જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ
ટીવી પર સમાચાર આવ્યા કે ગુજરાત ના જાણીતા કલાકાર નરેશ કનોડિયા નું કોરોનાથી આજ રોજ મૃત્યુ થયું.
આ સમાચાર જોઈ ને પ્રદિપ ભાઈ ગમગીન થઈ ગયા. એમણે ટીવી બંધ કરી દીધું.. ગુમસુમ બેઠા હતા. એ વખતે એમના પુત્ર સાગરે આ જોયું. શોક કરવાનું કારણ પૂછ્યું.
પ્રદિપ ભાઈ:-" બેટા, ગુજરાત ના પનોતા પુત્ર અને લોકલાડીલા કલાકાર અને દાદા ફાળકે એવોર્ડ વિજેતા નરેશકુમાર કનોડિયાનું આજે અવસાન થયું."
"પણ પપ્પા, એક કલાકારના મૃત્યુના કારણે આટલા દુઃખી કેમ થાવ છો ? આગાઉ તમે આવી રીતે દુઃખી થયા નથી."
"હા,બેટા.. પણ આ કલાકાર જ એવો હતો. જીવનમાં એટલી સ્ટ્રગલ કોઈએ નહીં કરી હોય. હું તને જુની એક વાત કરું"
સાગરને હવે નરેશ કનોડીયા ના વિશે જાણવા આતુર થયો.
હા, પપ્પા , તમે કહો..એક ગુજરાતી કલાકાર ના આ એવોર્ડ ?"
"જો બેટા, તને વાત કરું ૧૯૬૬-૬૭ ની ત્યારે હું નાનો હતો. લગભગ દસ વર્ષનો. પાકિસ્તાન સામેના યુદ્ધમાં આપણે વિજેતા થયા હતા. એની ઉજવણી પ્રસંગ યાદ છે.
લાલદરવાજા સરદાર બાગ માં પ્રથમ વખત નો જાહેર પ્રોગ્રામ. એમાં મહેશકુમાર પાર્ટીનો પ્રોગ્રામ. મારા મોટા બાપા મને જોવા લઈ ગયા હતા.
મહેશકુમાર પુરુષ અને સ્ત્રીના અવાજમાં ગાતા. એમણે લતાજી એ ગાયેલું ગીત અય મેરે વતન કે લોગો.. લેડિઝ અવાજે ગાયું.. લોકો એ એમને વધાવી લીધા. એ વખતે એક યુવાન સ્ટેજ પર કોમેડી અને એન્કરિગ કરતો.
મને એ કલાકાર ગમ્યો. જોનીવોકરના ડાયલોગ કરીને બધાને હસાવતો... પછી ખબર પડી કે એ મહેશકુમાર નો નાનો ભાઈ નરેશ કુમાર.
એ પછી નરેશકુમાર ને લોકો જુનિયર જોનીવોકર તરીકે ઓળખવા માંડ્યા."
"પણ પપ્પા એમણે ફિલ્મ માં એક્ટિંગ ક્યારે કરી.?
"બેટા એનું પહેલું ગુજરાતી ફિલ્મ વેણીને આવ્યા ફૂલ..
સંગીતકાર બેલડી મહેશ નરેશ તરીકે ૧૯૭૦ માં જીગર અને અમી ફિલ્મ કરી. જેનો હીરો સંજીવકુમાર અને હિરોઈન કાનન કૌશલ હતા. એના ગીતો પ્રસિદ્ધ થયા હતા. મુકેશે ગાયેલું સજન મારી પ્રિતડી..
પછી તો નરેશકુમારે પાછું વાળીને જોયું નહીં.
સંગીતકાર બેલડી તરીકે પ્રસિદ્ધ થયા.... નરેશકુમારે લગભગ ૧૨૫ ફિલ્મો માં કામ કર્યું છે.. તેમજ એક કન્નડ ફિલ્મમાં સંગીત પણ આપ્યું હતું.. દેશવિદેશમાં મ્યુઝિક પાર્ટીઓ પણ કરી હતી.
પણ.. એ પહેલાં એમના જેટલો સંઘર્ષ કદાચ કોઈ એ કર્યો નહીં હોય."
"પપ્પા એમના કયાં ગીત પ્રસિદ્ધ થયા હતા.?"
"બેટા, એમનું પહેલું ગીત ઓઢણી ઓઢું તો ઉડી ઉડી જાય.. તેમજ જોડે રહેજો રાજ... અને.... તને ખબર છે ! મહેશ નરેશ ભાઈ વચ્ચેનો પ્રેમ અદભૂત હતો.. નરેશકુમાર દેવ ને પામ્યા એના બે દિવસ પહેલા જ મહેશકુમાર ઈશ્વર ના ધામ ગયા.. એમનું એક ગીત.. સાથે જીવશું સાથે મરશું.. તું મારો મેરૂ.. તું મારી..માલણ.... એ મુજબ પણ જીવ્યા.."
આટલું બોલતાં પ્રદિપ ભાઈ ની આંખોમાંથી આંસુ આવી ગયા.
આ જોઈ ને સાગર બોલ્યો :- "પપ્પા આટલા સારા કલાકારો આપણા ગુજરાતમાં છે ?"
"હા, એ જમાનામાં બોલીવુડ ના રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર કલાકારોનો.... પણ ગુજરાતી ફિલ્મોના કલાકારો ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, નરેશકુમાર, રાજીવ જેવા કલાકારો એ આખું ગુજરાત ગજવ્યુ હતું. એ વખતે ગુજરાતી ફિલ્મો છ મહિના સુધી ચાલતી..એક મહિના સુધી તો હાઉસફૂલ હોય. આ ગુજરાતી કલાકારો એ ગુજરાતની અસ્મિતા, લોક કથાઓ ને ઘરે ઘરે જાણીતી કરી."
"પપ્પા તમે ઘણી સારી વાતો જણાવી.. હવે થી હું પણ સારા ગુજરાતી ફિલ્મો જોઈશ. સુગમ સંગીત અને લોકગીતો સાંભળીશ."
"હા, હું પણ આજે ગુજરાતી ગીતો સાંભળું છું.. આવા કલાકારોને યાદ કરવા પડે.. એજ એમને સાચી શ્રદ્ધાંજલિ છે.. હે ઈશ્વર ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા કલાકાર મહેશકુમાર અને નરેશકુમારની આત્મા ને શાંતિ મળે એવી પ્રાર્થના કરૂં છું.