સરદારનું ગીત-૭૦
સરદારનું ગીત-૭૦
રકતસ્નેહ
પત્રો ન લખતા લાંબા, કદીયે સરદાર રે;
ને જેલવાસના ગાળે, લખ્યા પત્રો અપાર રે.
પત્રો ઉપરથી તેનું, હ્રદય ઓળખાય રે;
ઝાંખી કોમળતાની તો, એના વડે જ થાય રે.
પત્રો પુત્ર-પુત્રી સાથે, ગાંધીજીને લખેલ રે;
સાથીદારોય તેઓનો, લાભ લઈ શકેલ રે.
વે’વારનું ઘણું જ્ઞાન, પત્રોમાંથી જણાય રે;
ઉદાર દિલની વાત, એના દ્વારા પમાય રે.
જાણવા મળતી એમાં, પ્રભુશ્રદ્ઘા અપાર રે;
કદીક મળતા જોવા, ખીલેલા સરદાર રે.
મણિબહેનને તેમાં, શિખામણ લખેલ રે;
કો’ને ન દુભવે એવા, વર્તનનું કહેલ રે.
મૂંઝાય જાય ભાઈલો, એવું કૈં ન કરાય રે;
દુ:ખના સમયે એને, પૂરો સાથ અપાય રે.
ડાહ્યાભાઈ કદી’ પામે, પિતાની શીખ એક રે;
સ્વભાવ શાંત રાખીને, રહેવું નિત નેક રે.
આપવું દુ:ખ કોઈને, એ સારું ન ગણાય રે;
ઉન્નતિમાં કદી’ કો’નો, અવરોધ ન થાય રે.
નાનેરાં માણસો સાથે, મીઠાશ જ રખાય રે;
કામમાં ઉપરીઓની, મર્યાદા જળવાય રે.
માગીને ભૂલની માફી, સહુ સાથે ભળાય રે;
એવું ન કરવું જેથી, આબરૂ દૂર જાય રે.
એક તરફ રાષ્ટ્રનો, કરતા રે’ વિચાર રે;
બીજો વિધુર બેટાનો, માથે રહેલ ભાર રે.
કુટુંબ બાબતે તેઓ, શીખ દેતા રહેલ રે;
સાથીદારો વિશે જાણ, કાગળમાં લખેલ રે.
સાથીનાં મોતથી તેઓ, દુ:ખી પણ થયેલ રે;
દુ:ખમાં પણ તેઓની, ભાગીદારી રહેલ રે.
**
પડેલ જેલમાં હોય, ધ્યાન રાખે અનેકનું;
આમ શોભાવતા તેઓ, પદ એ સરદારનું.
(ક્રમશ)
