ખમીરવંતો સરદારનો પરિવાર - 14
ખમીરવંતો સરદારનો પરિવાર - 14
મણિબહેન વલ્લભભાઈ પટેલ
વલ્લભભાઈનાં સેવાભાવી દીકરી મણિબહેનનો જન્મ ૧૯૦૪ના એપ્રિલ માસમાં થયો હતો. મણિબહેન પિતા વલ્લભભાઈ પટેલની છાયા બનીને નાનીમોટી સગવડ સાચવતાં રહ્યાં મણિબહેને વલ્લભભાઈનો પત્રવ્યવહાર સાચવીને સંભાળ્યો ન હોત તો ઘણીબધી ઐતિહાસિક વિગતો પ્રકાશમાં ન આવત. એમનો સ્વભાવ અત્યંત કડક હતો. વલ્લભભાઈને મળવું હોય તો મણિબહેનનો ચોકીપહેરો વટાવીને આગળ વધવું પડતું. પિતાની મહાનતા સમજીને એમની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત થનારી દીકરીઓમાં મણિબહેનનું નામ આગળના ક્રમે મૂકવું પડે. વલ્લભભાઈને ગાંધીજી પ્રત્યે કેટલો ઊંડો આદર હતો તેનો ખ્યાલ મણિબહેનની ડાયરી વાંચનારને આવે. ડાયરીને પાને પાને વલ્લભભાઈની પ્રતિભા પ્રગટ થતી રહે છે. ડાયરી વાંચીને થાય છે કે આપણા દેશની સમસ્યાઓને સમજનારો, એ સમસ્યાઓને ઉકેલવા માટે ઝઝૂમનારો, દેશના લાંબા ગાળાના હિત માટે ઉજાગરા કરીને બનતું બધું જ કરી છૂટનારો અને ગેરસમજ થશે એ વાતની ઝાઝી ચિંતા કર્યા વગર કર્મમાં ખૂંપી જનારો, પારકી છઠ્ઠીનો જાણતલ એવો એક મહાન નેતા થઈ ગયો, જેને દેશ કદી ભૂલી નહિ શકે.
મણિબહેનને પિતા પ્રત્યે અપાર આદરભાવ હતો. જો મણિબહેનની સેવા પ્રાપ્ત ન થઈ હોત તો વલ્લભભાઈની તબિયત ઘણી વહેલી લથડી હોત. મણિબહેનની ના હોય, છતાં કોઈ વલ્લભભાઈને મળવાની જીદ કરે તો તેઓ તેમને ખખડાવી નાખતાં, પરંતુ એમ કરવા પાછળ એમનો આશય વલ્લભભાઈની જાળવણી કરવાનો જ હતો.
મણિબહેન અંગ્રેજી માધ્યમની કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલાં. ઈ.સ. ૧૯૧૬ પછી પિતા વલ્લભભાઈ ગાંધીજીના સંપર્કમાં આવ્યા ત્યાર પછી મણિબહેન એ સ્કૂલ છોડીને ગૂજરાત વિદ્યાપીઠમાં ભણવા લાગેલાં. મણિબહેન લખે છે, 'માઉન્ટબેટનને બાપુ(વલ્લભભાઈ)ની મહાનતાનો ખ્યાલ હતો.' વલ્લભભાઈ 'કોણ હતા' તેની ખબર તો સૌને છે, પરંતુ વલ્લભભાઈ 'શું હતા' તે સમજવામાં મણિબહેનની ડાયરી મદદરૂપ બને છે.
મણિબહેન પિતા વલ્લભભાઈ પટેલની માફક લોખંડી મનોબળ ધરાવતાં હતાં. શબ્દો ચોર્યા વિના સત્ય કહેવાના સંસ્કારો તેઓને વલ્લભભાઈ પાસેથી મળ્યા હતા. એક સમયે પિતા વલ્લભભાઈના ખભેથી ખભા મિલાવી સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજો સામે બબ્બે હાથ કરનાર આ લોખંડી મહિલાએ ઈ.સ. ૧૯૭૬ની કટોકટી વખતે ઈન્દિરા ગાંધી વિરુદ્ઘ જંગ ખેલ્યો હતો. જેને પરિણામે દેશના લાખો રાષ્ટ્રવાદી નેતાઓની માફક મણિબહેન પટેલને પણ જેલમાં ધકેલી દીધાં હતાં.
(ક્રમશ:)
