ખાનદાની હવેલીમાં લગ્ન - ૩૦
ખાનદાની હવેલીમાં લગ્ન - ૩૦
સચિન ઘણી મહેનત કરીને પોલીસને મનાવીને વાઘમારે સાહેબને ફોન કરે છે અને વાઘમારે સાહેબના કહેવાથી પોલીસ સચિનને જવા દે છે, અને વાઘમારે સાહેબની ભલામણથી સચિન સાથે એક હવલદાર જાય છે. ત્યાંના રસ્તાથી હવલદાર જાણીતો હોય છે માટે તે ગાડી ચલાવે છે. થોડીવારમાં સચિન, અઘોરીબાબાના ઘરે પહોંચી જાય છે.
અઘોરીબાબા : " આવો, હું તમારી શું મદદ કરી શકું ?"
સચિન : "હું સચિન છું અને મારા જેની સાથે લગ્ન થવાના છે તેના શરીર પર મીનાક્ષીની આત્માએ કબ્જો કરી લીધો છે. તમે મારી મદદ કરશો પૂજાને બચાવવા."
અઘોરીબાબા : "હા જરૂરથી કરીશ, મને બધી વાત કર અને આત્માનું જોર કેટલું વધ્યું છે તે પણ કહે."
સચિન પહેલેથી બધી વાત કરે છે, પૂજા અને મીનાક્ષીની બધી વાત કરે છે, પૂજા અને મીનાક્ષીનો ફોટો પણ પોતાના ફોનમાંથી દેખાડે છે.
અઘોરીબાબા : "આ તો ઘણી શક્તિશાળી આત્મા છે, અઘરું તો ઘણું છે."
સચિન : "પરંતુ અશક્ય તો નથીને ? મારી મદદ કરો હું તમારી પાસે ઘણી આશા લઈને આવ્યો છું."
અઘોરીબાબા : "હું જરૂરથી કોશિશ કરીશ, તું મારી વાત ધ્યાનથી સંભાળ અને પછી તું ત્યાં ઘરે જઈને મદદ કરજે અને હું અહીં માતાજીનો હવન ચાલુ રાખીશ."
સચિન : "બાબા, હું કૃષ્ણ ભગવાનનો ભક્ત છું, માતાજીને માનું છું, નથી માનતો એવું નથી પરંતુ મને એમની આરાધના કે પછી શ્લોક આવડતું નથી, જો તમે શીખવશો તો જરૂર દિલથી કરીશ."
અઘોરીબાબા : "બેટા તું ઘણો ભોળો છે, કૃષ્ણ અને માતાજી બંને ભગવાન જ છે અને એક જ છે. તું દિલથી કાન્હા ને યાદ કરજે અને હું અહીં હવન ચાલુ રાખીશ માતાજી અને કાન્હાજી બંને મદદ કરશે."
સચિન : "સારું, તો મારે કરવાનું શું ? અને આ મીનાક્ષીની અસ્થી હું સાથે લાવ્યો છું તેનું શું કરું ?"
અઘોરીબાબા : "તે અસ્થી તું મને આપી દે, હું અત્યારથી જ હવન ચાલુ કરી દઉં છું, તું જલ્દી ઘરે પહોંચી જા, આજે તેરસ છે અને કાલે ચૌદસ છે ત્યારે રાત્રે આપણે પૂજાને બચાવી લેશું, નહીંતર અમાસના દિવસે મીનાક્ષીની શક્તિ એટલી વધી જશે કે આપણે કોઈ કંઈ કરી શકીશું નહીં."
સચિન : "હું તમે કહેશો તે બધું કરીશ પરંતુ મીનાક્ષીને જીતવા નહીં દઉં."
અઘોરીબાબા : "તું હવેલી પર જા અને ધ્યાન રાખજે કે મીનાક્ષીની નજર હવેલીના વારસ ઉપર ના પડે, કારણકે તેને જોઈને આત્માની શક્તિ વધવા લાગશે. અને આખી હવેલીમાં આ ભસ્મ તારા કાન્હાનું નામ લઈને વેરી દેજે, ખાસ કરીને પૂજા જે રૂમમાં છે ત્યાં પણ, આ ભસ્મથી મીનાક્ષીની શક્તિ ઓછી થશે અને આપણે ફાયદો લઈને પૂજાને બચાવી શકીશું."
સચિન : "મીનાક્ષીને તકલીફ થશે તો તે પૂજાને નુકશાન તો નહીં કરેને ?"
અઘોરીબાબા : "જરૂર કરશે પરંતુ તું પૂજાને પ્રેમથી તારી તરફ આકર્ષે જે, જેથી પૂજા પોતાના પર મીનાક્ષીને હાવી નહીં થવા દે અને મીનાક્ષીને પૂજાનું શરીર છોડવું પડશે. અને રાતના ત્રણ વાગ્યે હું આ અસ્થી હવનમાં હોમી દઈશ, ત્યારે તું કંઇપણ કરીને પૂજાને પ્રેમથી પકડીને બોલાવ જે અને પૂજાના કાનમાં ભગવાનનું નામ લેજે, અને સવારના છ વાગ્યે સૂર્યની પ્રથમ કિરણ પૂજા પર પડશે અને ત્યારે મીનાક્ષીની આત્માને પણ મોક્ષ મળશે અને પૂજાને પણ આપણે બચાવી શકીશું."
સચિન : "તમારો ખુબ ખુબ આભાર, હું નીકળું છું, તમારી બધી વાત યાદ રાખીશ."
સચિન અઘોરીબાબાના આશીર્વાદ લઈને નીકળી જાય છે. રસ્તામાં હવલદાર સાથે વાત કરતો હોય છે ત્યારે સચિનના ફોન પર આશિષભાઈનો ફોન આવે છે ત્યારે સચિન બધી વાત કરે છે.
આશિષભાઈ : " બેટા તમે આટલી બધી મુસીબતમાં છો છતાંપણ અમને કશું કહ્યું નહીં ?"
શીલા બહેન : "બેટા તારા પ્રેમ અને કાન્હાજી ઉપર વિશ્વાસ રાખજે."
સચિન : "હા મમ્મી, તમે લોકો ચિંતા ના કરતા, રામુકાકા અને રમીલાકાકી છે પૂજા પાસે. અને તમે અત્યારે શા માટે ફોન કર્યો, કામ હતું ?"
આશિષભાઈ : "હા બેટા, હમણાં અજય ભાઈ ને ફોન કર્યો તો ખબર પડીકે તે લોકો તો ગુજરાતમાં પહોંચી ગયા છે અને ખુશ તો હવેલી પહોંચવા આવ્યો છે, તેમના અવાજમાં ચિંતા હતી અને કહેતા હતા કે તે લોકો પૂજાના ગુનેગાર છે, માટે મને થયું કે જો તું કહે તો અમે પણ આવીએ."
સચિન : "શું ? ખુશ હવેલી પહોંચવા આવ્યો છે ? મમ્મી તું એક કામ કર તું ત્યાં પૂજા માટે કૃષ્ણ ને પ્રાર્થના કર, અને વિનંતી કર કે હું મારા કામમાં સફળ થાઉં."
આશિષ ભાઈ : "ચિંતા ના કર બેટા અમને વિશ્વાસ છે તારી મહેનત અને તારો પૂજા પ્રત્યેનો પ્રેમ જીતશે અને આવતા અઠવાડિયે તમારા લગ્ન અમે ધૂમધામથી કરવશું. અમે અહીંથી બધી ખરીદી કરીને ચાર થી પાંચ દિવસમાં ત્યાં પહોંચી જશું."
સચિન : "સારું પપ્પા હું ફોન રાખું છું અને ખુશને હવેલી પર મારી પહેલા ના પહોંચે તે માટે કંઇક વિચારું છું. જય શ્રીકૃષ્ણ.
ક્રમશઃ