અનાથ
અનાથ


મુદિતાની સામે એના જુના દિવસો તરવરી રહ્યા હતા. લગ્નના દિવસે એનો પતિ ખનન એના મિત્રોથી ઘેરાયેલો હતો. લગ્નનો દિવસ જ એવો હોય છે કે વરરાજાની બધા મિત્રો ભેગા થઈ મશ્કરી કરતાં હોય છે. વાતાવરણ પણ હસીમજાકનું હોય છે. બાજુની રૂમમાં પલંગ પર બેઠેલી મુદિતા બધુ સાંભળતી હતી. એ રૂમમાં એકલી હોવા છતાં પણ હસ્યા વગર રહી ન હતી શકતી.
તે દિવસે એનું હાસ્ય દંભરહિત હતું. કારણ કાકાને ત્યાં તો મહેમાન આવે ત્યારે હસવું ફરજિયાત હતું. જો એ ના હસે તો મહેમાન ના ગયા પછી એને કાકાકાકીના વ્યંગબાણો સહન કરવા પડતાં. કહેતાં કે, "તું મહેમાનોની સામે દિવેલ પીધેલું તારૂ ડાચુ રાખે છે. એટલે આવનાર તો એવું જ માને કે તું આ ઘરમાં ઘણી દુઃખી છું. કાકાકાકી સારી રીતે રાખતા નથી. પારકાં એ પારકાં જ રહે એ કોઈ દિવસ આપણાં ના બને."
મુદિતા સારી રીતે સમજતી હતી કે કાકાકાકી એને બોજરૂપ સમજતાં હતાં. કેટલીક વાર તો એણે કાકાકાકીને વાત કરતાં પણ સાંભળ્યા હતા કે, "આ સાપના ભારાને બને તેટલો જલદી વિદાય કરવો પડશે. આ તો લોકલાજ નડે છે. "
મુદિતાને એના સ્વર્ગસ્થ માબાપ યાદ આવી ગયા હતા. કોલેજથી આવી રસોડામાં કામ કરાવતી તો એની મમ્મી તરત કહેતી,"રહેવા દે કોલેજથી થાકીને આવી છું અને સીધી કામે વળગે છે. જા થોડીવાર આરામ કર" જ્યારે એ કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે એને નોકરી મળી ગઈ હતી એટલે ભણવાની સાથે નોકરી પણ કરતી. એ દરમ્યાન એના માબાપ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેથી કાકાકાકી એમના ઘેર લઈ ગયા. એ દરમ્યાન એ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાઓ આપતી રહેતી. એમાં એ પાસ થઈ ગઈ અને એને સરકારી નોકરી મળી ગઈ.
એ દિવસે એના કાકાકાકી વાત કરતા હતાં કે,"આ ગ્રેજ્યુએટ થઈ ગઈ તો પણ એ આગળ ભણે છે. એના ભણવાનો અંત જ નહીં આવે અને આપણા માથે પડશે. હજી એને છ મહિના બાકી છે. પછી બબ્બે ડિગ્રી હશે એમાં ય પાછી સરકારી નોકરી એનું પરિણામ આવતાં પહેલાં એના લગ્ન કરી દઈએ. "
મુદિતા પણ કંટાળી ગઈ હતી. એણે તો નક્કી કર્યું જ હતું કે કાકાકાકી જે છોકરો બતાવે એને હા જ કહી દેવી.
સૌ પ્રથમ જ એને એક ખાનગી કંપનીમાં પટાવાળા તરીકે કામ કરતો ખનન બતાવ્યો. મુદિતાએ તો નક્કી જ કરેલું કે હા કહી દેવી. જ્યારે ખનન તો માંડ એસ. એસ. સી. થયેલો ખનનના પક્ષે તો ના કહેવાનો સવાલ ન હતો.
અઠવાડિયામાં જ લગ્ન નક્કી કરી દીધા. ત્યારે મુદિતા વિચારતી હતી કે એને એનું પોતાનું ઘર મળી ગયું. અઠવાડિયા પછી એની રજાઓ પુરી થતાં જ નોકરી ચાલુ કરી. સાંજે ઘેર આવે કે તરત એના સાસુ તથા બંને નણંદો કહેતાં,"હવે અમે કંઈ કામ કરવાના નથી. વર્ષો સુધી ઢસરડા કર્યા. હવે તમે જાણો અને તમારૂ ઘર જાણે. અમે તો આટલા વર્ષો ભાઈની સગવડ સાચવી. હવે તમારે અમારી સગવડ સાચવવાની. મુદિતા ચૂપચાપ કામ કર્યા કરતી. એને તો વિશ્વાસ હતો કે પતિ એના કામની પ્રશંસા કરશે પણ પતિ હુકમ કરવામાંથી જ ઊંચો આવતો નહીં. ક્યારેક તો કહેતો પણ ખરો,"મારા કરતાં તારો પગાર વધારે છે એટલે મને દબાવવા પ્રયત્ન કરતી નહીં. આ ઘરમાં હું કહુ એમ જ થશે. તારી હોશિયારી સાબિત કરવા પ્રયત્ન ના કરતી. "
થોડા દિવસો પછી મુદિતાએ કહ્યું,"મને એલ. ટી. સી. મળે છે તો આપણે ફરવા જઈએ. "
"મને ક્લાર્ક તરીકે પ્રમોશન મળી ગયુ છે. મને પણ એલ. ટી. સી. આવતાં મહિને મળવાનું જ છે. "
"તમે મને વાત પણ ના કરી. તમને ક્યારે પ્રમોશન મળ્યું ? મને આટલા શુભ સમાચાર કહ્યા પણ નહીં ?"
"બધી વાતો ઘરના બૈરાંઓને કહેવાનું જરૂરી નથી હોતુ. તું છાનીમાની ઘર સંભાળી ને બેસી રહે. "
મુદિતા સ્તબ્ધ થઈ ગઈ. એણે આવા શબ્દ પ્રયોગની આશા રાખી ન હતી. એ ક્યાંય સુધી કંઈ બોલી જ ના શકી. મનમાં જ થયું કે હું ક્યાં આ વ્યક્તિ જોડે પરણી ? મારા કરતાં પણ ઘણું ઓછુ ભણતર એ તો કંઈ પણ ચાલે પરંતુ એનામાં તો ઓછા સંસ્કાર પણ હતા. ત્યાં જ ખનન બોલ્યો,"મને ખબર છે કે મારા કરતાં તારો પગાર વધારે છે. એટલે હોંશિયારી નહીં મારવાની. તમારે બૈરાંઓની બુધ્ધિ પગની પાનીએ. અમે જેટલી મહેનત કરીએ છીએ એટલી તમે ના કરી શકો. તમારામાં વળી બુધ્ધિ કેટલી !"એ સિવાય પણ બીજુ ઘણુ બધુ એ બોલતો રહ્યો.
હદ તો ત્યારે થઈ કે જ્યારે ઋગવેદનો જન્મ થવાનો હતો ત્યારે એના કાકીએ સ્પષ્ટ કહી દીધું,"હવે તારૂ એ જ ઘર છે. અમે આખી જિંદગી તારૂ વૈતરૂ કરવાનો ઠેકો નથી લીધો. અમે તારા લગ્ન કરાવી દીધા હવે તું જાણે અને તારૂ કામ જાણે. "
આખરે એ એના સાસરે જ રહી. પરંતુ અઠવાડિયા પછી જ એના સાસુએ કહી દીધું,"હવે મહારાણીની જેમ આરામ કરવાને બદલે શાક સમાર અને બેઠાબેઠા લોટ બાંધી દેજે. તું પલંગમાંથી ઉઠીશ તો લોકો સાસુને વગોવવા તૈયાર જ હોય છે. "
મહિના પછી એણે ઓફિસ જવાની વાત કરી કે ઘરનાએ કહી દીધું,"તારા દીકરાને રાખવાની વ્યવસ્થા તારે જ કરવાની. અમે તો આ માબાપ વગરની અનાથ છોકરીને લઈને પસ્તાયા. બધી જવાબદારી અમારી. દુનિયામાં કોઈ અમારા જેવી ભૂલ ના કરે. અમે બરબાદ થઈ ગયા. "
સમય જતાં ક્યાં વાર લાગે છે ? ઋગવેદ ઘોડિયાઘરમાં જ મોટો થતો ગયો. નણંદોના લગ્ન થઈ ગયા. સાસુ પણ સ્વર્ગે સિધાઈ ગયા. ઋગવેદના જન્મ બાદ તો ખનન પુષ્કળ ઓવરટાઈમ કરતો. શનિ રવિ રજાના દિવસે તો ખાસ એ ઓફિસ જતો. એણે મુદિતામાં ખાસ રસ નહતો રહ્યો. એ મુદિતાને કહેતો,"તારા કરતાં હું વધુ પૈસા કમાઉ છું. એટલે તું મારા કરતાં વધુ ભણેલી છું એવી ડંફાસ ના મારીશ. " મુદિતાને થતું એણે ક્યારેય કહ્યું નથી કે હું વધુ ભણેલી છું. પણ છતાં ય આ વ્યક્તિ એનો અહમ સંતોષવા જ આવુ બોલે છે.
મુદિતાને હતું કે હવે ઘરમાં અમે ત્રણ જ રહ્યા છીએ એટલે પ્રેમથી જીવાશે. ઘરમાં આવનાર દરેક જણ મુદિતાના વખાણ કરતું જે ખનનને ગમતું નહીં. મહેમાનના ગયા બાદ મુદિતાને પતિની મારઝુડ સહન કરવી પડતી. ઋગવેદ શરૂઆતમાં તો મોટે મોટેથી ભેંકડા તાણીને રડતો. જેથી પડોશીઓ ભેગા થઈ જતાં જેથી ખનન ઋગવેદનું મોં દબાવી દેતો. ઋગવેદ એના પપ્પાને નફરત કરતો થઈ ગયેલો. જો કે મુદિતા એને પુષ્કળ પ્રેમ આપતી. ખનન તો સતત ઓવરટાઇમ કરતો રહેતો. પૈસો એના માટે સર્વસ્વ હતો. જ્યારે મુદિતા ઋગવેદને કહેતી ખરૂ ધન તો ભણતર જ છે. મુદિતા ઋગવેદ ના અભ્યાસ તરફ વધુ ધ્યાન આપતી. તેથી તો એ આખા રાજ્યમાં પ્રથમ આવ્યો. ત્યારે એને લાગ્યું કે અત્યાર સુધી માત્ર પપ્પાનું રૂદ્ર સ્વરૂપ જ જોયું છે. હવે પ્રથમ વખત એમનું મૃદુ સ્વરૂપ જોવા મળશે. પરંતુ એ તો એની ખુબસુરત કલ્પના હતી. જ્યારે ખનન ઘેર આવ્યો ત્યારે પ્રેસવાળા, પડોશીઓ તથા મુદિતાની ઓફિસની બહેનપણીઓ પણ હાજર હતી. બધા ખનનને વીંટળાઈ વળ્યા. ખનને તો કહી જ દીધું કે દર વર્ષે કોઈને કોઈ તો પ્રથમ આવે જ છે. આ વખતે ઋગવેદ આવ્યો એમાં આટલા બધા ખુશ થવાની જરૂર નથી. ઋગવેદને હતું કે મારી મહેનતને બિરદાવશે. જો કે ઋગવેદે પ્રેસ સમક્ષ કહી જ દીધુ કે ,"હું આજે જે કંઈ છું એ મારી મમ્મીનેે કારણે જ છું. "
ત્યારબાદ દીકરાને હડધૂત કરવાની એકપણ તક ખનને જતી કરી ન હતી. ઋગવેદ પણ ખનનના વર્તનથી કંટાળી ગયો હતો. તેથી તો એણે એની મમ્મીને કહ્યું,"હું હવે હોસ્ટેલમાં જ રહીશ. હું આ માણસ સાથે રહી નહીં શકું. મમ્મી તને તો પદ્મશ્રી એવોર્ડ આપવો જોઈએ કે તું એની મારઝૂડ સહન કરે છે. એનાથી પણ વધુ ભણેલી છું તો તું એ માણસનો અત્યાચાર શા માટે સહન કરે છે ? તું વારંવાર એવુ ના કહે કે હું અનાથ છું. હું તો જાતે કમાઇને મારો ખર્ચ કાઢીશ. "
"બેટા,તું ભણવામાં ધ્યાન આપજે. તારી મા કમાય છે. હું તને પૈસા મોકલતી રહીશ. "ઋગવેદના જવાથી ખનનને કંઈ જ ફરક પડ્યો નહીં. પરંતુુ મુદિતાને થયું કે એ ફરીથી અનાથ થઈ ગઈ.
વર્ષો વિતતા ગયા. ઋગવેદે એનું ભણવાનું પુરૂ કરી દીધું અને સારા પગારની નોકરી પણ મળી ગઈ. મુદિતા ઘરમાં કામ સિવાય વાત કરતી જ નહીં.
એક દિવસ ઋગવેદે મુદિતાને કહ્યું,"મમ્મી,હું હવે કાયમ માટે અમેરિકા સ્થાયી થવા જઈ રહ્યો છું. મમ્મી તું પણ મારી સાથે અમેરિકા ચાલ. એ માણસને અહીં એકલો પડી રહેવા દે. તને કાયમ અનાથ કહેતો હતો હવે એ જ અનાથ થઈ ને રહેશે"
"બેટા,ગમે તેમ પણ એ તારા પપ્પા છે. આદરથી બોલ. એ માણસ શબ્દ ના વાપર. "
"મને શિખામણ ના આપ. તું મારી સાથે અમેરિકા ચલ. "
"ના,જિંદગીના પાછલા વર્ષમાં હું એમને છોડી ના શકુ. "
"મમ્મી,તો હવેથી હું પણ મારી જાતને અનાથ જ સમજીશ. "
ત્યારબાદ ઋગવેદનો ક્યારેય ફોન ના આવ્યો. બંને જણાં નિવૃત થયા પછી તો ખનને પત્ની પર જોર જુલમ કરવા માંડ્યો. મુદિતાએ કોઈ સાથે ફોન પર વાત કરવાની નહીં. એ જ્યારે ફોન પર વાત કરતી હોય તો મોટેમોટેથી બોલવાનું. રસોઈ કરી ? મારા કપડાં ઈસ્ત્રીમાંથી આવી ગયા ?"છેલ્લે મુદિતાએ બધી બહેનપણીઓ જોડે વાતો કરવાની જ બંધ કરી દીધી. એણે વારંવાર એનો દીકરો યાદ આવતો રહ્યો.
એને તો વારંવાર રડવું પણ આવતું. ફોન સામે જોઈ રહેતી. ખનનને એ વાત બિલકુલ પસંદ ન હતી. તેથી જ એક દિવસ એણે મુદિતાના હાથમાંથી માેબાઈલ ખેંચી લીધો અને જોરથી ફેંકીને તોડી નાંખ્યો. મુદિતાએ આખી જિંદગી ઘણું સહન કર્યું હતું પણ હવે એને એવું લાગ્યું કે પતિને એના કે એના પુત્ર પ્રત્યે પ્રેમ જ નથી તો સાથે રહીને શું કરવાનું ? મને સમાજથી દૂર ફેંકી દેવા માંગે છે. મનુષ્યને જીવવા માટે પ્રેમ જોઈએ. જો ક્યાંયથી પ્રેમ ના મળે તો જીવવાનો શું અર્થ ?
બીજા દિવસે સવારે ખનન ઊઠ્યો તો એના ઓશીકા પાસે એક ચિઠ્ઠી પડી હતી.
"હું તો અનાથ હતી, મને લાગ્યુ કે તમારી સાથે રહી હું સનાથ બનીશ. તમે મારી વેદના ના સમજી શક્યા. હવે હું પણ ઘર છોડીને જઉં છું. તમે પત્ની અને પુત્ર વગર અનાથ થઈ જશો ત્યારે તમને અનાથની વેદના સમજાશે. ઋગવેદના મિત્ર પાસેથી નંબર લઈ એની સાથે વાત કરી હું કાયમ માટે અમેરિકા જતી રહું છું. "
ચિઠ્ઠી વાંચી ખનનને લાગ્યું કે એ પોતે જ અનાથ બની ગયો છે.