કમનસીબ મા
કમનસીબ મા
સ્નેહીની વિદાય બાદ વૃદ્ધાશ્રમમાં બુંદી ગાંઠિયા આપવા મને સાથે લઈ ગયેલ. સંચાલકશ્રી એ કહ્યું કે "તમે તમારી રીતે જઈ બધાને રૂમમાં આપી આવો સાથે અમારા વહીવટ બાબત એ લોકોએ કંઈ કહેવાનું હોય તો જરૂરથી પુછજો." અમે એ પ્રમાણે કર્યુ અને પુછ્યુ પણ, બધાએ સંસ્થાનાં વહીવટથી સંતોષ હોવાનું કહ્યું. અમે પાછા ઓફિસમાં આવ્યા ત્યારે મેં પૂછ્યું કે "તમને કોઈ કડવો અનુભવ થયો હોય અને વાંધો ન હોય તો કહો."
તેમણે વાત કરી કે "મુંબઈનાં વાલકેશ્વરમાં રહેતા બે હીરાનાં વેપારી ભાઈઓ તેમના માતુશ્રીને અહી મૂકી ગયેલ. એક દિવસ માજી પડી ગયા તથા પગમાં ફ્રેકચર થયું. અમે મુંબઇ ફોન કરી સમાચાર આપ્યા તો જવાબ મળ્યો કે અમે નીકળી શકીએ તેમ નથી. જે જરૂરત હોય તે કરો, ઓપરેશન કરવાની જરૂર પડે તો તેનો ખર્ચ મોકલી આપશું. ત્યાર બાદ દોઢ વર્ષ બાદ માજીનું અવસાન થયું. અમે તરત સંપર્ક કર્યો તો જવાબ મળ્યો કે નાનો ભાઈ બેલ્જીયમ ગયેલ છે હું નીકળી નહીં શકું. આપ અંતિમવિધિ કરી ખર્ચ જણાવજો. અમે તેમની જ્ઞાતિનાં રિવાજ પ્રમાણે બધી વિધિ કરી. ખર્ચ મોકલવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો.
ત્યારબાદ ત્રણેક મહિના બાદ એક કાર આવી તેમાંથી બે ભાઈઓ, તેમના પત્ની તથા બાળકો ઉતર્યા. ઓફિસમાં આવ્યા બાદ આભાર માન્યો, પછી તરત જ બંને વહુઓ એ પૂછ્યું "બાના ગળામાં એક ચંદન હાર, કાનમાં હીરાના બુટીયા તથા હાથમાં ચાર બંગડી હતી તે યાદ આવ્યું એટલે લેવા આવ્યા છીએ."
સંચાલકે સાચવીને રાખેલ ઉપરની વસ્તુઓ આપી અને કહ્યું આ ઉપરાંત તેમણે પહેરેલી નાકની હીરાની વાળી પણ છે તે તમે સંભાળી લો, મળ્યું છે એવી સહી કરી આપો અને વહેલી તકે આશ્રમની બહાર નીકળી જાઓ. નહીંતર અહીં રહેલા પૂછશે કે "કોણ હતું" તો અમારે ન છૂટકે કહેવું પડશે કે "કમનસીબ મા"
