સગપણ
સગપણ
"તમે હમણાં જ નીકળી જાઓ મારા ઘરમાંથી ! આ ઉંમરે તમારું મોઢું પણ નથી જોવું મારે!" અમૃતે એંસી વર્ષના પિતા શાંતિલાલ સામે રાડ પાડી.
શાંતિલાલે ધ્રૂજતા હાથે લાકડી પકડી, ખભે થેલો ભરાવ્યો અને કશું જ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગયા. દીકરાએ પાછળથી ધબ્બ દઈને દરવાજો વાસી દીધો.
સોસાયટીના નાકે પહોંચતાં જ શાંતિલાલનો પગ લપસ્યો. એ જોરથી પટકાયા. ગોઠણમાંથી લોહી વહેવા લાગ્યું અને લાકડી આઘી જઈને પડી. આજુબાજુથી અજાણ્યા લોકો ભેગા થઈ ગયા, પણ શાંતિલાલની નજર તો એ બંધ દરવાજા તરફ જ સ્થિર હતી.
એ જ ક્ષણે, ભીડને ચીરીને અમૃત દોડતો આવ્યો. એણે હાંફતાં હાંફતાં પિતાને બેઠા કર્યા, ધૂળ સાફ કરી અને પોતાના રૂમાલથી લોહી લૂછવા લાગ્યો. એની આંખો ભીની હતી.
"કેમ પાછો આવ્યો?" શાંતિલાલે રૂંધાયેલા અવાજે પૂછ્યું.
અમૃતે ધ્રૂજતા હાથે પોતાના ખિસ્સામાંથી દમની દવાઓ અને પંપ કાઢી પિતાની હથેળીમાં મૂક્યા, "તમે... આ ઘરમાં જ ભૂલી ગયા હતા, રસ્તામાં કંઈ થઈ જાત તો ?"
શાંતિલાલ દીકરાના ચહેરાને જોતા જ રહ્યા.
-દિનેશ નાયક 'અક્ષર'
સરડોઈ
