આવ...રે...વરસાદ
આવ...રે...વરસાદ
સુરેશને લાગ્યું કે કોઈ બોલાવી રહ્યું છે. બારણું ખોલતાં જ બે સ્ત્રીઓ બોલી ઊઠી,"મેવલો આવ્યો, પાણી નાંખો બાપલીયા, માણહ તો ઠીક પરંતુ પશુ પંખીનું શું ?"વિરોધ કરવાની તો જરૂર જ કયાં હતી ? જયાં શ્રધ્ધાનો વિષય હોય ત્યાં વિરોધ શા માટે કરવો ? એ પોતે વિજ્ઞાની હતો વરસાદ નહીં પડવાનું કારણ તો એને ખબર હતી છતાં પણ બે દિવસ પહેલાં સોસાયટીના પ્રમુખે કહ્યું કે,"સોસાયટીના નાકે આવેલું મહાદેવજીનું લિંગ પાણી નાંખી ડૂબાડી દો તરત વરસાદ આવશે."
સુરેશ જાણતો હતો કે વરસાદ કેમ નથી આવતો ? છતાં પણ મનમાં એક આશા હતી વરસાદ પડે તો સારૂ. પરંતુ મનુષ્યોએ જાણીને પગ પર કુહાડો માર્યો હતો. પૃથ્વી પર મનુષ્ય મહેમાન છે પરંતુ એનું વર્તન તો માલિક જેવું છે. પૃથ્વી પરની સંપત્તિ વાપરવાને બદલે એનો વિનાશ કરે છે. વૃક્ષોનું નિંકદન કાઢી કાઢે છે. પરિણામ સ્વરૂપ છાંયડો તો મળતો જ નથી પરંતુ વરસાદ નથી પડતો, જમીનનું ધોવાણ થાય છે. ધરતીકંપ, વાવાઝોડુ એ બધુ ય એના પરિણામે જ છે.
જંગલમાં પશુઓ વૃક્ષના છાંયડે બેસતાં હતાં, પક્ષીઓનો કલરવ ગુંજતો હતો. વૃક્ષો પર માળા બાંધતા હતા. પરંતુ જંગલો સાફ કરવાથી મનુષ્ય હાથે કરી આ બધી ઉપાધીઓ નોતરે છે.
બાળકો વરસાદ લાવવા માટે "આવ રે વરસાદ..."ગાય છે. સુરેશને થાય છે કે નરસિંહ મહેતાનો કેદાર રાગ સાંભળી ઈશ્વર મદદે આવેલા તેમ બાળકોની વાત સાંભળી વરસાદ પડે અને વૃક્ષો કાપવાની સજા માફ કરી ફરીથી પહેલાં જેવા જ જંગલો બનાવી દે તો કેવું સારૂ !