સફળ દામ્પત્ય જીવન
સફળ દામ્પત્ય જીવન
"લગ્ન એટલે સંસ્કાર, લગ્ન એ બે શરીરનું નહિ પણ બે આત્માનું મિલન છે. અને એટલેજ આપણા હિન્દુ ધર્મમાં લગ્નને પણ એક સંસ્કાર ગણવામાં આવ્યું છે. સફળ લગ્ન કે સફળ દામ્પત્ય જીવનના પાયામાં પતિ અને પત્ની બંનેનો અમૂલ્ય ફાળો હોય છે. પતિ - પત્ની જીવનરથના એવા ચક્રો છે કે જે હંમેશા એકધારી ગતિથી, એકસાથે,એકબીજાના સાથી અને એકબીજાનો આધાર બનીને આગળ વધે છે."
પોતાના અભૂતપૂર્વ વક્તવ્ય અને અભિભૂત કરનારી વાણીથી હોલમાં બેઠેલા સમગ્ર શ્રોતાગણને વિભાબેન દેસાઈએ મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજે "આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ"ના ઉપક્રમે વુમન્સ ક્લબમાં જાણીતા લેખિકા અને વક્તા શ્રીમતી વિભાબેન દેસાઈનું "સફળ દામ્પત્ય જીવન" એ વિષય પર વક્તવ્ય હતું.
તેમનું વક્તવ્ય પૂરું થયા પછી આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બધાનું અભિવાદન ઝીલીને કારમાં બેસતી વખતે ખભેથી શાલ ખસી જતાં ગઈ રાતે વાંસે પડેલા મારનાં ચકામાં દૃષ્ટિગોચર થઈ ગયા ને કોઈ ને એ દેખાય એ પહેલાં જ તો વિભાબેન ફટાફટ કારમાં બેસી ને જતાં રહયાં