મહેક
મહેક
મીરા કહે છે, અરે ઓ મારા મોહન, તને ખબર છે, પારિજાત દેવભૂમિનું વૃક્ષ છે ? પુરાણો કહેવા પ્રમાણે કે સમુદ્રમંથન વખતે આ વૃક્ષ નીકળેલું અને ઈન્દ્રને આપવામાં આવેલું. બીજી એક વાત એમ પણ છે યોગેશ્વર શ્રી કૃષ્ણએ પારિજાતની એક ડાળખી ઈન્દ્રના બગીચામાંથી તોડીને રુકમણીને આપી હતી. નટખટ નારદે સત્યભામાને કાન ભંભેરણી કરીને સત્યભામાને ઉશ્કેરયા અને તેણે યોગેશ્વર શ્રી કૃષ્ણને આખું પારિજાતનું વૃક્ષ હઠ કરી માગ્યું, અને બીજી બાજુ નારદે ઈન્દ્રને કહ્યું કે શ્રી કૃષ્ણ તારી પાસે પારિજાત લેવા આવશે જોજે આપતો, તારી સ્મૃધ્ધિ તો પારિજાતને આભારી છે માટે તું આપતો નહીં.
યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ઈન્દ્ર વચ્ચે યુદ્ધ થયું અને તેમાં આખરે યોગેશ્વર શ્રી કૃષ્ણ જીત્યા અને પારિજાત પૃથ્વી પર આવ્યું પણ ઈન્દ્રે શાપ આપ્યો કે પારિજાતને ફળ પણ નહીં આવે અને બી પણ નહીં આવે. તે દિવસથી પારિજાતના ઝાડને ફક્ત ફૂલ જ આવે છે અને ચોમાસામાં એની ડાળખી વાવો એ જમીનમાં ચોંટી જાય. શ્રી કૃષ્ણે સત્યભામાના બગીચામાં પારિજાત વાવેલું પણ એના ફૂલ વળી રુકમણીના બગીચામાં પણ પડતાં ,અને મહેક રેલાવતા રહેતા હતાં.
પારિજાતના વૃક્ષ નીચે તે સાંજે, મીરા એક શ્વાસે બોલી જતી હતી અને બેખબર "મોહન" તેની ખુશ્બુ લેતો હતો. ત્યાં મીરાએ કહ્યું , મોહન આ તારી પારિજાતની ડાળી હવે માધવના બગીચાને સમર્પિત થવાની છે. મજબૂર છું માફ કરજે મોહન, આ મીરાનું સરનામું હવે બદલાવવાનું છે, હું મારા 'બાપુ' નારાજ નહીં કરી શકું..!
હા,..આ મોહનને કોઈ અધિકાર નથી કે તારાં "બાપુને" નારાજ કરીને તેના અરમાનોને સજાવવાનો. પણ તને જણાવવું ગમશે કે, તારા આ મોહન પાસે કોઈ "ભામા-રાધા" નથી કે આવી પારિજાતની હઠ કરે. મારી તને વિનંતી છે કે ,મીરા આ “મોહન”ને માધવમાં નિરખવાની ક્દી કોશિશ ન કરતી. “યાદો, તો.. સાગરના મોઝાં ની લહેરો જેવાં હોય છે”.... “મન હોય તો માનુની પણ હોય", એટલે તેને "નવા" કે "જુના" સરનામા પણ હોય !,... બસ બેફિકર રહેજે.. આપણાં મેળાપને હું હંમેશ માટે મારા હૃદયમાં વિસર્જીત કરી લઈશ !
અને આખરે માધવના મન-મંદિરમાં રોપાયેલ પારિજાતની "મહેક"ના મંથનમાં મોહન જન્મારો બેસી રહ્યો !