દેવપ્રિયા -૯
દેવપ્રિયા -૯
શ્યામા પોતાના શ્રાપની કહાની કહે છે. ભાર્ગવ એના શ્રાપ મુક્તિ માટે સાથ આપે છે. શ્યામા ભાર્ગવના સંતાનની માતા બનવાની હોય છે. અને ભાર્ગવ શ્યામાને લઈને પોતાના ગામ જવા રવાના થાય છે..
હવે આગળ..
શ્યામા સ્વરૂપા દેવપ્રિયાને લઈને ભાર્ગવ ઝૂંપડી ની બહાર નીકળે છે.. એ વખતે ઝૂંપડીની બહાર એક દિવ્ય પુરુષ ઊભેલા હોય છે....
ભાર્ગવ એમના દિવ્ય પ્રકાશ ના કારણે અંજાઈ જાય છે. એટલામાં પાછળ આવતી શ્યામા એ દિવ્ય પુરુષ ને ઓળખે છે.
શ્યામા:-" પિતાશ્રી, આપ અહીં ?"
દિવ્ય પુરુષ:-" હા,બેટી હું તને લેવા આવ્યો છું. હવે તારો શ્રાપ પણ પૂરો થવા આવ્યો.. આ સજ્જન પુરુષ ના કારણે તારું જીવન હવે દેવકન્યા ને અનુરૂપ બનશે."
આટલું બોલીને એ દિવ્ય પુરુષ ભાર્ગવ નો આભાર માને છે.. પછી શ્યામા ને કહે છે.
" બેટી , હવે તું મારી સાથે સ્વર્ગ માં ચાલ. તારા સંતાનનો જન્મ સ્વર્ગ માં કરાવીશ. અહીં તને ખૂબ દુઃખ પડશે. સુખ સાહ્યબી તને પ્રાપ્ત થશે નહીં.. માટે મારી વાત માન.. આ સજ્જન ને હું હીરા માણેક અને ઝવેરાત આપીશ. એ અકિંચન નહીં રહે.."
ના, પિતાશ્રી, હું આપની સાથે સ્વર્ગ માં આવવા માંગતી નથી. આપે જ શીખવાડ્યું હતું કે કોઈ આપણા માટે સમર્પિત થાય કે સેવા ભાવ દર્શાવે તો એનો ઉપકાર ભૂલશો નહી.. જ્યારે શ્રાપ મુક્તિ માટે આપના પ્રયત્નો પણ નિષ્ફળ થયા હતા ત્યારે આ મારા સ્વામી એ કોઈ જાતના ભેદભાવ કે સુગ બતાવ્યા વગર મને મદદરૂપ થયા.. આ તમારા જમાઈ જેવા કોઈ સ્વર્ગમાં પણ નહીં હોય.. મેં એમને વચન પણ આપેલું છે.. એ મારા સ્વામી ,નાથ છે.. હું હવે સનાતન ધર્મ મુજબ જીવનભર મારા સ્વામી સાથે જ આ સામાન્ય સ્વરૂપે રહીશ. માટે પિતાશ્રી આપ મને માફ કરજો.. આપ એકલા સ્વર્ગ તરફ પ્રયાણ કરી ને મારી અને મારા સ્વામીનું હિત ઈચ્છજો.."
"હા,બેટી હું તારી વાત માનું પણ તને ઘણી તકલીફો અને દુઃખ પડશે.."
પિતાશ્રી,મારા સ્વામી સાથે હોય તો એ દુઃખ ને હું સુખ માનીને જીવીશ. કારણકે મારા સ્વામી હંમેશા કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાના ભજનો ગાતા હતા..
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ
માટે પિતાશ્રી આપ મારી ચિંતા કરતા નહીં. આપ સ્વર્ગમાં આપેલા કાર્ય માં પ્રવૃત રહો."
" સારું બેટી.. પણ તને આ એક મંત્ર આપું છું. જે સ્મરણ કરતા તને દૈવી શક્તિ પ્રાપ્ત થશે.."
ના, પિતાશ્રી મારે દૈવી શક્તિની જરૂરત નથી. છતાં આપના આગ્રહ ને વશ થઈ ને એ મંત્ર હું સ્વીકારું છું.. પણ હું કોઈ પણ સંજોગોમાં આ દૈવી શક્તિનો ઉપયોગ કરવાની નથી."
આ વાત સાંભળીને દિવ્ય પુરૂષે શ્યામાને મંત્ર આપીને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું.
આ બાજુ ભાર્ગવ શ્યામાને લઈને ભરૂચ પાસેના પોતાના ગામમાં આવે છે.
રસ્તામાં આ વિચિત્ર પ્રકારના જોડા ને જોઈ ને લોકો મજાક કરતા હોય છે.
પરંતુ સંસ્કારી ભાર્ગવ ને કોઈ ફરક પડતો નથી.
ભાર્ગવ પોતાના ઘરે આવે છે.
ત્યારે એના બાપુજી બહાર ગયા હોય છે.
ભાર્ગવ પોતાની 'માં'ને શ્યામાની ઓળખ કરાવે છે.
ભાર્ગવ ની માં શ્યામાનું સ્વાગત કરે છે..
એટલામાં ભાર્ગવ ના બાપુજી આવે છે.
ભાર્ગવ પોતાની કહાની મા-બાપ ને કહે છે..
માં મહાકાળીની કૃપાથી શ્યામા સાથે લગ્ન કર્યા છે..ને એ હવે માં બનવાની છે.
ભાર્ગવ ના મા-બાપ શ્યામા ને સ્વીકારી લે છે.
ભાર્ગવ ની માં કહે છે:-" બેટા ,તારા ગયા પછી થોડા દિવસમાં ઝંખના આવી હતી. તને મળવા માંગતી હતી. તારો ફોન લાગતો નહોતો...બેટા, તારા ગયે ચાર પાંચ દિવસ થવાથી અમને ચિંતા થઈ હતી... આ મારા ઉમરેઠના ભાઈ એ પણ જગદીપભાઈ નો ભાણિયો આવી રીતે ટુર પર જતા ખોવાઈ ગયો હતો.. એટલે અમને ચિંતા થતી હતી.
એ જગદીશભાઈ એ એમના ભાણિયો 'સૌરભ' ની વિગતો અને ફોટો આપણા ભરૂચના સગાં ને મોકલ્યો હતો. તારા બાપુજી ભરૂચ ગયા ત્યારે એની એક કોપી લેતા આવ્યા હતા.. જો આ સૌરભ નો ફોટો અને વિગતો..
જો તું તો ત્રણ મહિને આવી પણ ગયો.. પણ એ સૌરભની માં ની હાલત કેવી થતી હશે..હજુ સુધી છોકરો પાછો આવ્યો નથી. તું આવ્યો તો ખરો... સાથે વહુ પણ લેતો આવ્યો.."
બીજા દિવસે આખા ગામમાં ભાર્ગવ અને એની વહુ શ્યામાની વાત ફેલાઈ ગઈ..
ગામ લોકો માં શ્યામા ના રૂપ પર ટીકા ટિપ્પણી શરૂ થઈ.
આ ભાર્ગવ દેખાવડો.. સ્માર્ટ... શું જોઈને આવી કાળી છોકરી પસંદ કરી.. કોઈ લફરું કર્યું હશે.. કે બહુ કરિયાવર લેતો આવ્યો હશે.. આ ગોર બાપજીનું મગજે ચાલતું હોય એમ લાગતું નથી.. આવી વહુને ઘરમાં લવાતી હોય ? ને ભાર્ગવ ના કમાવાના ઠેકાણા તો છે નહીં.
આમ જુદી જુદી ટીકા ટિપ્પણી ઓ ગામમાં આવે આજુબાજુ ના ગામમાં થવા લાગી..
ધીરે ધીરે ગામ લોકો એ ભાર્ગવ ના ઘરે આવવાનું ઓછું કરી દીધું.
એક તબક્કે ભાર્ગવ ના બાપુજી ને ગોરપદા નું કામ બંધ થઈ ગયું.
હવે ઘર ચલાવવા ના ફાંફાં પડવા માંડ્યા..
આ બાજુ શ્યામા ને છ મહિના થયા. એ ઘરકામમાં મદદરૂપ થતી.
એક દિવસ ભાર્ગવે એના એક મિત્ર સુરેશ ને ફોન કર્યો..
સુરેશ ચાણોદ માં રહેતો. અને ડભોઇ જોબ કરતો.
બીજા દિવસે ભાર્ગવે એના માબાપ ને કહ્યું.
" બાપુજી, મારાથી તમારૂં દુઃખ જોવાતું નથી. મારા કારણે આપની બેઇજ્જતી થઈ રહી છે. તેમજ તમને કામ પણ મળતું બંધ થયું.. એટલે મેં અને શ્યામા એ વિચાર્યું કે અમે આવતીકાલે આપણું ગામ છોડીને ચાણોદ રહેવા જવાના છીએ.. આપે મને ગોરપદાનું કામ શીખવાડ્યું છે.. તેમજ હું ટ્યુશન કરીશ. અમે જીવન પસાર કરીશું... બાપુજી આપ અમને રજા આપજો."
( ક્રમશઃ ભાગ-૧૦ માં ભાર્ગવ અને શ્યામા ચાણોદ જાય છે.જીવનની નવી શરૂઆત.. શ્યામા એક પુત્ર ને જન્મ આપે છે.. વધુ જાણવા વાંચો મારી ધારાવાહિક વાર્તા "દેવપ્રિયા".)