દાદાજીની વાર્તા - 60
દાદાજીની વાર્તા - 60
મયંક બોલ્યો, જીભને કાબૂમાં તો રાખવી જ પડશે.
દાદાજી કહે, એ હંમેશાં યાદ રાખજો કે સર્જનહાર ભગવાને તમને જીભ આપી છે, એટલે તમે એનો ફાવે તેમ ઉપયોગ કરો તે ના ચાલે. વાણીનો વિલાસ કરવો એ વ્યભિચાર કરતાં જરાયે ઊતરતું નથી. છતાંય આજે જાણે સમગ્ર સમાજ વાણીવિલાસની પાછળ ઘસડાતો જાય છે. વાણીવિલાસિતાની તાત્કાલિક સફળતા સૌને આકર્ષી ગઈ છે. પણ જરા વિચાર કરજો મારા ભાઈ! સમાજની બહુમતિના બળે આકર્ષાઈ ન જતાં. એક કૂતરો જ કશાકને ભસે છે, બાકીના સો કૂતરાઓ તો એના અવાજને જ ભસે છે. ગાડરિયા પ્રવાહની જેમ ગતિ કરતા સમાજનું પણ કાંઈક આવું છે. અતિશય વાણી વિલાસમાં માનનારાઓને મારી સલાહ છે કે તેઓ જીભને બને તેટલો આરામ આપી મગજને બને તેટલું કામ આપે. તેમની ઘણી ગૂંચો ઉકલી જશે. તમે જેટલું બોલી શકો છો એટલું જો ન વિચારી શકો તો જેટલું વિચારી શકો તેટલું બોલો.
મયંક કહે, હા, દાદાજી ! જે માનવી પાસે ધન નથી એ ગરીબ નથી, જે પોતાની જીભને ખોઈ બેઠો છે, એ ગરીબ છે.
દાદાજી બોલ્યા, જો માનવીએ સૂતેલા સંસ્કારોને જગાડવા હશે તો, જેમ યોગ્ય રીતે વિચારતાં શીખવું પડે છે, તેમ યોગ્ય રીતે બોલતાં પણ શીખવું પડશે. કોઈક સંતને એમના શિષ્યે સવાલ પૂછેલો કે, ''ગુરુજી, શરીરનું સૌથી સારું અંગ કયું?'' ''જીભ'' ગુરુજીએ ઉત્તર આપ્યો. ચેલાએ ફરી પૂછયું, ''તો પછી સૌથી ખરાબ અંગ કયું ?'' ગુરુએ ફરી જવાબ આપ્યો, ''જીભ.'' એ ચેલાને ગુરુએ આ રીતે ચેતવી દીધો. પણ સમાજ-દુનિયા ચેતશે ખરી ?
અને મયંકે અત્યારે પોતાની જીભને વિરામ આપી દીધો.
***