ખમીરવંતો સરદારનો પરિવાર - 16
ખમીરવંતો સરદારનો પરિવાર - 16
મણિબહેનની સાદગી બાબતે પણ એક જાણીતો પ્રસંગ છે.
એ દિવસે વલ્લભભાઈ પટેલને ઠીક ન હતું. ડોકટરે દવા આપી. મણિબહેન હાજર હતા. પિતાની અસ્વસ્થતા એમને બેચેન બનાવી ગઈ. તેઓ પલંગ પાસે જ એક ખુરશી પર બેઠાં હતાં. ગરીબ દેશના મોટા ગજાના બાપની ગરીબ દીકરી ! બાપના શરીરની વેદના જોઈ તેઓને પણ ઉચાટ થયો અને કહ્યું
'બાપુજી !'
'હં...'
'લો, આટલી દવા પી લો.'
'પણ આ તો કડવી છે !'
'દવા કડવી હોય તો જ કળતર મટાડે. ગળપણ તો ગાભા જેવા કરી નાખે !'
'મણિ !'
'કહો, બાપુજી !'
'તું તો બહુ જબરી છે હોં ! આવી જબરજસ્તી તો મારી મા ય નહોતી કરતી !'
'એટલે જ તો એમ કરું છું.'
'સમજાયું નહિ.'
'લો, હું સમજાવું. મારી મા હોત તો મારે દવા પિવડાવવાની હોય ખરી ? એ ન હોય એટલે જબરજસ્તી ય બેવડાઈ જાય ! સાચું કહો બાપુજી, મારી મા દવા પાતી હોય તો તમે આવી દલીલો કરો ખરા ? બસ ત્યારેઈ તમે જ કહેતા હતા કે, 'વહાલાં વખ પાય તો ય મીઠું લાગે !' મા તો નથી, પણ હું તમને વહાલી કે નહિ ?'
'ખરી !'
'તો પછી કડવા-મીઠાની દલીલો કર્યા વગર પી જાવ આ દવા !'
મણિબહેન દવા પિવડાવી રહ્યાં હતાં. થોડીક દવા હોઠની આસપાસ રેલાઈ રહી. મણિબહેને સાડીના છેડા વડે વલ્લભભાઈના હોઠ લૂછી નાખ્યા અને બોલ્યા,
'બાપુજી, તમે ય નાના છોકરા જેવા છો !'
'કેમ ?'
'કેટલી બધી ઢોળાઈ ગઈ ! આપણા જેવા ગરીબ દેશમાં દવાનો આવો બગાડ પોસાય ?'
આ સાંભળીને વલ્લભભાઈથી હસી પડાયું અને બોલ્યા,
'મણિ, તું ય રાજકારણી જેવું બોલતાં શીખી ગઈ છે !'
'દીકરી કોની ?'
'વલ્લભભાઈ પટેલની !'
આ સંવાદ ચાલતો હતો ત્યાં જ મહાવીર ત્યાગી અંદર આવ્યા. તેઓની નજર મણિબહેનના કપડાં ઉપર પડી. તેઓએ આંચકો અનુભવ્યો. મણિબહેનની સાવ સુતરાઉ સાડી પર મોટું થીંગડું ! તેઓ બોલ્યા,
'મણિબહેન!'
'બોલો ત્યાગીજી !'
'આ હું શું જોઉં છું ?'
'શું?'
'તમારી સાડી પર આવડું મોટું થીંગડું ? બાપ રે, શરમ ન આવે ! જેણે આ દેશમાં માત્ર એક જ વર્ષમાં અખંડ ચક્રવર્તી રાજ્ય સ્થાપી દીધું એમનાં તમે દીકરી !
પણ સામે મણિબહેનનો જવાબ શરમને ય શરમાવી નાખે તેવો હતો. તેઓ બોલ્યા,
'એમાં શાની શરમ ? શરમ તો બેઈમાનીની હોય ! શરમ તો દુરાચારની હોય ! શરમ તો જૂઠની હોય ! શરમ તો અનીતિની હોય !'
'તમારી વાત સાચી છે, મણિબહેન ! પણ કપડાંનોય આગવો પ્રભાવ હોય છે ! તમને કહું ? આ સાડી પહેરીને તમે અમારા દહેરા ગામમાં નીકળો તો શું બને ?'
(ક્રમશ:)
