બેટાથી બાપ સવાયો - વિક્રમ -વેતાળની એક અનકહી કડી
બેટાથી બાપ સવાયો - વિક્રમ -વેતાળની એક અનકહી કડી
વિક્રમાદિત્ય રાજાને અમરત્વ પ્રાપ્ત હતું, સુખેથી સ્વર્ગમાં મોજ કરતો હતો, એક વાર તેને ઉજ્જૈન નગરી યાદ આવી ગઈ. એક અમાસની રાત્રિએ વિક્રમ રાજા ફરી શ્મશાને પહોંચ્યો. વિક્રમ રાજાને જૂની ટેવ હતી તે મુજબ આજે અમાસની રાત્રે અંહી શ્મશાને આવેલા ખીજડાના વૃક્ષ પાસે આવી વેતાળનું શબ નીચે ઉતારી વેતાળ દ્વારા કહેવાતી નવી વાર્તા સાંભળવાનું, તેમજ વેતાળની જૂની ઘસાઈ ગયેલી ધમકીઓ સાંભળવાનું મન થતું હતું, હે "વિક્રમ, તું જવાબ જાણતો હોવા છતાં નહીં આપે તો માથું ઉડાવી દઈશ," અને દરેક વખતે તેના પ્રશ્નના આપેલા જવાબમાં, કોઈ ભૂલ બતાવી વેતાળને અટ્ટહાસ્ય કરીને ઊડતો જોવાનું આટલા વરસો પછી આજે મન થઈ આવ્યું હતું. વિક્રમરાજાએ ધર્મરાજા પાસેથી, આ અંગે સ્પેશિયલ પરમીશન લીધી હતી.
આટલા વરસોનાં ગાળા પછી, આજે પૃથ્વી ઉપર એક રાત માટે ઉજ્જૈન નગરીની "મુલાકાત" અને વેતાળ સાથે "વાર્તાલાપ" માટે વિક્રમ રાજા આતુર હોઇ, હંમેષની આદત મુજબ, વિક્રમ રાજાએ ભૂલ્યા વગર વેતાળના મડદાને ખીજડાના ઝાડ ઉપરથી ઉતાર્યું, ત્યારે શ્મશાનમાં સળગી રહેલી ચિતાઓની જ્વાળાઓના ઉજાસમાં વિક્રમ રાજાનો ખભે રાખેલ વેતાળનો જમીન ઉપર રેલતો લાંબો પડછાયો બિહામણો લગતો હતો. શ્મશાનમાં રહેલા કુતરાઓએ આજે આ લોકોને જોઈ ભાગ દોડ કરવી શરૂ કરી દીધી હતી. વિક્રમ રાજાએ કોઈજ ડર વગર ઉજ્જૈન નગરીની વાટ પકડી. વિક્રમ રાજાએ કહ્યું, અરે, વેતાળ તારું તો વજન ખાસ્સું વધી ગયુછે ને કઈ ? આટલા વારસો તું, શું ખાતો હતો ?
શ્મશાનની બહારની ચોખ્ખી હવામાં, વિક્રમ રાજાના સુંવાળા ખભે બેસી, વાળ લહેરાવતા વેતાળે બોખા મોઢાથી ખડખડાટ હસતાં કીધું, અરે વિક્રમ, હવે તારા છાણિયા ખાતરનો જમાનો ગયો, હવે નવા રસાયણિક ખાતરનો જમાનો છે, અંહી લાલ રંગના બટેકા, અને સફેદ ટામેટાં હવે મળે છે. મે, મ્હારા ખાવામાં હવે બાજરીના રોટલા અને છાશ છોડી, હવે પિઝાં, બર્ગર, અને કોકા-કોલાના ઠંડા ટીન સાથે અઢળક ફૂડ પેક ખાધા છે. વિક્રમરાજાએ જણાવ્યુ. ઠીક છે. ચાલ હવે કોઈ નવી વાર્તા સંભળાવ, તને તો ખબર છે રસ્તો કેટલો લાંબો છે ? મને ગાડી કે સ્કૂટર ચલાવતા નથી આવડતું, એટલે પગે ચાલીને, નગરમાં જવાનું છે, તું કોઈ વાર્તા કહે તો લાંબો રસ્તો ટૂંકો લાગે, અને વેતાળે આજના જમાનાની વાર્તા સાંભળવાની ચાલુ કરી.
વિકાસસિંહ આપણી ઉજજેનમાં આવેલા ઉન્નતિનગરના વડાપ્રધાન છે. તેઓ વિધુર છે અને તેમને આધુનિકસિંહ નામનો દીકરો અને સુધારાવર્તી નામની એક બાળવિધવા દીકરી હતી, દીકરો ખૂબ સમજુ અને ભણેલો,– ગણેલો હતો. તે તેના પિતાજીને નગરના સંચાલનમાં પ્રધાનસચિવ તરીકેની સેવા આપતો હતો. આમ આધુનિકસિંહ પૂરો સમાજ સુધારકના રંગે રંગયેલો હતો. આધુનિકસિંહ ઉન્નતિનગરના જૂના રિવાજોને પાણીચું આપવાના મતનો હતો. પોતે નામ પ્રમાણે આધુનિક છે અને જૂના રિવાજોમાં નથી માનતો, તે પુરવાર કરવા, તેના પિતા વિકાસસિંહ પાસે વિધવા સ્ત્રી સાથે પરણવાની રટ લઈને તે બેસી ગયો હતો, કે બસ પરણીશ તો આપણાં નગરની કોઈ વિધવા સ્ત્રી સાથે જ, બીજી બધી સ્ત્રી મારી માં અને બહેન ગણાશે. વિકાસસિંહ દીકરાની વાતથી મુંઝાયા. તેમણે ઉન્નતિનગરના બધા મેરેજ્બ્યુરોમાં આધુનિકસિંહની નોધણી કરાવી, યોગ્ય વિધવા સ્ત્રીની શોધ આદરી. થોડાક સમયમા જ એક મેરેજ બ્યુરોવાળાએ એક સુશિલ વિધવા સ્ત્રી શોધી આપી, અને આધુનિકસિંહનાં તે વિધવા સ્ત્રી સાથે વિધિસર લગ્ન થયા. અને આખાય ઉન્નતિનગરમાં આધુનિકસિંહની ચર્ચા અને વખાણ ચાલુ થઈ ગયા. લગન પછી, આ વિધવા સ્ત્રી તેના આગળના પતિ દ્વારા થયેલા સંતાનોમાં એક છોકરીને આંગળી પકડાવી અને એક છોકરાને કેડમાં લઈને સાસરે આવેલી હતી. સમય વિતતો ગયો, બધા રંગે ચંગે મોજ કરતાં હતા.
હવે આ વિધવાસ્ત્રીની આંગળીએ વળગાડી લાવેલી છોકરી લગ્ન યોગ્ય થતાં, ભારે થયું, ઉન્નતિનગરમાં ચારે કોર પ્રધાનસચિવ આધુનિકસિંહના વખાણ અને માનપાન વધતાં જોઈ, ઉન્નતિનગરના વડાપ્રધાન શ્રીવિકાસસિંહે ઉન્નતિનગરમાં "બેટાથી બાપ સવાયો"ની નવી કહેવત પુરવાર કરી, માનપાન મેળવવાનું નક્કી કર્યું. ઉન્નતિનગરના વડાપ્રધાન શ્રીવિકાસસિંહે તેમના દીકરા આધુનિસિંહની તે આંગળીયાત દીકરી સાથે ધામધુમથી લગ્ન કર્યા, અને આખાય નગરને જમવા માટે નિમંત્રણ આપી ભાવતા ભોજન સૌને જમાડયા. ઉન્નતિનગરમાં ચારે કોર હવે વિકાસસિંહ અને આધુનિકસિંહ એમ બંનેનો જય- જયકાર થઈ ગયો. પરંતુ વિકાસસિંહના લગ્ન આધુનિકસિંહની છોકરી સાથે થયેલા હોવાથી ખુદની સાવકી છોકરી, હવે તેની સાવકીમાં બની, ખુદ તેના બાપા વિકસસિંહ હવે, તેના જમાઈ પણ બન્યા.
સમય જતાં આધુનિકસિંહને ત્યાં એક પુત્રનો જ્ન્મ થયો, હવે સગપણની દ્રસ્તીએ, આધુનિકસિંહનો આ દીકરો,પિતાનો પૌત્ર અને ઉપરાંત તેમનો સાળો પણ, એવી બેવડી સગાઈ વાળો થયો.
પરંતુ હે રાજા વિક્રમ, હવે આ "બેટાથી બાપ સવાયાની" કહેવત પાકી કરવની આ અનંત યાત્રામાં વિકાસસિંહને ત્યાં એક કન્યાનો જન્મ થયો. નવી જન્મેલી બાળકી, આધુનિકસિંહના પિતા વિકાસસિંહની સગી દીકરી હોવાથી, તે હવે તેની બહેન હતી, અને વાર-તહેવારે હવે તે આધુનિકસિંહને રાખડી પણ બાંધતી થઈ. અને પોતાની સાવકી દીકરીની, દીકરી હોવાના નાતે તે બાળકી આધુનિકસિંહની દોહિત્રી પણ થતી હતી.
આ સમાજ સુધારવાના ચક્કરમાં આધુનિકસિંહનું તેની પત્ની સાથેનું સગપણ ફરી, અને વધી ગયું હતું, પોતાની પત્ની હવે તેની નાની થતી હતી, અને પોતે પતિ પણ ખરો અને પાછો, દોહિત્ર પણ ગણાય. આ રીતે, આધુનિકસિંહ તેના પિતાની "બેટાથી બાપ સવાયાની" કહેવત પાકી કરવની દોડમાં આખરે પોતેજ પોતાનો નાનો બન્યો
આટલો ઓછો સમાજ સુધારો હતો તેમાં, "બેટાથી બાપ સવાયોની" કહેવતને વધુ હવા આપવાના હેતુએ ઉન્નતિનગરના પ્રધાન સચિવ આધુનિકસિંહે તેના સાવકા દીકરાના લગન તેની સગી વિધવા બહેન સાથે કર્યા. અને તેને ત્યાં જોડકા બાળકોમાં એક દીકરી અને એક દીકરાનો જ્ન્મ થયો . હવે આમ આ બંને બાળકો આધુનિકસિંહના ભાણિયા અને પૌત્ર- પૌત્રિ થાય અને વિકસસિંહના આ. ..
અમરવેલ માફક ફૂટતા રહેતા સબંધોના જાળાથી કંટાળેલા વેતાળની વાર્તાને રાજાએ, ઈશારાથી આટલેથીજ અટકાવતાં, વેતાળે વિક્રમ રાજાને પૂછ્યું, કે હે જ્ઞાન-વીર રાજા, વિકસસિંહે આદરેલી "બેટાથી બાપ સવાયોની" કહેવત પુરવાર કરવાની દોટથી સબંધોની માયાજાળમાં જકડાયેલા બેટા આધુનિકસિંહ અને બાપ વિકાસસિંહની હાલની મુંજવણ દૂર કરવાનો ઉપાય બતાવ.
હે વેતાલ, મારા મતે, આધુનિકસિંહે પહેલા તો પોતાના દીકરાનું લગ્ન તેના પિતાની દીકરી સાથે તાત્કાલિક કરાવી નાખવું જોઈએ, કારણકે આમ કરવાથી ઊભી થતી મુંજવણો, હાલની મુજવણ કરતા ઓછી હશે, અને "બેટાથી બાપ સવાયોની" કહેવત પુરવાર કરવાની વિકાસસિંહની દોડમાં બહેનનાં જોડિયા બાળકોથી ઉદભવતી સબંધોની વેલ બીજે વાળી શકાશે.
શાબાશ...અરે વિક્રમ તારો તો આઈ-ક્યું હજુય ઊંચો છે ! તું તો ભારે ઇંટેલીજેંટ નીકળ્યો, પણ તું "બોલ્યો" એટ્લે હું તો હવે આ "સરક્યો", કહેતા વેતાળ પાછો ઊડી ખીજડાના ઝાડે જઇ બેસી ગયો . ત્યારે "બેટાથી બાપ સવાયોની" કહેવતના સતત પડતાં પડઘમથી વિક્રમ રાજાનો ઉજ્જૈન નગરી જોવાનો ઉમંગ ઓસરી ગયો હતો.