આગલો જન્મ શેનો લેવા ઈચ્છો
આગલો જન્મ શેનો લેવા ઈચ્છો
આગલો જન્મ શેનો લેવા ઈચ્છો ? આ સવાલનો મારો તો એક જ જવાબ છે કોઈજ જન્મ નથી લેવો. જો ભગવાન મારી એક ઈચ્છા પૂરી કરે તો મારે આ અવતાર પછી કોઈજ જન્મ નથી લેવો.
જન્મ ધરીને શું સુખ પ્રાપ્ત કરી લીધું ? કોઈપણ યોનીમાં જન્મ આપે તો દરેક યોનીમાં દુઃખ, દર્દ છે.. આવાં દુઃખ દર્દમાં સબડવા શા માટે ફરી ફરીને અવતાર ધારણ કરવો ?
મારાં મંતવ્ય મુજબ તો ભગવાને પણ હવે જે જીવને અવતાર ધારણ કરવો ના હોય એને એમનાં પાર્ષદ બનાવીને જોડે રાખવાં જોઈએ. આ ૮૪ લાખ યોનીમાંથી પસાર થઈ પછી માનવ અવતાર મળે છે પણ શું કર્યું આ મોંઘેરો માનવ અવતાર ધારણ કરીને.!
બસ એકજ ગળાકાપ હરીફાઈ. જ્યાં જુઓ ત્યાં. એ જ રામાયણ. ઈર્ષા, લાલચ, લોભ, ભ્રષ્ટાચાર, ખોટી ચડામણીઓ.
આજે માણસાઈ ભૂલાઈ છે. સાચી ભાવના શોધવા છતાંય નથી મળતી. સાચો પ્રેમ, ચોખ્ખી ખાણીપીણી હવે ક્યાં છે ? અનેક રોગોના ભોગ બની ને દવાઓ ખાઈ જીવવું એ કંઈ જીવન છે ?
તમે કરેલાં સારાં સો કાર્યોની નોંધ નાં લેવાય કે જશ નાં મળે પણ તમારું એક ગેરવર્તન કે એક ભૂલ કે એક નાની વાત તમને ખરાબ છો એમ ચિતરી દેવામાં આવે છે અને તમારાં સો સારાં કાર્યો ને ભૂલી જવાય છે.
તમારે પ્લાસ્ટિક સ્મિત સાથે જીવવું પડે છે આવાં દંભના અંચળા કરતાં કોઈ અવતાર ના મળે એવું જ હું તો દિલથી ઈચ્છું છું. યમરાજા મને પૂછે કે તારી આખરી ઈચ્છા ?
તો હું એમજ કહું કે મને ફરીથી હવે કોઈજ અવતાર ધારણ ના કરવો પડે એવો ચમત્કાર કરો.
આ દુનિયામાં કોઈ જીવ કે જંતુ સુખી નથી. અને શાં માટે અવતાર ધારણ કરવો, એ ગર્ભમાં રહીને પણ અપાર વેદના સહન કરવાની. માટે હું તો કોઈ અવતાર ધારણ કરવા જ માંગતી નથી.