સુખદુઃખની વાત
સુખદુઃખની વાત
" ઓહોહો..કેમ છો શાંતિ લાલ ? બહુ દિવસે મળ્યાં." કાંતિલાલ બોલ્યા.
આ સાંભળી ને શાંતિલાલ બોલ્યા:-" અરે હમણાં બે દિવસ પહેલા તો મળ્યાં'તા.. અને દર વખતે મજામાં છું એમ બોલવું પણ કઠીન લાગે છે."
કાંતિલાલ:-" એટલે ? આની પહેલા તો તમે મજામાં હતા. કંઈ તકલીફ છે ? રૂપિયાની તંગી હોય તો કહેજો..શરમાતા નહીં.મિત્ર મિત્ર ની મદદ કરે."
શાંતિલાલ:-" એવું નથી.. પણ દર વખતે કંઈ જીવનમાં સારૂં ના હોય ! કોઈ પૂછે એટલે સારૂં છે.. મજામાં છું... એવું કહેવું પડે..ને રૂપિયા તો ઘર ચાલે એટલા તો છે જ .. આ પાછલી જિંદગી માં એફડી ના વ્યાજમાં ઘર કરકસરથી ચલાવીએ છીએ.. ને જુઓ ને વ્યાજનો દર પણ ઓછો થયો... તકલીફો તો પડે.. પણ ધીમે ધીમે જરૂરિયાતો ઘટાડી દીધી.. બોલો તમે મજામાં ?"
કાંતિલાલ:-" આ તમારી જેમજ.. નિવૃત્તિ પછી નું સરળ ને સાદુ જીવન... હા... આ મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ તો પડે જ છે.."
શાંતિલાલ:-" ને જુઓ ને આપણે બંને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતાં.એ પેન્શન... મીનીમમ એક હજાર આપે છે... તમારૂં ને મારૂં પેન્શન લગભગ બારસો રૂપિયા જેટલું છે.. ઘર ચલાવવું મુશ્કેલ છે... પેન્શન પણ વધારતા નથી.."
કાંતિલાલ:-" હા.. જુઓ ને લોકોના પેન્શન વીસ કે ત્રીસ હજાર હોય છે.. એટલું જ નહીં પણ પ્રજાના સેવકોને કેટલું બધું પેન્શન.. ?..એતો સેવક કહેવાય..એમને પેન્શન કેમ આપે છે એ હજુ સુધી સમજાતું નથી."
શાંતિલાલ:-" ખરેખર તો સેવા ના નામે કમાણી કરી લેવાની વાત છે.. હશે આપણે તો ઈશ્વરને પ્રાર્થના જ કરી શકીએ કે એ લોકો ને સદબુદ્ધિ આપે.. ને સત્યનિષ્ઠ, કર્મનિષ્ઠ બની ને પ્રજાની સેવા કરે..ચાલો ત્યારે આજ ની દિવસ સુધી આટલી વાત.."
કાંતિલાલ :-" હા..હા.. આપણે તો સંતોષી જીવ.. ને હા પીએફઓ પેન્શન વધારો માટે જે લડત ચાલે છે એની વિગતો મેળવી ને તમને માહિતી આપીશ... તો આપણે મળતાં રહીશું...જય શ્રી કૃષ્ણ..."
આમ શાંતિલાલ અને કાંતિલાલ સુખદુઃખની વાતચીત કરતા છૂટાં પડ્યા.