અશ્ક રેશમિયા

Romance

4  

અશ્ક રેશમિયા

Romance

પ્રણયાતીત

પ્રણયાતીત

10 mins
650


  ગગનમાં વાદળનો ભયંકર ગગડાટ થયો ને કીર્તીદેવના ઉરમાં વીજળી પડી. વીજળીના એ દિલફાડ કડાકાઓએ કીર્તીદેવના અસ્તિત્વને હલબલાવી નાખ્યું. ને એ જ ઘડીએ અતીત દાનવ બનીને એણે ચોટ્યો. કીર્તિદેવનો અતીત એટલે બાદશાહી જહોજલાલીમાથી નરકની યાતનામાં સમેટાયેલ સમય.


        ચોમાસું બરાબર જામ્યું હતું.બાર બાર દિવસ સુધી વરસાદની ઝડીઓ અવની પર તૂટી પડી હતી.આકાશમાં કાળાડિબાંગ વાદળા સિવાય સુરજનું કે તારોડિયાનું ક્યાય નામોનિશાન નહોતું રહ્યું. વરસાદે ધરતી પરના જીવોની સાથે જાણે અનિશ્ચિત રમત માંડી હોય એમ ઘડીક થંભી જાય ને પછી અચાનક ધોધમાર વરસી પડે. કદાચ મેઘો પોતાની પ્રીયતમ-સી ધરતીને પોતાની શીતલ લાગણીથી તરબત્તર કરી નાખવા માંગતો હોય એમ જાણે રડી રહ્યો હતો.


      સવારના અગિયાર વાગવા છતાંય ગઈ રાતના આઠ વાગ્યાથી શરુ થયેલો મેઘો ઘડીભર માટે પણ ખમી જવાનું નામ નહોતો લેતો.સ્વર્ગમાંથી જાણે ઇન્દ્રએ તેને ચાર માસ માટે તડીપાર કર્યો હોય એમ એણે અવની પર ધામા નાખી રાખ્યા હતા.આવા ભીષણ વરસાદમાં વાદળના ગગડાટ સાથે જ એ બેય હાથે બારીના સળિયાને ઝાલીને ઉભો હતો. એની શૂન્યમનસ્ક બનેલી આંખો બહાર વરસતા મુશળધાર વરસાદને તાકી રહી હતી. જાણે વરસાદ સાથે એના જનમો–જનમનો નાતો હોય એમ એ વરસાદને પોતાની અંદર ઝીલી રહ્યો હતો. કોઈની તીવ્ર યાદ એને રગેરગમા ભીંજવી રહી હતી.અચાનક કોઈ અદ્રશ્ય દ્રશ્ય એની નજરોમાં ઘોળાયું ને એની આંખને ટશરો ફૂટી! ને એ ઢળી પડ્યો. એનો અવાજ સાંભળીને રસોડામાંથી રોટલી બનાવતી બનાવતી એની પત્ની સફાળે દોડતી આવી પહોચી.


   બારીની નીચે દીવાલને અઢેલીને ઢગલો થઈ પડેલા અમનને જોઈને અનાર ડઘાઈ જ ગઈ. તેના શરીરે કંપારી છૂટી આવી. ઘડીકમાં તો તેને ૧૦૮ નંબર ડાયલ કરવાનું વિચાર્યું.પણ પછી ઘડીક જ એ વિચાર માંડી વાળ્યો.આખરે ગજબની હિંમતથી તેણે કિર્તિદેવને સંભાળી લીધો.

   હજુ ગઈ દિવાળી ટાણે જ કિર્તિદેવ અને અનારના લગ્ન થયા હતા.


      લગ્નની વાત સાંભળીને જે હૈયું વસંત બનીને મ્હોરાવા લાગે,સોનાના હિંડોળે હીંચવા લાગે,જે મન મોર બની થનગનાટ કરવા લાગે,જે જીવ આનંદની જ્હોજ્લાલીમાં આવી જાય એવે વખતે કીર્તીદેવનું વીલું મો જોઈને એના માવતરે પૂછ્યું; ‘બેટા,તારા વદનના વિષાદનું કારણ?’


  માવતરને જવાબ દેતા જીભ ભારે બની. પણ પિતાજીના હઠાગ્રહને વશ બની એણે હોઠ ખોલ્યા; ‘પિતાજી ,હું કોઈ યુવતીને લગ્નનું વચન આપી બેઠો છું.’

‘કઈ હેસિયતથી ?’

‘અમે એકમેકને પ્રેમ કરીએ છીએ.’

પ્રેમ એટલે શું ? એ ખબર છે તને?’

‘પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ જ.. પ્રેમ એટલે ગમતીલા જણની સાનિધ્યમાં જીવવા મરવાની તીવ્ર તાલાવેલી.’


  ‘બેટા,પ્રેમ એ નથી. પ્રેમ એ છે જે લગ્ન બાદ પ્રગટે.લગ્ન પહેલા પ્રગટે એ તો નરી વાસના છે વાસના..’ઋજુ સ્વભાવે એની માતાએ કહ્યું.વળી વાત આગળ વધારી; ‘દીકરા,ખરો પ્રેમ એ છે જે અમે તને જન્મ આપીને ઉછર્યો,પાળ્યો,પોષ્યો..’


  માવતરની વાત સાંભળીને કીર્તીદેવના ગાત્રો ઢીલા પડ્યાં. એ ભોય પર બેસી ગયો.ખભા પર હાથ બેઠો ને કાનમાં અવાજ ઉતર્યો; ‘બેટા,તને તારી પસંદ પર ભરોસો છે તો બેધડક તું તારું વચન નિભાવી શકે છે. તારી તરફના અમારા ન –પવિત્ર પ્રેમને ખાતર તને આ છૂટ આપું છું.પણ એકવાર અમારે એને જોવી છે.’


       પિતાજીની વાત સાંભળતા જ એણે દોટ મૂકી,પોતાની પ્રેયસી-પત્ની તરફ! આનંદઘેલો બની ગયો હતો એ! જે માવતર સામે પોતાના પ્રણયની–ચાહેલી સુંદરી સાથે પરણવાની વાત કરતા જીભ ઉપડતી નહોતી, એ જ માવતરે સહેજમાં એની વાત માની લીધી હતી એ વાતે એણે માવતર તરફ પ્રેમના-લાગણીના ઉભરાઓ આવવા લાગ્યા.

 ‘પ્રેમ એટલે શું “’એ સમજાયું.


   એક કલાકમાં એ પોતાની પ્રેયસીને લઈને માવતર સામે ઉભો રહ્યો.ખુશી એના ઉરમાં સમાતી નહોતી.આનંદના અપાર લખલખા મનને રોમાંચિત કરી રહ્યા હતા.

  ‘પિતાજી,તમારી ભાવિ પુત્રવધુ..રેશમા..!’

‘...રેશમા..!’ જેને જોતા જ,મળતા જ હૈયાને ટાઢક વળી હતી. આંખોમાં ગજબ ચમક ઉભરી હતી..એજ ઉરમાં ને આંખોમાં નામ સાંભળતા જ દાવાનળ સર્જાયો!

  ‘દીકરા..!’ આંખો વરસવા લાગી.અવાજ તરડાયો.

 ‘તે ચાહી-ચાહી ને એક મુસ્લિમ યુવતીને ચાહી?’

 ‘ચાહતની લાગણીઓને નાત-જાતના,ઊંચ-નીચના સીમાડા નથી નડતા.’


    તો તારી પાસે બે રસ્તા છે: એક,અમારા ઘડપણને પ્રેમ આપવો. બીજું;તારા પ્રેમને પામવો. ગમે તે પસંદ કર. સુખી થા.’

    એણે પ્રથમ માર્ગ પસંદ કર્યો.ને માવતરની પસંદ ‘અનાર’ને પરણી ગયો.


    આ વરસાદ પડ્યો ત્યાં લગી આઠ-આઠ માસ થવા છતાય કીર્તીદેવે અનારને ક્યારેય એવું નહોતું લાગવા દીધું કે અનાર સિવાયની પણ એની એક દુનિયા હતી/છે. એણે અનારને બધી રીતે બેશુમાર પ્રેમ આપ્યો હતો.પોતાની પત્ની માટે થઈને એણે પેલી દુનિયાનેય વિસારે પાડી દીધી હતી.અનારને એણે મોધમ પ્રેમ આપ્યો હતો.બન્ને જણ દૂધમાં સાકાર ભળી જાય એમ એકમેકમાં ઓગળી ગયા હતા. લગ્ન બાદ પ્રગટે એ સાચો પ્રેમ-લાગણી.’માવતરનું આ વાક્ય એના મનને ટકોરતું રહેતું.


    અનાર અને કીર્તિદેવ બેય એકમેકમાં ઓળધોળ મનીને વર્તમાનમાં એ રીતે જીવતા હતા જાણે એમનો ભૂતકાળ કે ભવિષ્ય કાળ છે જ નહી.બન્નેનું એક જ સૂત્ર હતું:વર્તમાનમાં જીવે એ જ સુખી થાય છે,બાકી ભવિષ્ય કે અતીત નર્યા દુખો કે હતાશા સિવાય કશું જ નથી.આવા જીવન મંત્રને સાર્થક કરતા એ બેય મધુર જીન્દગી જીવી રહ્યા હતા.ઘણીવાર તો સોસાયટીના લોકોને પણ એમની ઈર્શ્યા  આવતી.

    સમય સમયનું કામ કરે છે. પ્રકૃતિએ પોતાની લીલા વિસતારવા માંડી.લગભગ કોરા ધાકોર લાગતા આકાશમાં વાદળોના એવા ગજ ખડકી ગયા જાણે કુક્ષેત્રમાં કૌરવ સેના !


    આકાશમાં ઘટાટોપ વાદળાઓ જોઈને મોરલીયાઓએ ટહુકાર કરવા લાગ્યા. પ્રકૃતિ ગાંડીતુર બની.


     આકાશમાં મેહુલાનું સામ્રાજ્ય હતું ને કીર્તીદેવના ઉરતંત્ર પર રેશમા નામની યુવતીનું.વરસાદનું આગમન થતા જ રેશમાની યાદોએ કીર્તીદેવને ઘમરોળવા માંડ્યો.એનું રોમરોમ રેશમાને પોકારવા લાગ્યું.જેમ મેહુલાઓ વરસાદને બોલાવે એમ! કેમ ન પોકારે? હજુ ગઈ સાલે જ આવા જ વરસાદમાં રેશમા એને મળી હતી.


     એ વરસતા વરસાદમાં બાઈક સાથે ખાબોચિયામાં લપસ્યો હતો.બચાવની બુમો પાડે કે સ્વપ્રયત્ને ઉભા થવાનો નિર્ણય થાય એ પહેલા એની પડખે સ્કૂટી આવી ઉભી.એને મદદ મળી.એ ઉભો થયો. પ્રથમ પ્રેમ થયો ને પછી પરિચય! કીર્તિદેવ-રેશમા! બાઈક અને સ્કૂટી પર એકસાથે નામ કોતરાણું: કિરિશ્મા!

    પછી તો આખી વર્ષાઋતુ એકમેકની ભીની ભીની માદક બાહોમાં ભીંજાઈને ગુજારી હતી. પછી ભલા રેશમા યાદ ના આવે તો જ નહી.


   જેમ જેમ વરસાદ જોર પકડતો જતો હતો એમ એમ કીર્તીદેવના દિલની ઉર્મીઓ જવાન થતી જતી હતી.વરસતા વરસાદમાં રેશમાનો વિરહ એણે હજારો જ્વાળામુખીની જેમ દઝાડવા માંડ્યો હતો. કીર્તીદેવને હવે લાગી રહ્યું હતું કે પોતે માવતરની ઈચ્છા મુજબના લગ્ન કરીને રેશમાથી ઘોર દગો કર્યો છે.અને આ તીવ્ર સંતાપ એને કેમેય કરીને જીવવા નો'તો દેતો. માવતર તરફની લીલીછમ લાગણીને વશ થઇ એણે પોતાના પ્રેમને લીલે લાકડે દીધો હતો એની તીવ્ર આગ કીર્તીદેવના રોમેરોમને સળગાવી રહી હતી.


   કીર્તીદેવની ક્ષણેક્ષણ કટાતી જતી હાલતથી અનારને પહેલા તો લાગ્યું કે પતિને કોઈ રોગે ભરડામા લીધો છે.કિન્તુ ધીરે-ધીરે એનો એ વ્હેમ ઓસરવા લાગ્યો. ને બીજા વહેમે એની જગ્યા લીધી. આવતા દહાડે અનારને સમજાઈ ગયું કે એનો પતિ કો’ક અભાગણીના વિરહમાં ઝૂરતો લાગે છે.


    લગ્નની આગલી એ રાતે રેશમાને મળ્યો. આનંદની ચરમસીમા સમું મલકાતી રેશમા કીર્તીદેવને ભેટી. પ્રત્યુત્તર રૂપે કીર્તીદેવે કહેવા માંડ્યું; ‘રેશમા, હું અહી તારા અખંડ અરમાનોની હોળી કરવા આવ્યો છું ને તું આમ મલકાય છે ?’


     ચુંબકના સજાતીય ધ્રુવની જેમ એ અળગી ખસી! દિલમાં ધ્રાસ્કો પડ્યો.સપનાઓના સાગરમાં ભયંકર ત્સુનામી સર્જાઈ! સ્વર્ગસમા પ્રણય સંબંધ પર ધિક્કાર છૂટ્યો. અભડાયેલા શરીરમાંથી સ્વાર્થી સંબંધની બદબૂ વછૂટી.

એ ધ્રુજી ઉઠી.


   એને પામવી હતી. એના સપનાઓના સમન્દરમાં તરીને સ્વર્ગે સીધાવવું હતું.પણ વ્યર્થ ! માવતર તરફનો પ્રેમ એને આગળ વધવા નહોતો દેતો.


    ‘રેશમા, ઉરના આંગણે તને આવકાર આપ્યો ત્યારે નહોતી ખબર કે લોહીની લાગણીના સંબંધો આટલા નાજુક હોય છે.સંબંધોના એવા વળાંક પર છું કે એકેય દિશા ભણી જવા સમર્થ નથી.ને એજ વળાંક પર ઉભો રહેવા કાબેલ પણ નથી!’


   એ બોલતો જતો હતો ને રેશમા હમણા જ લગાવીને આવેલી મહેંદી ઉતારી રહી હતી, અને જાતે જ સેથામાં સિંદુર ભરી રહી હતી.

    એને કૈક કહેવું હતું. પ્રેમની વ્યખ્યા સમજાવવી હતી. કીર્તિદેવ જે લોહીના સંબધોની વાત કરતો હતો પોતે એ જ લોહીના સંબધોને હમણા જ કાયમ માટે તોડી આવી હતી,તેના સાનિધ્યમાં રહેવાજ ! પણ આ શું ! જીવનના ભયંકર મોડ ઊપર પર તો એ પોતે હતી! પણ એ ચુપ રહી. ન આંખો વરસાવી ન હોઠ ફરકાવ્યા. માત્ર સંજોગોનો સ્વીકાર. સખીએ કહેલી વાત હૈયામાં ગુંજી: ‘રેશમા,કીર્તિદેવ હિંદુ છે,બહુ ભરોશો રાખતી નહિ. એ શાદીથી ડરી જશે.’


     એ કશું બોલી નહોતી. શંકાને કોઈ સ્થાન નહોતું.અસ્તિત્વ ઓગાળીને ઓળઘોળ હતી એના પ્રેમમાં! તો કીર્તિદેવના પ્રેમમાં પણ ક્યાં ઓછપ હતી! એય દિલ ફાડીને પ્રેમ કરતો હતો.વળી થોડી વારે કીર્તિદેવે વાત આગળ વધારી; ‘રેશમા, હવે તું કહે એમ મારી પાસે અત્યારે બે રસ્તા છે ,એક .........

  એનાથી વચ્ચે બોલી પડાયું ;’મેરે મહેબુબ ! માંબાપ સે બીછડને કા–ઉનકો તરછોડને કા દર્દ ક્યાં હોતા હૈ યે મૈ પિછલે તીન દિન સે મહેસુસ કર રહી હું ! ઇસલીયે મૈ ચાહતી હું તુમ પહલા રાસ્તા અપનાઓ.’


     એક પ્રગાઢ આલીગન આપીને તે વહી ગઈ.શરીર શીથીલ બન્યું, જીવનમાં ઝેર ઘોળાયું. જીવ આપવા તૈયાર હતો એણે જ પ્રાણ ત્યજવાની મજબુરી આપી.


     બાર-બાર દિવસથી ધોધમાર વરસાદે અનાર અને કીર્તીદેવના ભવ્યતમ જીવતરમાં વિરહી વિટંબણાઓનું ભયંકર પુર લાવી ધીધુ હતું.છતાંય અનારે અપાર ધીરજ ધરી.પતિના વળગણને ઠેકાણે લાવાવા તેણીએ કઈંક પેતરા રચ્યા કિન્તુ કિર્તિદેવની સ્થિતિ દિવસે-દિવસે વણસતી જતી હતી.


     એક સાંજે અનારે પોતાના પ્રિય પતિને પંપાળતા બોલવા માંડી; ‘પ્રિયવર કિર્તિદેવ! દિવસે-દિવસે તમારી કથળતી હાલત અને દવાનળની પેઠે સળગતા વિરહી મનને જોઈને મને લાગે છે કે તમારી જીન્દગીમાંથી કઈક ઓછું થયું છે. આ સંભાળીને જાણે અજબ ધબકારો થયો હોય એમ કિર્તિદેવ અનારની આગોશમાંથી દૂર હટી ગયો. ઘડીકવાર શાંતી જાળવીને અનારે ફરી કહેવા માંડ્યું; ‘દેવ, આઠ-આઠ મહિનાથી મારા અસ્તિત્વનો આનંદ લુંટીને કદાચ હવે તમને ધરપત થઇ હશે કિન્તુ હું તમારાથી સહેજે ધરાઈ નથી. શાયદ પ્રભુ કરે ને તમારાથી પહેલા મને જો મોત આવી જાય તો બીજા જન્મેય હું તમારી પત્ની બનવાનું ચાહીશ, એટલી લાગણી,એટલો પ્રેમ અને સાગરની પેઠે ઘુઘવાટ કરતો સ્નેહ છે મને તમારા પ્રત્યે. અને જેના કાજે હું જીવી રહી છુ મારો એજ ભરથાર જો આમ દુઃખમાં સબડતો હોય તો મારું જીવવું હરામ છે.'


    ‘બસ અનાર, બસ ! હવે ઝાઝું બોલીને મને દુખીયારને વધારે દુખી બનાવીશ નહિ.આ વરસાદ પહેલા તો હુંય આવું જ વિચારતો હતો. કિન્તુ વરસાદના ઝાપટાએ મારા જીવનને,અરે, આખા અસ્તિત્વને તારાથી વેગળું કરી મુક્યું છે.હું લાખ કોશિશ કરું છું પણ મને વળગી ગયેલું આ વળગણ મારા શરીરથી જરાય ખસતું નથી. અનાર, કદાચ હવે હું આવતી ગમે તે કાલે મરી જઈશ.' આમ બોલતો કીર્તિદેવ જે અનારની ગોદને ઠુકરાવી બેઠો હતો એ પાછો અનારના ખોળામાં માથું નાખી બેઠો હતો. કીર્તિદેવની આસુઓથી ઘેરાયેલી દર્દભરી દાસ્તાન સંભાળીને અનારની આખોમાં પણ આંસું ઉભરાઇ આવ્યા.એણે ધીરજ ધરી.પતિને સહ્રદય સાંત્વના આપી. પછી ધીરે રહીને પૂછ્યું, “કીર્તિદેવ, એવું તો શું થઇ ગયું છે કે તમને તમારા જ જીવવા ભરોશો નથી રહ્યો ? કે પછી મારામાં કોઈ ખોટ કે અવગુણ જોયો ?”


  'એવું નથી અનાર પણ મને મારો ભૂતકાળ અત્યારે મારા આ સુખી વર્તમાનને જીવવા દે એમ મને નથી લાગતું .’

     ‘કીર્તિદેવ ચોરીના મંગલફેરા ફેરી વખતે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જિંદગીની ગમે તેવી કપરી હાલતમાં પણ હું મારા પતિદેવને આધીન રહીનેજ જીવીશ. અને કદાચ બને એવું કે પતિ ખાતર થઈને મોતને વહાલું કરવું પડે તોય હું હસતા હસતા ફના થઇ જઈશ. કિન્તુ મારા પતિને ક્યારેય સંસારની ઉપાધિઓથી કણસવા નહિ દઉં. આ છેલ્લા બાર દિવસથી તડપન જોઈને મારું શેર શેર લોહી ઉડે છે, પણ તમને કઈ પૂછવાની હિંમત નહોતી કરી શકતી. કારણ કે હું કઈ પૂછું ને તમને કદાચ વધારે ચોટ પહોચે એ વિચારે આજ લાગી મેં હૈયામાં દર્દના ભયંકર ડુમાઓને દાબીને હોઠ પર અમસ્તું સ્મિત ધરી રાખ્યું છે.’ 


  અનાર કઈ બોલે એ પહેલા તો કીર્તીદેવે વાત આગળ વધારી; ‘અનાર , મને લાગે છે કે તું તે લીધેલી પ્રતિજ્ઞા કદાચ નહિ પાળી શકે. કારણકે મારું દર્દ જ એવા પ્રકારનું છે કે તું તો શું પણ દુનિયાની કોઈ સ્ત્રી સહી ન શકે !’નહોતું કેવું છતાંયે કીર્તીદેવથી કહેવાઈ ગયું .કારણ કે એણે સમજી રહ્યું હતું કે પોતે હવે કદાચ થોડા જ દિવસનો મહેમાન છે તો ભલા હૈયામાં ઘૂંટાતી વેદનાનું રાજ ખોલીને કેમ ના જવું? અને આ વિચારે એણે અનારને ઉપરનું વાક્ય કહ્યું.જે સાંભળીને ઘડીક વિચાર કરીને અનાર બોલી; ‘કીર્તિદેવ,મારી પ્રતિજ્ઞા એટલી પાંગળી નથી કે મારી જિંદગીથી મને ખુદને ને હરાવી જાય?તમે તમારા દર્દના પોટલાને અત્યારે મારી આગળ ખોલી નાખો. શક્ય હોય કે તમારા એ દર્દની દવા મારી પાસે હોય!’


    રાત સમયના સથવારે વહી રહી હતી.બેય પતી-પત્ની અદ્રશ્ય દર્દની એ આગમાં શેકાઇ રહ્યા હતા.કીર્તિદેવ છાતી ફાડીને પોતાની પીડાનું વૃતાંત કહી રહ્યો હતો.અને અનાર કાન દઈને સાંભળતી આશ્વાશન આપી રહી હતી.

  ‘અનાર,! અનારની આંખોમાં આંખ ભેરવીને કહેવા માંડ્યું., ‘તારી આંખોમાં જે શ્રદ્ધા છે,જે લાગણી છે,તારા ચહેરા પર આ જે પ્રસન્નતા દેખાય છે,સીનામાં સ્નેહભર્યું જે સાહસ છે અને તારા હોઠ પર તારી એ પ્રતિજ્ઞા પાળવાની જે ઉત્કંઠા સળવળે છે એ સઘળું કદાચ મારા એક વાક્યથી કડડભૂસ થઇ જશે.’


  ‘કીર્તીદેવ, મારું જે થવાનું હોય એ થાય કિન્તુ હું તમને આમ પીડાઓથી પીધેલી હાલતમાં નથી જોઈ શકતી.’

   ‘તો હું પણ તને મારી પીડાની ભાગીદાર બનાવા નથી માગતો.’


    આખી સોસાયટીમાં સોપો પડી ગયો હતો.વરસાદે જરા આરામ ફરમાવી હતી.પરંતુ હજી નેવા ટપકતા હતા.એવામાં ઘડીયાળમાં બારના ટકોરા પડ્યા.એ સાંભળીને કઈંક વિચારમાં પડેલા કીર્તીદેવે કહ્યું; ‘અનાર મારી પીડાની કથની સાંભળવી રહેવા દે ,નહી તો આપણે બેય ક્યાંયના નહી રહીએ.’

  ‘કીર્તિદેવ,કદાચ તમે સ્ત્રીની તાકાત જોઈ નથી લાગતી.અરે ,ભલે મને પાંખો ના હોય પણ આખા આકાશને આંબવાની તાકાત છે મારી આંખોમા!’


    કીર્તિદેવને હવે લાગી રહ્યું હતું કે પોતાની જિંદગીમાં હવે દાવાનળ ને અને વાવાઝોડું બેય આવી ગયા છે તો બચવાના વ્યર્થ ફાંફા શું કામ મારવાના? આમ વિચારી ને એણે પોતાના દર્દની સઘળી દાસ્તાન અથથી ઇતિ સુધી અનારને કરી સંભળાવી.અનાર સરવા કાને આંખોમાં આંખ ભેરવીને તે બધું સાંભળી રહી હતી.કીર્તિદેવની વાતો સંભાળીને એના પ્રત્યે નફરત જાગવાને બદલે એ ક્ષણે ક્ષણ ખુશ મિજાજથી મહોરાતી જતી હતી. છેવટે એક ઊંડો નિશાસો નાખીને એણે અનારને પૂછી નાખ્યું;’અનાર, બોલ એ રેશમાને ફરીથી મારી જિંદગીમાં લાવવાની તાકાત છે તારામાં ?


   સમય વરસાદની ભીની ભીનાશમાં ઓગળતો જતો હતો.બહાર જોરદાર ફૂંકાઈ રહેલો પવનિયો રેશમાની યાદોને જાણે ખોબે ખોબે લાવીને બારીની અંદર રહેલા કીર્તિદેવ પર ઢોળી રહ્યો હતો.અનારને જાણે પોતાના પતિદેવની દર્દની સચોટ દવા મળી ગઈ હોય એમ એ ખુશ મિજાજ બની ગઈ હતી.અનારની આ ખુશ મિજાજ જોઈને કીર્તિદેવ એવો તો ઓગળી ગયો હતો કે એણે બાર બાર દિવસ પછી ફરીથી જોરદાર આનંદ થી અનારને પોતાનામાં સમાવી લીધી.


     જે દર્દ ની દવા જડી ગઈ હોય અને છતાંય એ દર્દને ઉપાડી ઉપાડી ને ફરે એ બીજા પણ આતો પતિપરાયણ એવી અનાર ! એ શેને રોકાય !

      પ્હોર ફાટતા જ અનારે રેશમાને ખોળી કાઢી! ઉર્વશી જેવી રેશમા શોકાતુર બની બેઠી હતી.પાસમાં પારણુ ઝુલતું હતું.ચાર માસનો બાળક મહી મીઠી નીંદર માણી રહ્યો હતો.નામ હતું:’આર્યનદેવ!’ મો જાણે અદ્દલ કીર્તિદેવ!

     ઢળતી સંધ્યાની સાક્ષીએ નવવધુના સાજમાં વાજતે ગાજતે અનાર રેશમાને પોતાના ઘેર,એના પ્રીયત્તમને ઘેર, એના પતિના ઘેર લઈ આવી. હંમેશ ની માટે.

                                          


Rate this content
Log in

Similar gujarati story from Romance