આઝાદી
આઝાદી
એક સુંદર મજાનું જંગલ હતું,તેમાં જાત જાતનાપક્ષીઓ બહુ ખુશીથી રહેતા હતાં. વહેલી સવારે સૌ પોતપોતાના ખોરાકની શોધમાં નીકળી જતાં અને આખો દિવસ ફરીને સાંજે પંખીઓ પાછા ફરતા ત્યારે તેમના ક્લબલથી આખું જંગલ ગુંજી ઉઠતું. તેમાં એક સુંદર મઝાનું રંગીન પાંખવાળુ બચ્ચું રહેતું હતું. તે દિવસે દિવસે મોટું થઈ રહ્યું હતું. જેને પણ જંગલમાં ફરવાની ઈચ્છા થઈ, તેથી તેણે પોતાની મા પાસે જઈ એના બીજા મિત્રો સાથે જંગલમાં ફરવા જવાની ઈચ્છા બતાવી.
એની મા પહેલા તો તૈયાર થઈ નહીં પણ પછી રજા તો આપી પણ ખુબ સાવધ રહેવાની અને સમયસર પાછાફરવાની સલાહ આપી. બચ્ચું ખુબ ખુશ થઈ ગયું.
તે તેના મિત્રો સાથે ફરવા નીકળ્યો તેની ખુશીનો પાર નહતો. તે ખુબ ખુશ હતો બધું જાણવાની ઉત્સુકતા પણ ઘણી હતી. તે બધું જોવા કરવામાં ક્યારે તેના મિત્રોથી છૂટો પડી ગયો એ ખબર ન પડી. જયારે ખબર પડી તેના બધા મિત્રો કયાં દૂર નીકળી ગયા હતાં, ક્યાં જવું અને કેમ જવું તે ખબર પડતી ન હતી તેથી તે ગભરાઈ ગયો અને અહીં તહીં ઉડાઉડ કરવા લાગ્યું.
ત્યાં એક શિકારીએ ઝાળ બીછાવી રાખી હતી તેમાં તે ફસાઈ ગયો. છૂટવા ઘણા તરફડીયા માર્યા પણ છૂટી શક્યો નહીં. મનોમન ઘણો દુઃખી થયો. ઘરની યાદ આવતી હતી પણ કોઈ ઉપાય હતો નહીં.
શિકારીએ શહેરમાં પક્ષીના બચ્ચાને વેચી દીધો. તેના રંગ અને દેખાવને લીધે એક સજ્જન સુખી સંપન્ન માણસે સારા એવા પૈસામાં તેને ખરીદી લીધો !
ઘરે જઈ સરસ મજાના પિંજરામાં રાખી દીધો. તેના આવ્યાથી ઘરના લોકો બહુ ખુશ થયા. ઘરનું આખું વાતાવરણ આ નવા આવેલા મહેમાનથી બદલાઈ ગયું.
તેની ખુબ સંભાળ રાખતાં, સારું ખાવા પીવાનું, સાફ સફાઈનું ધ્યાન રાખતાં હતાં. તે ખુબ દુઃખી અને મજબૂર હતો. ધીરે ધીરે પાંજરામાં રહેવાની તેની આદત બની ગઈ હતી. સારું સારું ખાવાનું મળતું હતું.સારી સંભાળ રાખતા હતાં.
અંદર અંદર તે દુઃખી હતો પણ તેના માબાપની પણ યાદ હવે આવતી ન હતી. જાણે આ તેની કિસ્મત લખાયેલું હતું.
ઘણા વરસો આવી રીતે પસાર થઈ ગયા. જંગલની વાતો પણ ભૂલાઈ ગઈ હતી, પોતાના બધા દુઃખ દર્દ મનમાં છૂપાવીને બેઠો હતો. પોતાના મીઠાં અવાજથી ઘરવાળાઓનાં દિલ જીતી લીધા હતાં. તેના અવાજમાં છૂપાયેલા દર્દને કોઈ સમજી શકતું નહીં. ઘરવાળા સમજતા કે પક્ષી બહુ ખુશ છે એટલે આટલા સરસ ગીતો ગાતો હતો.
એક દિવસ પિંજરાનું બારણું ખુલ્લું રહી ગયું હતું. તે ઈચ્છા ન હોવા છતાં પીંજરાથી બહાર નીકળી બારીમાં બેઠો. બહાર ઘણા ઝાડ દેખાયાં તે ઊડીને ત્યાં ગયો. તેને ઊડવામાં પણ તકલીફ પડતી હતી. લથડીયા ખાતો આમતેમ ફર્યો. આખો દિવસ ફર્યો કાંઈ ખાધું નહીં.
દિવાળી હતી એટલે ફટાકડાના ધડાકા થતા હતાં. છેવટે ક્યાંય સારું લાગ્યું નહીં અને પાછો બારી વાટે પાછો આવીને પીંજરામાં બેસી ગયો. ઘરના લોકો ખુશ થયા કે પંખી સાથે તેમની માયા બંધાઈ ગઈ હતી ખાવાનું આપ્યું. પંખીએ એક ચાંચ પણ ન લગાડી તે અંદરથી ખુબ દુઃખી હતો.
બીજો દિવસે દિવાળી હતી ઘરના સૌ વહેલી સવારે નાહીને ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા હતાં
"હે કરુણાના કરનારા તારી કરુણાનો કાંઈ પાર નથી " પ્રાર્થના ચાલતી હતી ત્યાં કાંઈ પડવાનો અવાજ થયો બધાએ પાછળ જોયું કાંઈ ખબર પડી નહીં અને પ્રાર્થના પૂરી કરી. ત્યાં જોયું તો પિંજરામાં પંખી નિષ્પ્રાણ થઈ પડ્યો હતો. તે આ દુનિયા છોડી ચાલ્યો હતો. તે આ પિંજરા અને જીવનની કેદમાંથી સદા માટે આઝાદ બની ગયો હતો.