અંતરનો પસ્તાવો
અંતરનો પસ્તાવો


અચાનક જિંદગીમાં બનેલી એવી ઘટના જે અજાણતાં થઈ હોય પણ એનો પસ્તાવો અંતરથી જીવનભર રહે છે. અને નિમિત્ત બની જવાય છે અને અંતરનો પસ્તાવો કરવાં છતાંય જે નુકસાન મોટું થાય છે એ ભરપાઈ થઈ શકતું નથી અને રહી જાય છે જીવનભર એ ઘા. અને એટલે જ ના સાક્ષી મળે છે અને ના સાબિતી મળે છે. અને જિંદગી એમ જ એક બોજ બની જાય છે. આ વાત છે પચ્ચીસ વર્ષ પહેલાંની.
દક્ષિણી એરીયામા આવેલી એક સોસાયટીમાં બનેલી આ વાત છે. ઉત્તરાયણનો દિવસ હતો, બધાં ધાબા પર પતંગ ચગાવતા હતાં. અનિલભાઈ અને મીના બહેન નીચે હતાં, જમીને સહેજ આડા પડખે થયાં હતાં. એમણે રેખા અને દિનેશ ને સલાહ અને સૂચનાઓ આપી ઉપર મોકલ્યા હતા કે અમે કલાક રહી ને ઉપર આવીએ છીએ. રેખા ની ઉંમર ત્યારે તેર વર્ષની હતી.
અને દિનેશની ઉંમર નવ વર્ષની હતી. આજુબાજુના ધાબા એક બીજાને અડતા હતા. એ ઉંમર નો પ્રભાવ હોય છે માતા પિતા ગમે એટલી શિખામણ આપે પણ એ ધ્યાનમાં નથી લેવાતી અને પછી રહી જાય છે અફસોસ. આજુબાજુના બધાં નાનાં મોટાં ધાબાં પર હતાં. રેખા અને દિનેશ પતંગ ચગાવતા હતાં. એક પછી એક પતંગો કપાતા હતાં અને બૂમાબૂમ સંભળાતી હતી. " એ કાપ્યો છે.". લપેટ ભાઈ લપેટ રે. અને પછી ચિચિયારીઓ પાડીને આનંદ મનાવતા હતા. ધાબા પર સ્પીકરો મૂકી ને ગીતો વગાડતાં હતાં. ચારેબાજુ ઉત્સાહનો માહોલ રચાયો હતો. રેખા અને દિનેશનો એ પતંગ કપાઈ ગયો એટલે બાળસહજ ક્રિયા. પતંગો હતા પણ કપાયેલા પતંગ પકડવાની મઝા જ અલગ છે. એક મોટો ચંદેરી પતંગ ભાર દોરીમાં આવ્યો એ પકડવા બન્ને ભાઈ બહેન દોડ્યા અને અગાશીની પાળી પર ચઢ્યા અને પતંગ કોણ પહેલો પકડે એ હરિફાઈમાં રેખાના હાથનો ધક્કો દિનેશ ને અજાણતાં વાગી ગયો અને દિનેશ સીધો જ નીચે પડ્યો..એ સાથે જ એનું આટલા ઉપરથી પડવાને લીધે માથું ફૂટી ગયું. અને એ ત્યાં જ લોહી ના ખાબોચિયાંમાં જ અંતિમ શ્વાસ લીધો.
લોકો ઉપરથી નીચે ઉતરી આવ્યા. ટેપમાં વાગતા ગાયનો બંધ થઈ ગયા. એક ભય અને સન્નાટા અને માતમ નો માહોલ છવાઈ ગયો. રેખા તો ડર ની મારી ભયભીત થઈ ને બાથરૂમ માં પૂરાઈ ગઈ. બૂમાબૂમ સાંભળી ને અનિલભાઈ અને મીના બેન બહાર આવ્યા અને પોક મૂકીને રડી પડ્યા. દિનેશના જન્મ પછી સંતાનો ના થાય એનું ઓપરેશન કરાવી દીધું હતું. આજુબાજુના લોકો એ કેમ આ બન્યું એ કહ્યું. એટલે અનિલભાઈ એ રેખા ને સમજાવી, ફોસલાવીને બાથરૂમ નો દરવાજો ખોલાવી ને એને બહાર કાઢી.
સમય જતાં રેખા ભણીને બેંક માં નોકરી એ લાગી. અને સાંજે આવીને આજુબાજુના છોકરાઓને ભણાવતી. અનિલભાઈ અને મીના બેને રેખા ને લગ્ન કરવા ખૂબ સમજાવી પણ એ કહે અંતરનો પસ્તાવો છે કે ભાઈ મારા લીધે ના રહ્યો. હું લગ્ન નહીં કરું. અને આખી જિંદગી તમારી સેવા ચાકરી કરીશ. સગાંવહાલાં અને આજુબાજુના લોકો અને બેંકનાં સ્ટાફ ના લોકો એ પણ રેખાને સમજાવી પણ રેખા એક જ વાત કરે છે. "મારે લગ્ન નથી કરવા"
આજે પણ ઉત્તરાયણ ના દિવસે રેખા ઉપવાસ કરે છે અને. ગરીબોને મદદ કરે છે. પોતાના ભાઈની યાદમાં રેખા આજે પણ અંતરથી પસ્તાવો કરીને ભાઈની માફી માંગે છે. લગ્ન કર્યા વગર માતા-પિતાની સેવાનો ભેખ ધરીને જીવે છે.