હકીકત કે સપનું ?
હકીકત કે સપનું ?
નગરમાં ચારે બાજુ ખુશીનો માહોલ હતો..લોકો જલદી જલદી અવર જવર કરતા હતાં અને એ સમયે સુધાકરે આ નગરમાં પ્રવેશ કર્યો...સુધાકરે જોયું.. લોકો આનંદિત થતાં હતાં..
નગરમાં ઘરો જુની ઢબના વિશાળ ઓરડાવાળા લાગતા હતા. દરેકના આંગણે રંગોળી કરી હતી, તેમજ માટીના દીવડા પ્રગટાવેલા હતા.
પણ નગરમાં કોઈ લાઈટ નહોતી. તેથી તેને લાગ્યું કે અહીં ભારત સરકારે વીજળી ની સુવિધા ઉપલબ્ધ કરી નહીં હોય !
આશ્ચર્ય સાથે નગરમાં ફરતા ફરતા તેણે એક વ્યક્તિ ને પુછ્યુ.." આ નગરમાં આજે શું છે?.. દિવાળી ઉજવે છે?...
"... અરે તમને ખબર નથી !. આજે પ્રભુ રામ અયોધ્યા પધાર્યા છે. તેઓ હમણાં અહીંથી રથમાં પસાર થશે.. અને હા, એમની સાથે એમના પરમ ભક્ત હનુમાનજી પણ છે...જલ્દી જલ્દી કોઈ મકાનની અટારી એ જાવ...પણ તમે અહીંના લાગતા નથી?. ભાઈ તમે કયા દેશ નાં છો?." ...
આ સાંભળી ને સુધાકર ને લાગ્યું કે હું કદાચ ભૂતકાળમાં પ્રવેશ કરી ચૂક્યો છું. સુધાકર બોલ્યો," ભાઈ હું ગુજરાતથી છું જે ભારત દેશમાં પશ્ચિમ કિનારે સમુદ્ર પાસે આવેલ છે." ..
"ઓહો તો તમે આનર્ત , ગુર્જર દેશના છો...અમારા શ્રી રામ પણ વનવાસ દરમિયાન ત્યાં આવી ગયા હતાં !"
ઉત્સુકતા વશ સુધાકર બોલ્યો," ક્યાં?"..
" અરે આનર્ત દેશના દક્ષિણ ભાગમાં ભક્ત શબરીના બોર ખાધા હતા...તેમજ જંગલ વિસ્તારમાં એક ઋષિનો ઉદ્ધાર પણ કર્યો હતો. તે ઋષિને સફેદ દાગનો રોગ હતો. પ્રભુ રામે એક જ બાણ જમીનમાં મારતા ગરમ પાણી નિકળ્યું અને તે ગરમ પાણીથી સ્નાન કરતાં તે રોગ મટી ગયો હતો...એજ ને આનર્ત દેશ."
સુધાકર ને ડાંગ અને ટુવા ટીબા યાદ આવી ગયા...
સુધાકર નજીકના મકાનની અટારી એ ગયો.
એક સેવક ઘોડા પર નિકળ્યો અને બોલ્યો " પ્રભુ રામ આવી રહ્યા છે".
લોકો હર્ષિત થઈ ને આતુરતાથી ભીની આંખે પ્રભુ રામ અને સીતા માતાની રાહ જોઈ રહ્યા હતા...એજ વખતે સુધાકર ને લાગ્યું કે તેને કોઈ ખેંચી રહ્યું છે...
ધીરે ધીરે સુધાકર ને ચક્કર આવવા માંડ્યા.
સુધાકર અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં તેની પત્ની સાથે રહેતો હોય છે.
આજે દિવાળી હોવાથી તે ઘર માટે ની ખરીદી કરી ને એક્ટીવા પર પાછો આવતો હોય છે એ વખતે તેને તેના શરીરમાં બે વખત ઝણઝણાટી થઈ.અને આંખે અંધારા આવશે એવું લાગતાં તે સીધો ઘરે પહોંચ્યો.
તેની તબિયત સારી લાગતી નહોતી.પણ તેની પત્નીને કંઈ કહ્યું નહીં.. અને જમી ને થોડી વારમાં પથારીમાં આડા પડો.
અને ક્યારે ઊંઘ આવી એ ખબર પડી નહીં.
અડધી રાત્રે સુધાકર શરીરમાં ઝણઝણાટી થતાં જાગી ગયો અને જોયું તો તેની પત્ની સૂતી હતી.
અને તે હાશ કરીને સૂવાનો પ્રયત્ન જ કરતો હતો ત્યારે તેને કોઈ ખેંચાણ બળ થી તેને ખેંચવાનો પ્રયાસ કરતું હતું.. અને સુધાકર ને ચક્કર આવવા માંડ્યા...
જાગી ને જોયું તો તે અયોધ્યા માં હતો.
અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન થાય એ પહેલાં જ સુધાકરને અજાણી ચીજ તેને એવી જગ્યા એ લઈ ગઈ જે તેની કલ્પનામાં નહોતી..
સુધાકરની આંખ ખુલી.....
લોકો ચીસો પાડી ને બચાવો બચાવો...ભાગો..ભાગો.. ની બુમ પાડતા હતા. સુધાકર ગભરાઈ ગયો.
એ ભાગતા માણસને પૂછવા પ્રયાસ કરે પણ કોઈ જવાબ આપતું નહોતું એટલામાં એક પચીસ વર્ષના યુવાન તેની પત્ની સાથે થોડો સામાન લઈ ને ઝડપથી દરિયા કિનારે જતા હતાં...
સુધાકરે આ જોયું તેને લાગ્યું આમને જોયા હોય એવું લાગે છે !
અરે આ તો યુવાન જટાશંકર કાકા, અને સાવિત્રી કાકી..પણ અહીં કેમ!! આ કયું નગર છે..
સુધાકરે એ કપલ ને રોકી ને પુછ્યુ ," કાકા આ કર્યું નગર છે?. અને તમે મને ઓળખતા નથી? ક્યાં ભાગો છો ?..
જવાબ આવ્યો ," ગાંડા ભાગ જલ્દી ,આ કરાચી છે હિંદ આઝાદ થયું અને ભાગલા પડ્યા.અમે સ્ટીમરમાં બેસીને અમારા વતન જામનગર જતા રહીશું..પણ તું મને કાકા કેમ કહે છે? તું તો ચાલીસ નો લાગે છે ને હું પચીસનો...ઝડપથી ભાગ અથવા અમારી સાથે સ્ટીમરમાં બેસી જા..."
આ સાંભળી ને સુધાકર નું માથું ચકરાવા માંડ્યુ. એને થયું આ મારી સાથે શું થઈ રહ્યું છે..આ કોઈ ટાઈમ ટ્રાવેલ તો નથી ને? કુદરત મને શું કહેવા માગે છે તે સમજાતું નથી?. અને સુધાકર જલ્દી જલ્દી ભાગતા ચક્કર આવવા માંડ્યા..... અને બેભાન થઈ ગયો.
..જાગી ને જોયું તો .." અરે...આ તો મારી જાણિતી જગ્યાએ...
અહીં તો હું બચપનમાં રહેતો હતો...
આ તો મારી પોળ...
સુધાકરે પોળમાં નજર માંડી..
બધે દિવાળીના દીવા પ્રગટાવ્યા હતા..
લોકો આનંદમાં હતા.
એટલામાં કેટલાક છોકરાઓ ફટાકડા ફોડતા હતા.
ત્યાં નજર કરી તો " ઓહ,આ તો હું છું !! હું દસ વર્ષ નો હતો..નાનો સુધાકર..
જોયું તો નાનો સુધાકર તેના મિત્રો સાથે ફટાકડા ફોડતો હતો અને એજ વખતે નાના સુધાકરના ફટાકડાથી એક નાનો છોકરો દાઝી ગયો..
દોડાદોડી થઈ.
નાનો સુધાકર રડતા રડતા ઘરમાં ગયો....
અને દાઝી ગયેલા છોકરાને એના પિતાજી દવાખાને લઈ ગયા.
હવે સુધાકરને લાગ્યું કે આ ફટાકડા તો કોઈની જાન લે..અથવા અપંગ થાય અને સાથે સાથે પ્રદુષણ પણ ફેલાઈ જાય..
સુધાકરને પોતાના બાળપણના એ દિવસો માટે દુઃખી થયો..
અને નક્કી કર્યું કે પોતાના સંતાનોને હાનિકારક ફટાકડા લાવી આપશે નહીં.
આવું વિચારતા વિચારતા એ ક્યારે એ પોતાના ઘરે આવી ગયો એ ખબર પડી નહીં.
અને એટલામાં ઘંટડી જેવો અવાજ આવ્યો.
બુરાઈ પર અચ્છાઈની જીત થઈ ગઈ અને શ્રી રામ અયોધ્યા પણ પાછા આવી ગયા...
"હેપી ન્યુ ઈયર..નવા વર્ષની શુભેચ્છા" . સુધાકરની પત્નીનો અવાજ આવ્યો..
અને સાથે સાથે બોલી કે તમારા અમેરિકા વાળા મિત્ર જે પોળમાં રહેતો હતો એમનો હેપી ન્યુ ઈયરનો મેસેજ હતો નાતાલની રજાઓમાં અમદાવાદ આવશે અને તમને મલવા આવશે...પણ રાત્રે બે ત્રણ વાર તમે ક્યાં જતા રહ્યા હતા.? તમને મેં પથારીમાં જોયા નહોતા..
શું તમને પુરતી ઊંઘ આવી નહીં...કે તમે કોઈ લાંબી યાત્રા એ ગયા હતા..તમારા હાવભાવ તો એવા લાગે છે !...
