બોડીનો હવાલો મળ્યો, અને રીંકલની અંતિમ ક્રિયા પતાવી, સોહનલાલ મનમાં વિચારતા હતા કે સમયનું ચક્ર ગજબનું છે, હજુ ગઈકાલે કેવી ખુશી અને ઉમંગ હતો અને આજે કેવો માતમ છવાયેલો છે. તેઓ દુ:ખી થતાં હતા કે, હું રીંકલને સાચવીના શકયો. રમીલાબેન,સોહનલાલને ઉદેશીને બોલ્યા, વેવાઈ, તમે દુ:ખી ના થાવ, તમારો કે આકાશ કુમારનો શું વાંક ? સૌ ઉપરવારાની મરજી થી ચાલતું હોય છે. તમારા આંસુથી રીંકલના આત્મા ને દુ:ખ પહોચશે.
હત્યાની ઘટનાની બીજી સવારે ઈજા પામનાર આકાશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ભારપૂર્વક પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો, પછી શું થયું તે મને ખબર નથી બસ પછી જ્યાર આંખ ઊઘડી ત્યારે માથે પાટો હતો અને અંહી ડોક્ટર કાકા પાસે હતો. ક્રાઈમ બ્રાંચે રીંકાલની હત્યાનો ગુનો પુરવાર કરવા મેડિકલ વિષયના નિષ્ણાત સિવિલ હોસ્પિટલના ડો. યાકુબનો અભિપ્રાય એકત્રિત કર્યા બાદ તેમને ફરિયાદ પક્ષના મહત્ત્વના સાક્ષી તરીકે અદાલતમાં હાજર કર્યા હતા. કોર્ટમાં ડો. યાકુબે તેમની જુબાનીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આકાશના માથામાં તથા આંખના ભાગે થયેલી ઈજાઓ સામાન્ય પ્રકારની હતી. આવી ઈજાઓ ખુદ જાતે જ કરી હોય કે પછી કોઈએ મિત્રભાવે પણ કરી હોય.
કોર્ટ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન આકાશ તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી દસ્તૂરજી તથા તેમના સહાયક વકીલો લલીત દલવી તથા સ્મિતા શર્મા અને પી. એચ.પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે સરકાર તરફથી વરિષ્ઠ સરકારી વકીલ જતિન ધોળકિયા તથા સંજય સોલંકી હાજર રહ્યાં હતાં. સોહનલાલની ભાવિ પુત્ર વધુ રીંકલ ના આકસ્મિત મૃત્યુમા દેખીતી રીતે આકાશ સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં માત્ર સાંયોગિક સંજોગોને આધારે તેને ગુનેગાર ઠરાવતો સરકારી મશીનરીના પ્રયાસને વખોડતા વરિષ્ઠ વકીલ દસ્તૂરજી અસરકારક રજૂઆતો કરી હતી.
તેઓએ જણાવ્યુ કે રીંકલની હત્યા આકાશ શામાટે કરે ? હત્યા પાછળ તેનો મોટીફ ( ઈરાદો ) શું હતો ? તેની કોઈ જ માહિતી પોલીસને પ્રાપ્ત થઈ શકી નથી કે તેઓ રજૂ કરી શક્યા નથી. મારા અસીલ આકાશના તેની ભાવિ પત્ની અને તેના કુટિંબીજનો સાથે સુમેળભર્યા સંબંધો હતા, તો પછી, આકાશ શા માટે તેની મંગેતર રીંકલની હત્યા કરે, તે પ્રશ્નનો કોઈ જવાબ સરકારી પક્ષ આપી શક્યો નથી.
આકાશને માથામાં, આંખના ભાગે થયેલી ઈજાઓ અંગે તેની સારવાર કરનાર ડો. નીરવની જુબાની વિશ્વસનીય હોવાનું દસ્તૂરજી ભાર પૂર્વક જણાવ્યુ, આકાશના માથામાં પથ્થરની ધાર અથડાવથી થયેલ ઘા એવો જોરદાર હતો કે તે ખોપરીના હાડકા સુધી પહોંચી ગયો હતો. જો તેના પાડવામાં થોડો વધારે ફોર્સ હોત તો આકાશની ખોપરીનું હાડકું પણ તૂટી શક્યું હોત, તેમ જ તેના માથાના અને આંખના ભાગ થયેલી ઈજાથી નીકળેલા લોહીના રેલા અંગે ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે, માનવ શરીરનું અત્યંત નાજુક અંગ આંખ છે અને તેને આંખના રતન તરીકે ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના હાથે જ આંખ પર આવો પ્રહાર કરી શકે નહિ. એટલું જ નહીં કોઈ મિત્રને પણ આવી જગ્યાએ ફટકો મારવા આમંત્રિત કરી શકે નહીં, આ ઉયપરાંત ત્રીજી – ત્રાહિત વ્યક્તિની ઘટના કાળે, હાજરી પુરવાર થતી નથી.
વધુમાં દસ્તૂરજીએ નોધાવ્યું કે હતું કે, રીંકલની હત્યા આકાશે કરી હોય તેવી સરકારી પક્ષની દલીલને ટેકો આપે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. માનનીય ડો.યાકુબે આકાશ કે રીંકલને થયેલી ઈજાઓ ક્યારેય જાતે નિહાળી ન હતી.તેઓનું તારણ- ર્પોર્ટ એ તેમની કેવળ માન્યતા છે …… કોર્ટ તરફથી પોલીસ તંત્રને પુરાવા રજૂ કરવા વધારાનો સમય ગ્રાન્ટ કરતાં, તાલુકા પોલીસે તપાસના ભાગ રૂપે, આકાશ, સોહનલાલ, ફાર્મ હાઉસના દરવાન લખુંની સંગીન પૂછતાત કરી હતી તેમજ મરનારના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ કોઈ નોધપાત્ર વધારે સગડ સાંપડતા નહતા.