સંબંધનું નામ હોવું જરુરી છે ?
સંબંધનું નામ હોવું જરુરી છે ?
કર્ણવી મને બરાબર યાદ છે આપણે પહેલીવાર મળ્યા ત્યારે તું કંઈક અલગ જ હતી. બિલકુલ પોતાની દુનિયામાં વ્યસ્ત અને સ્વ પ્રેમમાં તરબોળ.
હા ખરું હો પૂર્વ. તને કદાચ એ યાદ નહી હોય કે તે દિવસે....
મને યાદ છે, કેમ ભુલાય એ દિવસ... તારું મારી પાસે આવી હેલો મિ.જરા ખસી જશો કહેવું. બસ એ શબ્દોની સરવાણીની સાથે સાથે હું પણ તારા પ્રેમમાં વહી ગયો અને આજે આપણે અહીં, આમ...
પૂર્વ હજી મારા મનમાં એ પ્રશ્ન તો અકબંધ જ છે. શા માટે હું... આઈ મીન... મને આઈ લવ યુ કહેવાનું કારણ....
કર્ણવી દરેક વાચાની પાછળ કથા હોવી જરુરી નથી. મારો તારા માટે પ્રેમ બાહ્ય સુંદરતા કે આકર્ષણને કારણે નથી. હું એ બધાથી પર છું. મારે મન પ્રેમ એટલે એક કુણી સંવેદના... ઋણાનું બંધન... લાગણીઓના સરવાળા જ સરવાળા...
સાચું કહું મને તારામાં તને જાણ્યા પછી કશું જ ખરાબ, ખોટું લાગતું જ નથી. તું સંપૂર્ણ છે અને એજ મને પૂર્ણ બનાવે છે. તારી નટખટ વાતો, તારી ચંચળતા અને બાલિશ છતાં સમજુ વાતોનો હું દિવાનો છું. આપણે બંને જાણીએ છીએ આપણે ઉંમરના એ પડાવ પર છીએ જયા શારિરીક નિકટતાની જરુર કરતા પ્રણયની પવિત્રતા વધુ મહત્વની છે.
પૂર્વ તારી વાતો સાચું કહું તો બહુ જ ભારે લાગે છે. પરંતુ હા મને ગમે છે જેમ તું ગમે છે. જાણતા અજાણતાં તું મારા જીવનમાં અજાણ પણ ખુબ જ પોતાનો બની ગયો છે. તારા વગર મારા જીવનની પરિકલ્પના હવે કદાચ શક્ય નથી. પરંતુ...
શું કર્ણવી?
આપણે બંને આ રીતે કયા સુધી...
હું કંઈ સમજ્યો નહી. ખુલી ને બોલ... નિ:સંકોચ.
પૂર્વ આપણા આ સંબંધનું નામ...
કેમ તને આપવું જરુરી લાગે છે કર્ણવી? મને તો...
હા લાગે છે... આમ કયા સુધી.. લોકો શું બોલશે એ તો જરા વિચાર.
શા માટે વિચારું? આપણે એકબીજાને પ્રેમનો એકરાર કર્યો ત્યારે વિચાર્યું હતું આ વિશે? આપણા સંબંધની પૂણ્યતા આપણે બંને જાણીએ છીએ. માત્ર દુનિયાના ઢકોસલાઓને સંતોષવા સંબંધને નામનું આભૂષણ પહેરાવવું જરુરી છે?
જો તને નામ આપવાથી જ સંતોષ મળતો હોય તો જે તને ગમે એ નામ આપી જે બસ. પણ ખરા અર્થમાં જોઈએ તો આપણો સંબંધ નામથી ઉપર છે, કારણ કે આમાં આશા કે અપેક્ષા નથી. છે તો માત્ર અકબીજાને ખુશ રાખવાની લાલસા.
તારું મને પૂર્વ કહીને બોલાવવું આજે જેટલું આનંદદાયક લાગે છે ને એ કદાચ પછી નહી લાગે. નામ આપીને મુક્તપણે વહેતા આપણા સંબંધને કાંટાળા વાડાઓમાં શા માટે જકડી લેવા માંગે છે.
પણ સમાજ...
અરે વહાલી... તું કયા સમાજની વાત કરે છે. આ સમાજે તો કૃષ્ણ અને દ્રૌપદીના સંબંધને પણ નામ આપી બાંધવાની કોશિશ કરી હતી. સમાજ ક્યાં એમના નિશ્ચળ લાગણી અને પ્રેમને સમજી કે સ્વીકારી નથી શક્યો તો આપણે તો બહુ તુચ્છ છીએ.
માટે આ સમાજની ચિંતા કરવાનું રહેવા દે અને વિતાવેલા વર્ષોની સ્મૃતિ અને આવનારા વર્ષોની રાહ જોતી આપણા સાથને પરમતત્ત્વની પરે વહેવા દે. જીવનમાં આ સમય પાછો વળી દસ્તક નહી આપે, માટે જીવનને આપણા પ્રેમની ગુલાબી મોસમના સાથ સાથે આગળ વધવા દે.