માનવનો વારો
માનવનો વારો
“માસ્ક બાંધ્યા તોય માનવ ન બચ્યા, હાથ ધોયા તોય માનવ ન બચ્યા. ઘરમાં રહ્યા તોય માનવ ન બચ્યા.”
“આ જોરજોરથી શું બરાડા પાડીને ગાય છે માનવ ?”
“દાદી, આ પપ્પાના પેલા દોસ્ત છે ને ? પરિમલકાકા ? એ કવિ છે ને ?”
“હા તે એનું શું ? એને તું આ ગાય છે એની સાથે શું લેવાદેવા ?”
“દાદી કેમ લેવાદેવા નહીં ? આ બધી લાઈનમાં જુઓ માનવ શબ્દ આવે છે કે નહીં ?”
“હા તે પણ એનું શું ?”
“તે મારું નામ પણ માનવ છે કે નહીં ?”
“ઓહો તેં તો બહુ લપ કરી. જે હોય તે સીધું કહે ને !”
“દાદી આ બધા મારા નામવાળા માનવ જતા રહ્યા એટલે હવે મારો વારો હશે ને ! મારે ક્યાં જવાનું છે ? આ તું જ તો રોજ કહે છે ને કે આ સગાં વહાલાં, આસપાસનાં કેટલાંય રોજ જતાં જોવાં પડે છે.”
અને હવે દાદીના પેટમાં ચિરાડો પડ્યો.
“ના બેટા ના અરેરે ! તને કંઈ નહીં થાય.”
દાદીએ સંધ્યાકાળે મંદિરમાં દીવો પ્રગટાવતાં ઈશ્વર સામે હાથ જોડ્યા.“હે નાથ ! ખમૈયા કર હવે.”