ઉદય ભાગ ૩૦
ઉદય ભાગ ૩૦


ભભૂતનાથ અવઢવમાં હતા પણ મહાશક્તિ સાથે વાત થયા પછી તેઓ આશ્વસ્ત થયા હતા. તેમને દિશા મળી ગઈ હતી. તેઓ ઉદય જ્યાં હતો તે ખંડમાં આવ્યા. ઉદય હજી બેહોશ હતો અને ભભૂતનાથ જાણતા હતા કે તે હજી ઘણો સમય બેહોશ રહેવાનો હતો કારણ હતું તેને લગાવેલી દવાઓ. તે દવાઓમાં અસ્થિવર્ધક, શક્તિવર્ધક અને પીડાશામક વનસ્પતિના મૂળ હતા. ભભૂતનાથ તે ખંડમાંથી નીકળી ગયા અને તે દ્વાર મંત્રથી બંદ કર્યું જેનાથી અસીમાનંદ પ્રવેશી ન શકે.
ભભૂતનાથ હવે શ્રાપ મુક્ત થઇ ગયા હતા હવે તેમની પાસે શક્તિ આવી ગઈ હતી. જેનાથી તેઓ ત્રીજા, ચોથા અને પાંચમા પરિમાણમાં ગમે ત્યારે પ્રવેશી શકે. તેઓ ચોથા પરિમાણમાં ગયા અને કીયંડુનાથને આદેશ આપ્યો દેવાંશીને ચોથા પરિમાણમાં લઇ આવવાનો. અને પછી સર્વેશ્વરનાથ ને સેનાને તૈયાર કરવાનો આદેશ આપ્યો. તેમને સર્વેશ્વરનાથ ને કહ્યું કે હવે યુદ્ધ ગમે ત્યારે થઇ શકે તેના માટે તમે તૈયાર રહો. કદાચ અસીમાનંદ પણ તેની તૈયારી કરી રહ્યો હશે. ભભૂતનાથે પોતાના ખંડમાં જઈ પોતાનો ફરસો ઉપાડ્યો અને યુદ્ધાભ્યાસ કરવાનું શરુ કર્યું.
અસીમાનંદ તે ગુફામાંથી નીકળીને એક બીજી ગુફામાં ગયો જે ત્યાંથી ખુબ દૂર હતી. તેની નિશાનદેહી કાળી શક્તિઓ એ પાંચમા પરિમાણમાં પ્રવેશવા પહેલા આપેલી હતી. તે ગુફામાં પ્રવેશ્યા પછી તેના છેડે રહેલ અગ્નિકુંડ પાસે ગયો અને કાળી શક્તિઓનું રક્ત અર્પણ કરી આવાહન કર્યું. એક આકૃતિ અગ્નિમાં પ્રગટ થઇ તેને કહ્યું કે ઉદયશંકરનાથના શરીરનો નાશ મેં કરી દીધો છે અને ઉદય પણ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યો હશે હવે મારે આગળ શું કરવું તેનું માર્ગદર્શન કરો.
અસીમાનંદનો પ્રશ્ન પૂર્ણ થતા સાથે તેના પર એક જોરદાર પ્રહાર થયો જેનાથી તે જમીન પર પછડાયો. આકૃતિ એ કહ્યું તારા જેટલો મહામૂર્ખ મેં જીવનમાં જોયો નથી. રાવણનું ઓજાર તારી મૂર્ખતાને લીધે નષ્ટ થયું અને ઉદયને તે ઘાયલ કરીને છોડી દીધો. તે તેની હત્યા કેમ ન કરી. શું તું હજી પોતાને દિવ્યપુરૂષ માને છે જેને મહાશક્તિના આદેશ સિવાય હત્યાનો અધિકાર નથી. અસીમાનંદે કહ્યું કે ઉદય નક્કી મરી ગયો હશે. આકૃતિ એ કહ્યું કે ના તે જીવિત છે અને સાજો થઇ રહ્યો છે. તો હું તેને અત્યારે જ જઈને મરી નાખીશ અસીમાનંદ બોલ્યો.
આકૃતિ એ કહ્યું મેં આના માટેજ તને મહામૂર્ખ કહ્યો હાથમાં આવેલ તક ફરી ફરી નથી મળતી. તારા લીધે મારા મહત્વના સેવકનું મૃત્યુ થયું. હવે તારે જરખનું સ્થાન લેવાનું છે. હું તને એક વિધિ કહું છું જેનાથી તું એક સેના તૈયાર કર અને અહીં ભભૂતનાથ અને ઉદયને હરાવ અને પછી ચોથા પરિમાણના રહેલ તેમના સેવકોને હરાવ પછી તને ત્રીજા પરિમાણમાં કોઈ નહિ હરાવી શકે અને આખા જગત પર તારો કબ્જો હશે. બાકીના પરિમાણો પર મારો કબ્જો હશે. અસીમાનંદને પછી વિધિ સમજાવી. તે ત્યાંથી નીકળી રણમાં ગયો. તેના ત્યાંથી નીકળી ગયા પછી તે ગુફામાં એક વ્યક્તિ પ્રવેશી અને અગ્નિકુંડ સામે ઉભી રહી. આવાહન પછી આકૃતિ ફરી પ્રગટ થઇ અને બોલી પાંચમા પરિમાણમાં તારું સ્વાગત છે જરખ. હવે તું વધુ શક્તિશાળી થઇ ગયો હોઈશ. જરખે હકારમાં માથું હલાવ્યું અને કહ્યું આપણી કૃપાને લીધે હું ફરી જીવિત થયો છું. આકૃતિ એ કહ્યું કે અસીમાનંદને લડવા માટે મોકલ્યો છે તે જેવો સફળ થાય એટલે તું તેની હત્યા કરી દેજે અને ત્રીજા પરિમાણ પર તારું રાજ ચાલશે. જરખે પૂછ્યું કે તમે યુદ્ધ માટે મારી પસંદગી કેમ ન કરી, શું તમને મારી સફળતા પર વિશ્વાસ નહોતો. આકૃતિએ કહ્યું તું ૧૦૦૦ વર્ષથી મારી સેવા કરે છે, મને તારી તાકાત અને નબળાઈઓ વિષે ખબર છે. અસીમાનંદ એક દિવ્યપુરૂષ છે તે શક્તિશાળી છે અને તેઓ અંદરો અંદર લડતા હોય તો મારે તને શું કામ લડવા મોકલવો. મહાશક્તિને માત આપવાનો આનાથી શ્રેષ્ઠ માર્ગ કયો ? હું તને એક હથિયાર આપું છું જેનાથી તું યુદ્ધને અંતે અસીમાનંદનો વધ કરજે.
ચોથા પરિમાણમાં કીયંડુનાથ ભભૂતનાથની કુટિરની બહાર બેહોશ દેવાંશીને લઈને ઉભો હતો. તેને ભભૂતનાથને પૂછ્યું શું એને હોશમાં લાવું. ભભૂતનાથે તેવું કરવાની ના પડી અને કહ્યું આને ઉદય પાસે લઇ ગયા પછી હોશમાં લાવીશ. ભભૂતનાથે દેવાંશીને ખભા પર ઉપાડી અને એક દિશા તરફ પ્રયાણ કર્યું.