ખમીરવંતો સરદારનો પરિવાર - 22
ખમીરવંતો સરદારનો પરિવાર - 22
રાજકીય સમર્પણમાં તો સરદારને કોઈ પહોંચી જ ન શકે. બબ્બે વખત બીજાઓની ઈચ્છાઓને માન આપીને ઊંચા પદનું સમર્પણ કરી દીધું. આવું સરદાર જ કરી શકે. ૧૯૩૦માં કોંગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું ત્યારે પ્રમુખપદ માટેના ત્રણ ઉમેદવારો ગાંધીજી, સરદાર અને જવાહર હતા. ગાંધીજીએ તો આ પદ માટે પહેલાથી જ ના પાડી દીધી. બીજા ક્રમે સરદાર હતા. એટલે આ હોદ્દા માટે તેઓ લાયક હતા. ત્યારે જ મોતીલાલ નહેરું ખાબકયા ને ગાંધીજીને કીધું, ''મારા જીવતા મારે જવાહરને કોંગ્રેસનો પ્રમુખ બનેલો જોવો છે.'' અને થઈ રહ્યું. ગાંધીજીએ સરદારને કહ્યું ને મોતીલાલની ઈચ્છા પૂરી કરવા ને ગાંધીજીની આજ્ઞાને શિરોમાન્ય ગણી આ પદનું સમર્પણ કરી દીધું. જરા સંકોચ પણ ન થયો. આ જ ઘટનાનું ૧૬ વર્ષ પછી પુનરાવર્તન થાય છે. ભારત આઝાદ થાય છે. વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સરદાર હતા. પણ ફરી ગાંધીજીની ઈચ્છા શિરોમાન્ય ગણી દેશના પ્રથમ વડાપ્રધાન બનવાનું માન અને પદ બંનેનું એક ઝાટકે સમર્પણ કરી દીધું. નહેરું સરદારથી ૧૩ વર્ષ નાના હતા, પણ સરદારે સહજતાથી નહેરુને પોતાના નેતા તરીકે સ્વીકારી લીધા. આ સમર્પણથી ઘણાને આંચકો લાગ્યો, પણ સરદારના પેટનું પાણીયે ન હલ્યું. એ તો સરકારના સેનાપતિ બનીને રહ્યા. જ્યાં જરૂર પડી ત્યાં અડગ નિર્ણય લીધા, પણ દેશને આંચ ન આવવા દીધી. આવું કામ સરદાર સિવાય કોણ કરી શકે ? જ્યારે જનરલ થોરાટે આ બાબત પૂછયું ત્યારે સરદારે સહજતાથી જવાબ આપેલ કે, ''ભલે વડાપ્રધાન પદ માટે બધા મને ઈચ્છતા હતા, પણ હું દેશનો વડાપ્રધાન બન્યો હોત તો નહેરુ આ આઘાત જીરવી ન શકત અને નહેરુને કંઈ થાય તો એ આઘાત હું જીરવી ન શકત. અમે બંને મૃત્યુ પામીએ તો આ નવજાત સ્વતંત્ર દેશની સંભાળ કોણ રાખી શકે ?''
એમ કહેવાય છે કે સરદારના પિતા ઝવેરભાઈએ ૧૮પ૭ના વિપ્લવ વખતે ઝાંસી તરફથી ભાગ લીધેલો. પછી દેશના સ્વાતંત્ર્યની લડતમાં વિઠ્ઠલભાઈ અને સરદારે પણ સારો એવો ભાગ ભજવ્યો. પણ એમના કુટુંબમાંથી કોઈએ એમ ન કીધું કે અમે દેશને આઝાદ કરાવવામાં ઘણું સમર્પણ કર્યું છે, અમને ઊંચો હોદ્દો આપો. સરદારના કુટુંબમાંથી કોઈ રાજકારણમાં આવ્યું જ નહિ. નથી પુત્ર રાજકારણમાં આવેલ કે નથી પૌત્રો રાજકારણમાં આવેલ. તેઓ તો સ્વબળે સમાજમાં પોતાનું સ્થાન બનાવીને રહ્યા. તેઓએ સરદારના હોદ્દાનો કયારેય કયાંય ઉપયોગ કર્યે નહિ અને સરદારે કરવા પણ ન દીધો. એક વખત જ્યારે પુત્ર ડાહ્યાભાઈએ પોતે દિલ્હી આવવા માગે છે એવો પત્ર સરદારને લખ્યો ત્યારે સરદારે ચોખ્ખી ના પાડી દીધી અને કહી દીધું કે દિલ્હીથી દૂર જ રહો. જ્યારે આજના નેતાઓ પોતાના કુટુંબીઓને ટિકિટો અપાવવા પડાપડી કરતા હોય છે. તેના માટે ગમે તે કરી છૂટવા તૈયાર રહે છે.
(ક્રમશ:)
