ઉદય ભાગ ૧૩
ઉદય ભાગ ૧૩


પલ્લવને ભોજન પીરસવામાં આવ્યું. તેમાં તેણે કોઈ દિવસ ખાધી ના હોય તેવી ભાજી થોડા ભાત અને થોડા ફળો હતા. તેને આવું ભોજન કરવાની ટેવ ના હતી. સર્વેશ્વરનાથ ને પૂછતાં તેને જણાવ્યું કે અહીં મોટેભાગે તો કોઈ જમતું નથી ફક્ત ફળોના રસ અથવા અમૃત પીવે છે. પલ્લવને આશ્ચર્ય થયું તેણે પૂછ્યું પુરાણોમાં લખ્યું છે કે દેવો જેનાથી અમર રહે છે તે અમૃત ? સર્વેશ્વરનાથ ખડખડાટ હસી પડ્યો અને કહ્યું પુરાણો ત્રીજા પરિમાણમાં પ્રચલિત મિથકો. જો કે બધું જ અસત્ય નથી પણ સામાન્ય માણસ સમજી શકે તે માટે મહાશક્તિઓ કે દિવ્યશકિતઓને એક નિશ્ચિત નામ અને આકાર આપવામાં આવ્યા છે. પણ શક્તિઓનો કોઈ આકાર નથી ત્રીજા પરિમાણમાં તેમને જુદા જુદા સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ત્રીજા પરિમાણમાં રહેતા મનુષ્યો ઘણા કલ્પનાશીલ છે અને તેમણે જુદા જુદા ધર્મોની સ્થાપના કરી છે. કોઈ શક્તિઓને ભગવાન કહે છે તો કોઈ અલ્લાહ, કોઈ ગૉડ કહે છે તો કોઈ રબ. દરેક ધર્મ શક્તિઓની પૂજા જુદા જુદા સ્વરૂપે કરે છે અને એકબીજા સાથે લડતો રહે છે. મનુષ્યો પોતે શક્તિશાળી થવા તેમનો ઉપયોગ કરે છે.
અને પુરાણોમાં અમૃત તરીકે જે પીણાંનો ઉલ્લેખ છે જેનાથી અમર થવાય છે તેનો અને અહીં ના અમૃતને કોઈ સંબંધ નથી. અહીં જે અમૃત મળે છે તે જુદા જુદા ફળો અને મૂળોનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવેલું પીણું છે જેનાથી શરીરમાંથી અશુદ્ધિ દૂર થાય છે. તમે આવ્યા છો ત્યારથી તમને શ્વાસ લેવામાં થોડી તકલીફ થતી હશે તેમજ ચક્કર આવતા હશે તેનું કારણ અહીંના વાતાવરણમાં ત્રીજા પરિમાણ જેટલો પ્રાણવાયુ નથી. ત્રીજા પરિમાણમાં પ્રાણવાયુ વધારે છે જેનાથી શરીરના કોષો ઝડપથી વધે છે તેમ ઝડપથી મરી જાય છે તેથી ત્યાં વૃધત્વ પણ જલ્દી આવે છે. અહીં પ્રાણવાયુ ઓછો છે તેથી શરીરના કોષોનું આયુષ્ય વધે છે અને સરવાળે અહીં રહેતા જીવોનું. તમે અહીં આવ્યા હતા ત્યારે તમારી વ્યવસ્થા એક કુટિરમાં કરી હતી તેમાં તમે આરામ કરવા ગયા ત્યારે તેની અંદરનું પ્રાણવાયુનું પ્રમાણ ત્રીજા પરિમાણ જેટલું જ હતું જેને ક્રમિક રીતે તમે ઊંઘમાં હતા ત્યારે ધીમે ધીમે ઘટાડ્યું તેથી તમે જગ્યા અને બહાર આવ્યા ત્યારે તમારું શરીર અહીંના પ્રાણવાયુના પ્રમાણ સાથે ટેવાઈ ગયું અને તમને પછી સારું લાગતું હતું. હજુ જો કે પૂર્ણ પણે ટેવાતા તમને બે દિવસ લાગશે. અહીંના બે દિવસ અને રાત્રી એટલે ત્રીજા પરિમાણના બે માસ જેટલો સમય.
પલ્લવે વિચાર્યું કે હું અહીં આવીને ઘણો સમય થઈ ગયો કદાચ મફાકાકા, રામલા અને બાકી લોકો માટે હું પણ ભભૂતનાથની જે ઇતિહાસ બની જઈશ. ભોજન લઈને પલ્લવ આડો પડ્યો ત્યારે વિચારવા લાગ્યો જીવન કેટલું અનિશ્ચિત છે. તે જયારે વિચારવા લાગ્યો કે હું અહીં ઠરીઠામ થઈશ ત્યાં તો આ બધી પળોજણ. દેવાંશીને મળ્યો તેને બહુ સમય નહોતો થયો પણ હવે તે વર્ષો પહેલાની ઘટના લાગવા લાગી. ખબર નહિ હજી કેટલા આશ્ચર્યો તેની રાહ જોઈ રહ્યા છે.
તે જાગ્યો ત્યારે બપોર પડી હતી, જોયું કે તેણે ૧૦ કલાકની ઊંઘ ખેંચી હતી છતાં અહીં તો સમયમાં નામ માત્રનો ફરક પડ્યો હતો. જો તેને રાત્રે ઘડિયાળ પહેરવાની ટેવ ના હોત તો તેને આ બધા પર વિશ્વાસ ન બેઠો હોત. બીજી કોઈ વાત સત્ય હોય ન હોય પણ એક વાત આ જગ્યા માટે સત્ય છે કે અહીં સમય ધીમો વહે છે. તેણે બીજી એક વાત નું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું કે અહીં તાકાત તીસ ગણી વધી જાય છે. તે માટે તે આશ્રમના એક વૃક્ષ પાસે ગયો અને તેના થડ પર જોરથી મુક્કો માર્યો ત્યારે તે વૃક્ષ હચમચીને પડી ગયું તેને આશ્ચર્ય થયું કે આટલી તાકાત તો તેનામાં કયારેય નહોતી.
એટલામાં જ સર્વેશ્વરનાથ સામેથી આવતો જણાયો અને તેણે કહ્યું કે અહીંની કોઈ પણ કુદરતી સંપત્તિને નુકસાન કરવાની અનુમતિ નથી તમને ગુરુજી બોલાવે છે.