ત્યારે જ શબ્દો રચાયા હશે
ત્યારે જ શબ્દો રચાયા હશે
ક્યાંક થયો હશે કોઈના પ્રત્યે લગાવ,
ત્યારે આ કવિતા રચાઈ હશે,
આપ્યો હશે કોઈ પોતાનાએ જ ઘાવ,
ત્યારે કવિતા રચાઈ હશે,
હૃદયમાં ઉદભવ્યો હશે કોઈ ઝંઝાવાત,
ત્યારે શબ્દને સથવારે કવિતા રચાઈ હશે,
ક્યાંક મળ્યું હશે ઝાકળભીનું સંવેદન,
ને હૈયે લાગણીની કૂંપળ ફૂટી હશે,
ત્યારે લાગણીનાં સથવારે કવિતા રચાઈ હશે !
કોઈના કટુ પ્રહારે,
તો કોઈનાં પ્રેમકોઈ મીઠા બે બોલ સાંભળી,
હૈયે સંવેદના સળવળી હશે !
ત્યારે પ્રેમના પલકારે કવિતા રચાઈ હશે !
જ્યારે જીવનમાં વ્યાપ્યો હશે શૂન્યાવકાશ,
કોઈના પગલેથી ફરી રચાયા હશે મેઘધનુષ્યના રંગો,
ત્યારે આ હૃદયની કલમ વડે શબ્દોને દેહ મળ્યો હશે !
કોઈ પ્રવેશતું હશે હૈયાના દ્વાર ખોલી
પ્રીતનું પાનેતર ઓઢી,
ત્યારે દિલો દિમાગનું અનુસંધાન બનતું હશે,
ત્યારે જ સ્નેહસરિતા બની આ હૃદયની ધરા પર વહેતી હશે !
ત્યારે જ મનનાં ગર્ભમાં આ શબ્દો આકાર લેતા હશે !