મનોમંથન
મનોમંથન
રાત્રિના દસ વાગી ગયા હતા. નૌતમને ઊંઘ આવતી નહોતી. એ એકલો એના બેડરૂમમાં આંટા ફેરા મારતો હતો. બહુ એકલતા લાગી રહી હતી. સાથે સાથે મુંજવણ પણ અનુભવતો હતો.
એણે પાણી પીધું. પોતાના બેડ પર આડો પડ્યો.
એને એના પિતાજી યાદ આવ્યા. પિતાજીએ બહુ સમજાવ્યું પણ માન્યો નહીં.
બેટા,તારી વહુને સમજાવ. આમ વારંવાર એના પિયરમાં જતી રહે એ સારૂં ના કહેવાય. સમાજમાં લોકો કેવી વાતો કરે છે !
બાપુજી એમાં એનો વાંક ઓછો અને તમારો જ વધારે છે. તમે તમારો રૂઢિચુસ્ત સ્વભાવ સુધારતા નથી. તમારા કારણે મારો ઘરસંસાર તૂટી જશે એવો ભય છે.
જો બેટા, આપણા કુટુંબના રીતરિવાજો પ્રમાણે તો રહેવું પડશે.
હા. . . સાડી કો'ક દિવસ પહેરશે તો ચાલશે. પણ ઢંગનું તો પહેરવું પડે. પંજાબી ડ્રેસ પહેરે તો પણ મને વાંધો નથી.
બાપુજી, જમાનો બદલાઈ ગયો છે. તમારા પ્રમાણે અમારે જીવવાનું ?
ના. . . ના. . બેટા. એવું કહેતો નથી. પણ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને જ જમવા બનાવવું એ આપણા ઘરમાં વર્ષોથી ચાલે છે. તારી બા હયાત હતી ત્યારે એ પાંચ વાગે જાગીને સ્નાન કર્યા પછી જ અન્ય ઘરકામ કરતી હતી.
પણ બાપુજી વહેલા એટલે કેટલા વાગે ? પુરતી ઊંઘ તો મળવી જોઈએ. ને તમે વહેલા જાગીને લાલજીને જગાડીને સેવા પૂજા તો કરો છો. આ ઉંમરે અમારે સેવા પૂજા કરવાની !
જો બેટા,બીજા આચાર વિચાર પણ પળાતા નથી. જો તને એમ લાગતું હોય કે તમારી સ્વતંત્રતા છીનવાઈ રહી છે તો તમે જુદા રહેવા જતા રહો. એકલા જીવી શકાશે. એકલો આવ્યો હતો ને એકલા રહેવાનું છે. આ ઘરમાં તારી બા ની યાદો છે એટલે આ ઘરમાં છેલ્લા દિવસો કાઢી નાંખીશ.
બાપુજી તમે બહુ જીદ્દી છો. એક અઠવાડિયામાં હું ભાડાનું નવું ઘર શોધીને જતો રહીશ. તમને શાંતિ થશે.
બેટા, ખોટું ના લગાડતો. તારા મકાનનું ભાડું હું આપીશ. પણ જુદા રહેવા જાવ તો આપણા ખાનદાનની ઈજ્જત ના બગડે એ રીતે જીવન જીવજો.
નૌતમને એના બાપુજીના અવાજોના પડઘા સંભળાતા હતા.
બાપુજી કડક સ્વભાવના છતાં પણ માયાળુ હતા.
નૌતમ મનોમંથન કરતો હતો.
બાપુજી પોતાના પૌત્રનો ચહેરો પણ જોઈ ના શક્યા.
જુદા રહેવા ગયો પછી તો છ મહિનામાં જ બાપુજીની તબિયત બગડી. હાર્ટએટેક આવ્યો ને અમને મુકીને વૈકુંઠ જતા રહ્યા.
એક વર્ષ પછી મારા ઘરે નાનો લાલજી આવ્યો.
બાપુજી બહુ યાદ આવ્યા.
પત્નીને પણ પોતાની ભૂલ સમજાવા લાગી.
પણ હાય રે કિસ્મત !
હજુ તો લાલો પાંચ વર્ષનો જ થયો હતો, ને લાલો અમને મુકીને લાલજીને વ્હાલો થયો. લાલાને ન્યુમોનિયા થયો હતો. હું અને એ આખી રાત જાગીને કાળજી રાખતા. હોસ્પિટલમાં દાખલ કર્યો પણ પણ. . . અમારું સુખ છીનવાઈ ગયું.
પછી તો કિસ્મત બગડવા માંડી.
પુત્ર વિરહમાં પાગલ થયેલી એની તબિયત બગડતી જતી હતી.
એક દિવસ એ આવેશમાં આવીને. . . મને મુકીને જિંદગી ટૂંકાવી દીધી.
નૌતમ યાદ કરતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
બાપુજી મને માફ કરજો.
પુત્ર પ્રેમ એટલે શું ? એ મને ખબર નહોતી પડી..પણ મોડા મોડા પણ થોડી ઘણી સમજણ આવી.
હવે મારી ઉંમર પણ થવા આવી.
નજીકના અનાથ આશ્રમમાં ડોનેશન આપ્યું છે.
દર શનિવારે અને રવિવારે બાળકો સાથે દિવસ પસાર કરીને બધાને યાદ કરું છું.
હે ઈશ્વર હવે મને તો સુખ મળ્યું નહીં, પણ દુનિયામાં કોઈને પણ આવું દુઃખ ના આપજો. આવતી કાલે વકીલને બોલાવીને વસિયતનામું બનાવી દેવું છે.
હે ઈશ્વર મને માફ કરજે. .
અવાજ સંભળાય છે. .
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા.
તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈ જા.