રાધે રાધે
રાધે રાધે
રાધા એક એવું નામ છે જે નામ લેતાંની સાથે કૃષ્ણ તમારા મનોજગત પર કબજો જમાવી દે છે. રાધાને યાદ કરો એટલે તરત જ કૃષ્ણ પણ યાદ આવી જ જાય. કૃષ્ણની બાબતમાં એવું નથી. કૃષ્ણને યાદ કરો તો મથુરા,ગોકુળ,વૃંદાવન,હસ્તિનાપુર અને દ્વારિકા કેટકેટલું યાદ આવે. રાધાને યાદ કરો એટલે કેવળ કૃષ્ણ જ યાદ આવે છે. છે ને રાધિના પ્રેમની અનોખી વાત.
રાધા હતી કે નહીં તે વિશે મતમતાંતરો છે, પરંતુ રાધાનો પ્રેમ યુગો પછી પણ ચિરંતન છે એટલે જ કૃષ્ણ પહેલા આપણે રાધાનું નામ લઈએ છીએ. રાધા-કૃષ્ણ. કૃષ્ણને તમે જુઓ. રાધાને છોડ્યા પછી એને વાંસળી પણ છોડી દીધી છે. એના હાથમાં વાંસળીના બદલે સુદર્શન ચક્ર આવી ગયું છે. એના જીવનની મધુરતા ચાલી ગઈ છે. એ સતત પળોજણમાં વ્યસ્ત થઈ ગયો છે. ચંચળતા અને સહજતા ચાલી ગઈ છે. એ ધીર- ગંભીર થઇ ગયો છે. એની સાલસ અને સરળ છબી ધીરે ધીરે ભૂંસાતી જાય છે. એ ભગવદ ગીતા કહીને સ્વયંને ભલે ઈશ્વર તરીકે ઓળખાવે છે પણ રાધાના ગયા પછી એ હસ્યો હોય એવું નથી લાગતું. એણે રાધા સિવાય કોઈને પ્રેમ કર્યો નથી. હા, એની ફરજ નિભાવી છે. એ રુકમણી અને સત્યભામા જેવી રાણીઓનો રાજા થયો છે પણ પ્રેમી નથી બની શકયો.
રાધાને છોડ્યા પછી એ વૃંદાવન ગયો નથી, જાય તો જાય શી રીતે. રાધા વગર એ વૃંદાવનમાં કરે શું? એનાથી રાધાનો વિરહ કેવી રીતે સહન થાય?
રાધા વગર એ નૃત્ય કરવાનું પણ ભૂલી ગયો છે. રાસ રમવાની તો વાત જ કયાં છે?
કૃષ્ણના સમગ્ર જીવનકાળ દરમ્યાન કૃષ્ણનું એક વિરાટ વ્યક્તિત્વ આપણી સમક્ષ ખડું થાય છે. કૃષ્ણ કોઈના આગળ ઝાંખો નથી પડતો. માત્ર રાધા જ એવું પાત્ર છે જેના ત્યાગ, સમર્પણ, પ્રેમ અને ભક્તિ આગળ કૃષ્ણ ઝાંખો લાગે છે. ભલે પછી કોઈ કવિએ ગાયું ના હોય કે 'મારા કાનજી તમે રાધાજીને તોલે ના આવો'. રાધાને છોડ્યા પછી કોઈએ એને કાનો કે કાનજી કે કાનુડો નથી કહ્યું.
રાધાનો ત્યાગતો જૂઓ. તે શ્રીકૃષ્ણને માત્ર પોતાનો બનાવી રાખવા નથી માગતી. સમગ્ર સમષ્ટિનો થવાની છૂટ આપે છે. પણ પોતે કૃષ્ણ સિવાય કોઈની થતી નથી કૃષ્ણ સાથે તમે બીજાના નામ જોડી શકશો. રાધા સાથે તો જોડાયેલો છે ફક્ત કૃષ્ણ.
રાધા કૃષ્ણના વિરહ તડપી છે પણ રડી નથી. કૃષ્ણને મિસ કરે છે પણ કૃષ્ણથી એને કોઈ ફરિયાદ નથી. એ તો કૃષ્ણમય બની ગઈ છે. કૃષ્ણને જ અનુભવે છે. કૃષ્ણ એને છોડીને ગયો જ નથી. રાધા અને કૃષ્ણ અલગ છે જ નહીં, એક જ છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે અને જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે.