નંદ બનો તો પામો આનંદ
નંદ બનો તો પામો આનંદ
નંદ ઘેર આનંદ ભયો. આજના કપરા સમયમાં આ સૂત્ર જીવન જીવવાનો ટન બંધી પ્રાણવાયું પૂરે છે. સાચા અર્થમાં આપણે ગૃહસ્થ બનવાનું છે. એટલે કે ઘરમાં જ રહીને સ્વસ્થ બનવાનું છે. આ એક પ્રકારનો તપ યજ્ઞ છે. જીવનમાંથી આનંદ શોધો. એનાથી આપણામાં નમ્રતાનો ગુણ વિકસે છે. સકારાત્મક વિચારોવાળી વ્યક્તિને મળીને આનંદ મેળવો. સવારે વહેલા ઊઠીને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધો. ભય દૂર થશે તમારામાંથી. આખુ જગત ઊંઘતું હોય ત્યારે તમે તમારી જાતને માત્ર એક કલાક આપો. તમારા દિલમાં નંદનવન મહોરી ઊઠશે. બાકીના ત્રેવીસ કલાક આનંદમાં પસાર થશે. આજના બદલાયેલા વાતાવરણમાં જાતને બદલવી જરૂરી છે. વાંચવા, વિચારવા, લખવા , ધ્યાન, પ્રાર્થનાના ગુણો વિકસાવવા જરૂરી બન્યા છે. સાચો આનંદ પ્રાપ્ત મેળવવા માટે નમ્ર બનો. ગાંધીજી, માર્ટીન લ્યુથર કિંગ જેવા નમ્ર બનો. અમિતાભ બચ્ચનને જુઓ કેવી નમ્રતાથી નાની વ્યક્તિ સાથે પણ વાત કરે છે. આ જ સાચો આનંદ કે'વાય.
એમ કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે. આ વાત ખોટી છે. મોત એક જ વાર મળે છે. બાકી જિંદગી તો રોજ મળે છે. બસ માત્ર તમને આનંદથી જીવતા આવડવું જોઈએ. જીવન એક આનંદ ઉત્સવ છે એ વિધાન છે તેટલું જ વિજ્ઞાન પણ છે. આનંદનો પ્રાણ ઉત્સાહ છે. આનંદને શોધી લે તેવા ચર્મ ચક્ષુ અને અંતર્ચક્ષુંનો સમુચિત વિનિયોગ કરો. આ મહામારીમાં તમે જીવતા રહ્યા એનો જ આનંદ ઉત્સવ મનાવો. તમે બચી ગયા એને ઈશ્વરનો મોટો ચમત્કાર માનો. આજ તમારી ઈશ્વર કૃપા. એનો આનંદ ઉજવો. ઉત્સવપ્રિયા: ખલુ મનુષ્યા: ને આત્મસાત કરી આનંદ મેળવો. સ્વ ના દરિયામાંથી આનંદના સાચુકલા મોતી પામવાના છે. ચાલો ઉજવીએ પ્રત્યેક પળને અને પ્રત્યેક શ્વાસને મહસૂસ કરીએ. અને ગણગણીએ એક અનોખું શાશ્વતી આનંદનું ગીત..નંદ ઘેર આનંદ ભયો.