વાંક કોનો ???
વાંક કોનો ???
આનંદીબેનનો પુત્ર બહારગામ હતો... નોકરી કરતો હતો.. આનંદીબેન અને એની દીકરી પોતાના વતનમાં હતા... આમ તો બધું બરોબર ચાલતું હતું.. પણ આજે આનંદીબેન મુંઝાયેલા હતા... તેમણે પોતાના પુત્રને ફોનમાં વાત કરી... "બેટા થોડી મુંઝાવ છું તારી સલાહની જરૂર છે.. ફોનમાં વાત નહિ કરી શકું તું આવે જ છે ને રૂબરૂ તો ત્યારે વાત કરીએ "...
પુત્રએ કીધું હા ભલે... પણ દીકરો ઘરે આવતા જ આ વાત ભૂલી ગયો... આનંદીબેન રાહ જોતા રહ્યા કે હમણાં દીકરો વાત કરશે હમણાં વાત કરશે... પણ ... દીકરો બે દિવસ રોકાઈને ફરી બહારગામ ચાલ્યો ગયો...
અહીં આ બાજુ આનંદીબેનની મુશ્કેલી વધતી ગઈ.. વાત જાણે એમ હતી કે..... તેમના દીકરાના એક ખૂબ નજીકના મિત્રના પપ્પા આનંદીબેનને હેરાન કરતા હતા... આનંદીબેન સાથે પરાણે સંબંધ રાખવા માંગતા હતા... એવો સંબંધ જેને આ સમાજ ક્યારેય મંજુર ન કરે..એક એવો સંબંધ કે જો આનંદીબેન એ સ્વીકારે તો પોતાના બાળકોની નજરમાં ખૂબ નીચા ઉતરી જાય... જો કે આનંદીબેન આ બધા પરિણામ જાણતા હતા અને તેથી જ એમની ચોખ્ખી ના હતી... પણ સામેની વ્યક્તિ પોતાના દીકરાના મિત્રના પપ્પા હતા તેથી સમજાવટથી સારા શબ્દોમાં ના પાડતા રહ્યા...
આમ જુવો તો એ વ્યક્તિ કાઈ નાની તો ન જ હતી... એને ખુદ ત્રણ સંતાનો છે... અને પાછા ત્રણેય સંતાનોના લગ્ન થઈ ગયા છે અને એમના ઘરે પણ બાળકો છે... પણ છતાં એમની મતિ બગડી...
ટાણે-કટાણે એ ફોન કરતા હતા... અને આનંદીબેનને હેરાન કરતા હતા...અને પછી તો એક વાર હદ થઈ ગઈ.... એ ઓચિંતાના જ આનંદીબેનના ઘરે જઈ ચડ્યા... પુત્રના મિત્રના પપ્પા હોવાથી આનંદીબેન એ આવકાર આપ્યો... ચા પાણીનો વિવેક કર્યો.... ચા પીવડાવી.... થોડી આડીઅવળી વાતો થઈ.... પછી પેલા કહેવા લાગ્યા... કે તમારી પરિસ્થિતિ હું સારી રીતે જાણું છું અને તમને (આનંદીબેન ને) હૂંફ આપવા માંગુ છું... તમારું મન બીજે વાળવા માંગુ છું... વગેરે... વગેરે....
આનંદીબેને ત્યારે પણ વિવેકથી અસ્વીકાર કર્યો એમની વાત નો... સમજાવ્યા એમને કે આ બધું આ ઉંમરે ન શોભે... આપણા બાળકોને આ વાતની જાણ થાય તો આપણી આબરૂ
શુ રહે ? બાળકોની નજરમાં આપણી કિંમત ન રહે.. પણ એ વ્યક્તિના મનમાં તો કઈક જુદા જ ઘોડા દોડી રહ્યા હતા...
કાઈ ક વિચારીને એણે આનંદીબેન પાસે પાણી માંગ્યું.. આનંદીબેન પાણીનો ગ્લાસ લઇ ને આવ્યા... પાણીનો ગ્લાસ લેવાના બહાને એ વ્યક્તિ એ આનંદીબેનનો હાથ જ પકડી લીધો.. અને આનંદીબેન કાઈ સમજે એ પહેલાં જ એમના હાથ ને ચૂમી લીધો....
આનંદીબેન એકદમ અવાચક થઈ ગયા... ગુસ્સો પણ આવ્યો એમને અને ગુસ્સામાં પેલા ભાઈ ને ઘરમાંથી ચાલ્યા જવા કહ્યું... એ વ્યક્તિ તો ચાલી ગઈ પણ આનંદીબેન આ ઘટનામાંથી બહાર ન આવી શક્યા... થોડીવાર પછી આનંદીબેનની દીકરી આવી... આનંદીબેન એનાથી નજર બચાવીને કામમાં જીવ પરોવવા લાગ્યા... પણ એમની દીકરીની નજરમાં આ બદલાવ આવી ગયો. એણે તરત મમ્મી ને પૂછ્યું કે શું થયું ?? અને આનંદીબેનના મનમાં ચાલતું તોફાન અશ્રુ સ્વરૂપે બહાર આવ્યું... એમણે બધી વાત કરી પોતાની દીકરીને....
ત્યાર પછી પણ પેલી વ્યક્તિના ફોન અને મેસેજ ચાલું રહ્યા... મેસેજમાં એમને બ્લોકલીસ્ટમાં નાખ્યા અને એમના ફોન ઉપાડવાનું બંધ કર્યું.... તો બીજા નબરમાંથી એમણે ફોન કરવાનું શરૂ કર્યું....
અંતે એક વાર આ બધાથી થાકી ને આનંદીબેને કોઈ પણ જાતની શરમ વગર એ વ્યક્તિને ખૂબ જ આકરા શબ્દોમાં સંભળાવ્યું... ઘણા ન કહેવાના શબ્દો પણ કીધા... ખૂબ ગુસ્સો કર્યો.. અને સખત શબ્દોમાં ફરી ક્યારેય ફોન ન કરવાની ચેતવણી આપી...
થોડો સમય બધું બરોબર ચાલ્યું... ફરી એક વાર એ વ્યક્તિ એ આનંદીબેનને સોશિયલ મીડિયામાં રિકવેસ્ટ મોકલી.... આ નફ્ફટ માણસને એમ પણ આનંદીબેને બ્લોક કર્યા...
સમય જતાં આનંદીબેને પોતાના પુત્ર ને આ બાબતે વાત કરી અને ઠપકો આપ્યો કે તે તારી ફરજ પુરી ન કરી... જ્યારે મને તારી જરૂર હતી ....પુત્રએ આનંદીબેન ને સલાહ આપી કે તેઓ સોશિયલ મીડિયા બંધ કરી દે.... જેથી એ વ્યક્તિ ફરી તેમનો કોન્ટેક્ટ ન કરી શકે....
શુ આ યોગ્ય સલાહ છે ???
આનંદીબેનનો વાંક ગણાય ??? કે એમને સોસિયલ મીડિયા બંધ કરવું પડે ???
ખરો વાંક કોનો ????? આપનો જવાબ જરૂર આપજો કોમેન્ટ માં....