જીવનની ખોરવાતી સાઇકલ
જીવનની ખોરવાતી સાઇકલ
સજીવને જીવવા માટે જીવનમાં જરૂરી છે હવા ,પાણી અને ખોરાક. બસ એટલું મળી રહે એટલે સજીવ પોતાનું જીવન સારી રીતે જીવી શકે. આ જ આપણા જીવનનું ચક્ર છે. કોઈ વાર આ જીવનની સાઈકલ ખોરવાય જાય ત્યારે જીવન જીવવુ બહુ મુશ્કેલ થઈ જાય છે.
સૌથી પેલા જયારે કોરોના રોગની મહામારી આવી હતી ત્યારે બધાના જીવનની સાઈકલ ખોરવાઈ ગઈ હતી. આપણે આવા રોગથી જરા પણ વાકેફ ન હતા. કોઈ એવો પણ રોગ છે જે હવા થી ફેલાઈ શકે ? હા હવાથી પણ રોગ ફેલાય છે એનું નામ જ કોરોના વાઈરસ. આ રોગ એટલો ભયાનક હતો કે જેની કોઈ વાર વાત કરીએને તો પણ ભગવાનને બે હાથ જોડી પ્રાથના કરીએ કે આવી ભયાનક પરિસ્થિતિથી ભેટો હવે ક્યારેય ના કરાવતા પ્રભુ.
અચાનક વિદેશથી આ રોગનું આગમન આપણા દેશમાં થયુ અને વાયુ વેગે કોરોના ફેલાયો. મોટા મોટા ડોક્ટર, વેજ્ઞાનિકને પણ અનુભવ ન હતો કે કેમ આ રોગનો સામનો કરવો ? આ વાઈરસ શાના લીધે ફેલાય છે, કેવી રીતે ફેલાય છે કઈ જ ખબર ન હતી. કઈ દવા કામ આવે, કેમ સારવાર કરવી, કઈ જ ખબર ડોક્ટરને પણ ના પડતી.
પહેલી વાર એવું થયું કે દર્દીની સારવાર માટે ડોક્ટર પણ ઓછા પડતા હતા. આ રોગને ફેલાતો રોકવા માટે એક જ સરકારે નિર્ણય કર્યો લોકડાઉન. દેશને એક જ ઝાટકે રોકી દીધો. પોલીસ, ડોક્ટર સફાઈ કર્મચારી સિવાય બધું જ બંધ. જાણે માણસો ડરના માર્યા પાંજરે પુરાયા ના હોય ! સાવ જાણે જીવનની સાઈકલમાં કોઈએ અચાનક જ બ્રેક મારી દીધી. ધીમે ધીમે દવાની શોધ થઈ અને થોડી રાહત થઈ. પરંતુ માણસ સાવ મનથી અને શરીરથી પડી ભાંગ્યો હતો. ફરીથી ઊભો થતાં સમય લાગી જશે. આ સમય જ એવો હતો કે તેમાં ઘણાંએ પોતાના સ્વજન ગુમાવ્યા હશે.
મારી પાડોશમાં રહેતા પચાસ વર્ષના અશ્વિનભાઈને બસ સામાન્ય શરદી થઈ તેથી કોરોનાના ડરથી રિપોર્ટ કરાવ્યો તો કોરોના પોઝિટિવ આવ્યો. ઘરે સારવાર ચાલુ કરી દીધી પરંતુ થોડી શ્વાસમાં તકલીફ હોવાથી હોસ્પિટલ ગયા. બસ ત્યારથી કોરોના વધ્યો કે હોસ્પિટલ મરિજને ખાઈ ગઈ કંઈ ખબર ના પડી. રોજ બસ પૈસાના કાઉન્ટર પર સવાર થતા જ માંગે એટલા પૈસા જમા કરાવવાના હતા. અચાનક બીમારીના લીધે ઘરમાં પણ કોઈ પૈસાની સગવડ ના હોવા છતાં હાથ ઉછીના કરીને પણ રોજ હજારોમાં પૈસા જમા કરાવતા. ડોક્ટરે પણ મન ભરીને કમાણી કરી જ લીધી.
નખમા પણ રોગ નહીં એવા અશ્વિનભાઈ બસ બોલતા ચાલતા હોસ્પિટલમાં સાત દિવસ રહ્યા. તે બોલતા રહ્યા કે મને ઘરે લઈ જાવ મારે અહીં નથી રહેવું. મારે બધાને મળવું છે બેટા તું તો મને લઈ જા આમ કેતા રહ્યા પણ એમની ચીખ આ કોરોનાની મહામારીએ ના સંભાળવા દીઘી. ના ઘરના કોઈને મળી શક્યા કે ના ઘરે જઈ શક્યા. બોલતા ચાલતા અશ્વિનભાઈ બસ આમ અચાનક જ વિદાઈ લઈને જતા રહ્યા. કમનસીબ તો ઘરના વ્યક્તિ પણ એવા કે છેલ્લે તેનું મોઢું પણ જોવા ના મળ્યું. ના તેને હાથ અડાડી તેને ગળે લગાવી લાગણી વ્યકત કરી શક્યાં. અશ્વિનભાઈ તો ચાલતા ચાલતા જ હોસ્પિટલે ગયા હતા પરંતુ ત્યાંથી સીધા અનંતયાત્રાએ પહોંચી જશે એવુ તો સ્વપ્નમાં પણ ના વિચાર્યું હતું કે આમ જ જતા રહેશે. આ તે કેવો રોગ? મોતને ઘણા માણસોએ સાવ નજીકથી જોયું હશે જેમને કંઈ નહીં થયું તેમણે પાડોશી કે સગાવ્હાલાને આવી હાલતમાં જોયા જ હશે.
ત્યારે તો એક અનોખો જ કહેર છવાઈ ગયો હતો. ધીમે ધીમે હવે માણસ આવી રીતે રહેતા શીખી ગયો. ખુદને પણ સમજાયુ કે જીવનમા જેની સાથે જ્યાં પણ છો બસ ખુશીથી જીવી લ્યો. સમય ક્યારે જતો રે'શે ખબર પણ નહીં પડે તો બસ શાંતિથી આનંદથી, જીવતા શીખી લ્યો. સમય પોતાનું રૂપ ક્યારે બદલશે કોઈ નથી જાણતું. તેથી જીવન ને સારી રીતે માણી લ્યો. આ અમૂલ્ય અવસર પાછો જીવનમાં ફરી ક્યારેય પાછો નથી આવતો.