માનવ સ્નેહથી સ્વર્ગ બને ધરતી
માનવ સ્નેહથી સ્વર્ગ બને ધરતી
ભયંકર યુદ્ધની રણભેરીઓ ગરજી રહી હતી, શૂરવીરોની છાતી ફુલાઈને હથિયારો હાથમાં ધરી રહ્યા હતા. પોતાનું લશ્કર બીજી સરહદે લડવા ગયું હોવાથી પોતાનાં થોડાક અંગરક્ષકો સાથે મોટ સામે ઝઝૂમવા રણભૂમિમા જતા રાજા વીરસિંહને રસ્તામાં એક વિદ્વાન માણસ રોકીને કહે છે,
"હે રાજન ! મોતનાં મુખમાં જતા પહેલા જરીક મૃત્યુ પછીના જીવનની કલ્પના તો કરો."
"હે બુદ્ધિશાળી પુરુષ હું એક ક્ષત્રિય છું અને મારા રાજ્ય પર આફત આવે તેની સામે લડવું અને પ્રજાની રક્ષા કરવી એ મારો ધર્મ છે. મારો ધર્મ બજાવતા રણમેદાને મારુ મૃત્ય થાય તો કહેવાય છે કે સ્વર્ગની અપ્સરાઓ હાર પેરવવા સામે ઉભી હોય છે." રાજાએ વિનયથી કહ્યું.
"તો પણ મહારાજ..! તમારે સામે હજારો દુશ્મનો હથિયારો સાથે ઉભા છે. એકવાર વિચાર કરો." બુદ્ધિશાળી પુરુષ ફરી દોહો બોલ્યો.
"હે..જી.. ધરીએ ધીર આફત વેળાએ, ધીરજ બસ એક જ સાચો ઉપાય.
ભાગ્ય સામે માનવ સદા રહયો પાંગળો, વલખે ન વિપત જાય."
રાજા સામો એની દોહાની ભાષામાં જવાબ આપતાં બોલ્યાં,
"હે..જી. આફત ભાળી સામે ભીડે, હારે ન હામ હૃદયમાં ઈ સાચો વીર
વણજૉતી હાંકે બડાઈ ભલે, વિપતમાં ધ્રૂજે કાયર કેરુ શરીર."
હવે બુદ્ધિશાળી પુરુષ વિચાર કરીને બોલ્યો, "માનો કે યુદ્ધમાં તમારું મૃત્યુ થાય અને તમારો પરિવાર રઝળી પડશે. દુશ્મનો તેમને કેદ કરીને યાતના આપશે તો તમે દુઃખી આત્મા સ્વર્ગમાં કેમ કરી જઈ શકશો."
રાજા ઘોડો દોડાવવાં આતુર થતા બોલ્યાં, "અરે આ આખું રાજ્ય મારો પરિવાર છે હું ફક્ત મારા પરિવારની ચિંતા કરતો જ નથી અને યુદ્ધમાં તો જીવ સટોસટની બાજી જ ખેલવાની હોય. યુદ્ધ સમયે બુદ્ધિની વાતો કરવી કે પાછળનો વિચાર કરવો અયોગ્ય છે ફક્ત એક જ લક્ષ્ય વિજય કેરું હોય. રાજા દોહો બોલ્યાં,
"જો.ને..ભીડ પડે ભલે ભારી તોયે, મૌન ધરી શોધે લડવાનો ઈ સાવજ લાગ
બાકી બકરા તો બક બક કરે, પડે વિપત તો ફફડી ભાગતાં દેખાય."
જેવા રાજા ઘોડો દોડાવવાં જાય છે તેવો જ એ બુદ્ધિશાળી પુરુષ પોતાનો કામળો હટાવી રાજવી પુરુષનો વેશ બતાવતા બોલ્યો, "ધન્ય છે રાજન..! હું જ તમારી સામે લડવા આવેલો દુશ્મન રાજા મેઘરાજસિંહ છું. મને એમ કે સૈન્ય બહાર લડવા ગયું હોવાથી આપને એકલા જીતવામાં સરળતા રહેશે પણ આપનું શૌર્ય અને પ્રજાપાલન માટેની બલિદાનની ભાવના જોઈ મારુ હદય આનંદવિભોર થયું છે."
રાજા નવાઈથી જોતા જ રહ્યા પોતે દુશ્મનને જોઈ સાવધ બનીને ઘોડા પરથી નીચે ઉતરતા તે હસીને બોલ્યો, હું પણ ક્ષત્રિય છું દગો કરીને લડીશ તો મૃત્યુ બાદ એ સ્વર્ગમાં જશૉ અને આ ધરા શૂરવીર રાજાને ગુમાવી શૌર્યવિહીન બનશે. આવો રાજન મિત્રતાનો સબંધ બાંધીને બંને રાષ્ટ્ર હળીમળીને રહીને સ્વર્ગ આ ધરતી પર જ બનાવીએ."
વીરસિંહ ખુશીથી બોલ્યાં, મેઘરાજસિંહ આજ હોઠે આવેલો વિજયનો પ્યાલો તમે ઢોળી રહ્યા છો તેનો અફસોસ નહીં થાય ને તમને ?"
"અરે વિજય નહીં મળ્યાનો અફસોસ કરતા એક શૂરવીર ભેરુબંધ મળ્યાનો હૈયે આનંદ અનેરો થાય છે." મેઘરાજસિંહ પ્રચંડ ભુજાઓ ફેલાવતા બોલ્યાં.
હવે વીરસિંહ ખુશીથી ભેટતાં બોલ્યાં,"આવો ત્યારે મૃત્યુ પછીની દુનિયાની ફિકર છોડી અહીં જ ધરતી પર આપણી પ્રજા માટે સ્વર્ગનું નિર્માણ સાથે મળી કરીએ."
યુદ્ધના પડઘમ શમી ગયા અને આનંદ ઉત્સવના ઢોલ નગારાઓ વાગવા લાગ્યાં સાચે જ ભયભીત પ્રજાજનો માટે યુદ્ધની આફત ટળી જતાં સ્વર્ગ સમાન ધરતી બની ગઈ. મૃત્યુ પછીની દુનિયા કોણે જોઈ છે.? પણ માનવ ધારે તો સ્નેહ છલકાવી ધરતીને સ્વર્ગ સમી બનાવી શકે છે.