શ્રધ્ધાંજલિ
શ્રધ્ધાંજલિ
મૃણાલબેન, આપણે મહેફિલ ગૃપમાં એકબીજાને ઓળખતાં થયાં. મળ્યાં નહોતાં છતાં પણ સંદેશાની આપ-લે કરતાં એકબીજા સાથે લાગણીથી બંધાયા.
મહેફિલ ગૃપમાં સહિયારું પુસ્તક પ્રકાશિત કરવાની વાત શરૂ થઈ. બધાં સર્જકમિત્રોએ વાત વધાવી લીધી, પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી થયું. તૈયાર થતાં જ નામકરણ થયું," કુંપળ ફૂટ્યાની વાત".
નૈતિક અને બીજા મિત્રોએ મળી અંબાજી મુકામે ગાયત્રી મંદિરમાં પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો.
આપણી ક્યારે મળીશું વાતનો અંત આવ્યો અને અંબાજી મુકામે મળ્યાં.
બે દિવસ આપણે સાથે રહ્યાં. તમારી સાથેની પહેલી જ મુલાકાત છતાં જરાપણ અજાણ્યું ન લાગ્યું. ખુબ જ સરસ મિલનસાર સ્વભાવ, હંમેશા હસતો ચહેરો, આપણે કેટલી બધી વાતો કરી, જામનગર આવવાનું આમંત્રણ આપ્યું અને છૂટાં પડ્યાં.
તમારા બગીચાનો વીડિયો જોઈને મેં તમને અભિનંદનનો સંદેશો પાઠવ્યો ત્યારે પણ તમે કહ્યું," જામનગર મારે ત્યાં આવો. ક્યારે આવો છો, ક્યારે મળીશું." એમ તમે પૂછતાં રહ્યાં.
કોરોનાને કારણે ન અવાય, એ જાય એટલે આવીએ જ છીએ એવું કહ્યું ત્યારે મને ખબર નહીં કે એ જ કોરોના તમને બધાથી વિખૂટાં પાડશે અને ક્યારે મળીશું એવું પૂછતાં તમે હવે ક્યારેય નહીં મળો એ જાણીને હૃદય ભરાઈ આવે છે. મન માનવા તૈયાર નથી પરંતુ આ સનાતન સત્ય સ્વીકારવું જ રહ્યું.
પ્રભુ, પ્રેમથી રાખજો અમ મૃણાલબેનને, હવે એ તારા ભરોસે. અમ સહુની પૂરજો એટલી આશ. પ્રાર્થના કરીએ તને એટલી.
પ્રભુ તમારાં આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.