દાદાજીની વાર્તા - 58
દાદાજીની વાર્તા - 58
જીભ
એક દિવસ દાદાજી અને પૌત્ર મયંક કંઈ ખાઈ રહ્યમ હતા. ત્યાં જ મયંકે ચીસ પાડી, મારી જીભ ચવાઈ ગઈ.....!
દાદાજી બોલ્યા, લે, આજે તો મને એક વાતનો વિષય આપી દીધો.
મયંક બોલ્યો, મારી જીભ દુ:ખે છે ને તમને વાતો વિષય મળે છે ?
દાદાજી કહે, એક દિવસ મને વિચાર આવ્યો કે મનુષ્યમાં એવું શું છે કે, જેના જોરે એ આખીએ સૃષ્ટિનો સ્વામી થઈ ગયો છે ? સૌ કોઈ કહેશે કે, 'માણસ પાસે વિચારશક્તિ છે એટલે.' પણ હું એ કથનને અધૂરું ગણું છું. કારણ કે, વિચારશક્તિ તો ઓછા-વત્તા પ્રમાણમાં દરેક પ્રાણીમાંય હોય છે જ. પણ માણસની વિચારશક્તિમાં ભળે છે માણસની વાકશક્તિ. માણસ જેમ વિચારશક્તિના જોરે આગળ આવ્યો છે. એમ તેની જીભે પણ એના જીવન પર ઓછી અસર નથી કરી. વિચારશક્તિ માનવીને પ્રાણીઓ કરતાં જુદો પાડી દે છે, તેમ તેની જીભ પણ માનવીને બીજાં પ્રાણીઓ કરતાં જુદો પાડે જ છે ને? માણસના જીવનની પ્રગતિમાં સાથ આપનાર જીભ કેટલીકવાર અવરોધક પણ બની છે, પણ એમાં માનવીનો જ વાંક છે. કુદરતે આપેલી અણમોલ બક્ષિાસ-જીભનો એ યોગ્ય ઉપયોગ ન કરી શકયો. એના પરિણામસ્વરૂપે એને ખૂબ જ સહન કરવું પડયું છે.
મયંક કહે, તમને તો જીભમાંય જ્ઞાન ઉપજી આવે છે.
દાદાજી કહે, જીભ માણસને બે રીતે ઉપયોગી છે. સ્વાદ પારખવા માટે અને વાણીના માધ્યમ દ્વારા પોતાના વિચારો પ્રગટ કરવામાં. સ્વાદ પારખવા જેવી સરલ વસ્તુમાં આપણે સૌ લગભગ સફળ થયા છીએ. પણ તેનો બીજો ઉપયોગ છે તેમાં આપણે સૌએ ખત્તા જ ખાધી છે. દુનિયાના બહુ ઓછા માણસોએ જીભને સાચા અર્થમાં વાપરી જાણી છે. આપણે સૌ જાણીએ છીએ કે વાણી અને વર્તનનો સંયમ એ સંસ્કારિતાનું મુખ્ય લક્ષણ છે બધાં દુ:ખો મોં પહોળું કરવાથી જ આવે છે. છતાંય આપણી 'લુલીએ' લપકીને ઘણાને અસંસ્કારિતાના છાંટા ઉડાડયા છે. દ્રૌપદી જેવી શાણી સ્ત્રીએ પણ પોતાની જીભ કયાં કાબૂમાં રાખી હતી ? 'આંધળાના પુત્ર આંધળા જ હોયને!' આ શબ્દોએ જ દુર્યોધનને પાંડવો સામે યુદ્ઘ કરવા પ્રેરેલો. ટચુકડી જીભને કારણે મહાભારતનું યુદ્ઘ થયું.
(ક્રમશ:)
